Entertainment

180 કરોડની લોન, તૂટ્યું સ્ટુડિયોનું સપનું… શું નીતિન દેસાઈએ આ કારણોસર કરી આત્મહત્યા?

નવી દિલ્હી: બોલિવૂડમાં (Bollywood) પોતાની કળાનો ઉપયોગ કરીને આકર્ષણ જમાવનાર પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ બુધવારે આત્મહત્યા (Suicide) કરી હતી. બુધવારે સવારે ગળેફાંસો ખાઈ નીતિન દેસાઈએ જીવનનો અંત આણ્યો હતો. નીતિન દેસાઈએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમના મૃત્યુથી ચાહકો અને સેલેબ્સની આંખો ભીની થઈ ગઈ. હવે નીતિનના મોતને લઈને એક મોટી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે નીતિન પર 180 કરોડનું દેવું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેસાઈ આર્થિક તંગીથી પરેશાન હતા અને તેથી જ તેમણે મોતને ગળે લગાવ્યું હતું.

છેલ્લા બે-ત્રણ વર્ષથી તેમનો સ્ટુડિયો ચાલતો ન હતો
નીતિને એક ફાઇનાન્સ કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તે મોટા દેવાના બોજ હેઠળ દબાયેલો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતિને તેની જમીન અને અન્ય મિલકતો ગીરો રાખી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ કલેક્ટરને પત્ર લખીને વસુલાતની દરખાસ્ત પણ કરી હતી. FWICE પ્રમુખ BN તિવારીએ નીતિન દેસાઈની આત્મહત્યા અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેણે કહ્યું- લગભગ ત્રણ મહિના પહેલા મેં નીતિન સાથે છેલ્લી વખત વાત કરી હતી. તેના સ્ટુડિયોમાં લગભગ 150 લોકો કામ કરતા હતા. તેમણે કર્મચારીઓને માસિક પેમેન્ટ પર રાખ્યા હતા. અગાઉ પણ તેને બેંક તરફથી ઘણી સમસ્યાઓ આવી હતી. તેણે એનડી સ્ટુડિયોમાં ઘણા પૈસા લગાવ્યા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેમનો સ્ટુડિયો ચાલતો ન હતો. કોવિડથી તે સતત ખોટમાં હતો.

સ્ટુડિયોથી જે આર્થિક ફાયદો થવાનો હતો તે થઈ રહ્યો ન હતો જેના કારણે નીતિન સતત ખોટમાં જઈ રહ્યો હતો
એનડી સ્ટુડિયો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેમનું આયોજન પણ અદ્યતન સ્તરે હતું. જો કે તેણે આ માટે ઘણો ખર્ચ કર્યો હતો, જેનું વળતર શક્ય નહોતું. કેટલાક સમયથી ત્યાં માત્ર સલમાન ખાનની ફિલ્મોનું જ શૂટિંગ થતું હતું. કર્જત મુંબઈથી 60 કિલોમીટર દૂર હોવાના કારણે ઘણાં પ્રોડક્શન હાઉસ ત્યાં જવા માંગતા ન હતા. ND સ્ટુડિયોમાં 15 સેટ છે. બધા જ લાર્જર ધેન લાઈફ છે. તેમની સ્થાપનામાં ઘણો ખર્ચ થયો હતો. સેટ પર કોઈ વસ્તુની કમી ન હતી પરંતુ તેનાંથી જે આર્થિક ફાયદો થવાનો હતો તે થઈ રહ્યો ન હતો જેના કારણે નીતિન સતત ખોટમાં જઈ રહ્યો હતો. તેના પર લગભગ કરોડોનું દેવું હતું. થોડા સમય પહેલા જ તેણે તેની પુત્રીના લગ્ન કર્યા હતા.

બોડીગાર્ડે બારીમાંથી જોયું તો નીતિન દેસાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો
નીતિન દેસાઈએ પોતાના જ પ્રખ્યાત એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે 10 વાગ્યે નીતિન દેસાઈ પોતાના રૂમમાં ગયો હતો. આજે સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યો ન હતો. ત્યારબાદ તેના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. બારીમાંથી જોયું તો નીતિન દેસાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

સિનેમાની દુનિયામાં નીતિન દેસાઈનું યોગદાન પ્રશંસનીય હતું
નીતિન દેસાઈ 57 વર્ષના હતા અને 9મી ઓગસ્ટે તેઓ તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા. પરંતુ તેના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ તેણે આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હતો. સિનેમાની દુનિયામાં નીતિન દેસાઈનું યોગદાન પ્રશંસનીય હતું. તેણે હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, જોધા અકબર, લગાન, બાજીરાવ મસ્તાની સહિત અનેક સુપરહિટ હિન્દી અને મરાઠી ફિલ્મોના અદભૂત સેટ ડિઝાઇન કર્યા હતા.

Most Popular

To Top