SURAT

સુરત: સિંગણપોર કોઝવે તાપીના પાળા પાસેથી હત્યા કરીને ફેંકી દેવાયેલી પતિ-પત્નીની લાશ મળી

સુરત: (Surat) ચોકબજાર પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં સિંગણપોર વિયર કમ કોઝવે (Causeway) નજીક તાપી નદીના પાળા નજીકથી બાવળના ઝાડીઓમાંથી હત્યા (Murder) કરીને ફેંકી દેવાયેલી પતિ-પત્નીની લાશ મળી આવી હતી. બંનેની લાશ વચ્ચે 80 ફુટનું અંતર હતું. બંનેની લાશ ચાદરમાં બાંધેલી હતી તેમજ હાથ-પગ પણ બાંધેલા હતા. સવારે નવેક વાગે મહિલાની લાશ મળી આવી હતી. બપોરે યુવકની લાશ મળી આવી હતી. સાંજે બંનેની ઓળખ થઈ હતી. બંને પાલનપુર ગામ વિસ્તારમાં રહેતા હતા.

  • સિંગણપોર કોઝ-વે નજીક તાપીના પાળા પાસેથી હત્યા કરીને ફેંકી દેવાયેલી પતિ-પત્ની લાશ મળી આવી
  • બંને લાશના હાથપગ બાંધી ચાદરમાં બાંધી દીધી હતી, બંને લાશ વચ્ચે 80 ફુટનું અંતર
  • સાંજે બંનેની ઓળખ થઈ, બંને પાલનપુર ગામ વિસ્તારમાં રહેતા હતા
  • સવારે નવેક વાગે મહિલાની લાશ મળી જ્યારે બપોરે યુવકની લાશ મળી

ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ચોકબજાર પોલીસને રવિવારે સવારે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન વિયર કમ કોઝવે નજીક તાપી નદીના પાળા નજીક બાવળમાંથી 25 થી 30 વર્ષીય અજાણી યુવતીની લાશ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. તેના હાથ-પગ બાંધેલા હતા. તેના હાથમાં અંગ્રેજીમાં કે લખેલું છૂંદણું છે. મૃતક મહિલાની લાશનો કબજો મેળવી પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલીને તપાસ હાથ ધરી હતી. પોલીસને જે સ્થળ પરથી યુવતીની લાશ મળી આવી હતી ત્યાંથી 80 ફુટના અંતરેથી 25 થી 30 વર્ષના યુવકની ચાદરમાં બાંધેલી લાશ મળી આવી હતી.

આમ આજરોજ રવિવારે ચોકબજાર પોલીસને એક પછી એક બે મૃતદેહો મળી આવતા ભારે ચકચાર મચી હતી. મોડી સાંજે બંનેની ઓળખ થઈ હતી. બંને પતિ-પત્ની છે. યુવકનું નામ કૌશિક તોફાનભાઈ રાવત અને પત્નીનું કલપના કૌશિક રાવત(બંને રહે. ભોલેનાથ દાલબાટી હોટલ પાસે, ઝગડિયા સર્કલ, પાલનપુર ગામ મૂળ રહે., માલવાસી ગામ, તળાવ ફળિયું, તા. ઝાલોદ, જિલ્લો દાહોદ)ના છે. બંનેની લાશ ચાદરમાં લપેટેલી હતી અને હાથપગ બાંધેલા હતા. રાત્રે ચોકબજાર પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. બંનેનું પોસ્ટમોર્ટમ બાકી છે પરંતુ બંનેની લાશને સ્કેન કરતા ગળાના ભાગે ઇજાના નિશાન મળ્યા છે. તેથી બંનેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની શંકા પોલીસ સેવી રહી છે.

Most Popular

To Top