Charchapatra

બાળકો અને સગીરોનાં પણ આકસ્મિક મૃત્યુ

ઘણા વખત  થી જુવાનો અને પ્રૌઢ વ્યક્તિઓ આકસ્મિક હૃદયરોગના સમાચારોમાં હદ બહારનો ઉછાળો છેલ્લાં બે ત્રણ વર્ષમાં જ,વિશેષ કરીને કોરોના અને તે પછી સામુહિક રસીકરણ ઝુંબેશ પછી આવ્યો તે પછી હવે સગીરો વિષે પણ આવા સમાચારો આવવા શરૂ થઈ ગયા છે. અગાઉ બેઠાડુ જીવન અને જંક ફુડને આ માટે ડોકટરો સહિત કેટલાંક લોકોએ કારણરૂપ માન્યાં, પણ હાલ રાજકોટના ગુરુકુળના વિદ્યાર્થીનો અને એક શ્રમજીવીનો એમ બે કિસ્સા વાંચ્યા. તો લોકોનાં મનમાં કેમ સવાલ નથી ઊઠતો કે ગુરુકુળનાં વિદ્યાર્થીઓનાં જીવન ખોરાક બાબતે પણ શિસ્તબદ્ધ હોય છે, જ્યાં કદાચ જંક ફુડ તો શું, ચા-કોફીની પણ છૂટ નહીં હશે તો, આ બાબત વિચારણીય બાબત નથી શું? મેદસ્વિતા અને જંક ફુડ છેક આજકાલનાં નથી જ.

અહીં એવું જણાવવાનો બિલકુલ આશય નથી કે કોરોના ગ્રસિત અને/અથવા રસીકૃત દરેક વ્યક્તિ આવા મૃત્યુને પામે છે કે પામશે. પણ દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત શારીરિક પ્રકૃતિને આધારે તેની સારી કે નુકસાનકર્તા અસર જરૂર થતી હોય છે. ઇંગ્લેન્ડ એ પોતાના દેશમાં શોધાયેલી અને પેટર્ન પ્રાપ્ત રસીનો ઉપયોગ લોહીના ગંઠાવાથી થતાં મૃત્યુને કારણે અટકાવ્યો હતો અને તેની શોધકે પણ પોતાની શોધેલી રસી માટે સાવચેતીનો સૂર કાઢ્યો હતો અને યુરોપ પણ તેને પગલે ચાલ્યું હતું અને તેની જ ભારતીય આવૃત્તિ ઓફિસો , દવાખાના અને દુકાનોનાં માલિક અને કર્મચારીઓને કામ પર હાજર રહેવા માટે સરકારે લગભગ ફરજિયાત કરી.

જ્યારે દેશી બનાવટની રસી પ્રમાણમાં ઓછી ઉપયોગમાં લેવાઈ  અને એસ્ટ્રા ઝેનેકાની દેશી કોલોબ્રેટડ રસી વધુ વપરાઈ . પ્લેસીબો પણ અપાઈ, જેનો રેકોર્ડ ફક્ત સરકારી સ્તરે જ હશે. માની લઈએ કે પ્લેસિબો અપાઈ હોય તેમને પણ પ્રતિક્રિયાનાં ચિહ્નો માનસિક કારણસર પણ દેખાયાં હોય અને જેમને સાચી રસી આપી હોય તેમને કોઈ કોઈ કિસ્સામાં કોઈ જ પ્રતિક્રિયા જણાઈ નહીં હોય અને તેનાથી વિપરીત પણ હોઈ શકે. જો કોરોના અલ્પ પ્રમાણમાં પણ થયો હોય અને તેમાંથી બહાર આવનાર વ્યક્તિ પણ લોહી ગંઠાવાની તકલીફની શિકાર બની શકે તો તેની રસીના નબળા કરેલા વાયરસ પણ જે કોરોનાનાં અલ્પ માત્રાનાં લક્ષણ પેદા કરે તેમાં લોહી ગંઠાવાની કે ઘટ્ટ થવાનું  લક્ષણ પણ પેદા કરી જ શકે.

બની શકે કે રસીકૃત પ્રૌઢ વ્યક્તિ લોહી પાતળું રાખવાની દવા પહેલેથી જ લેતા હોઈ લોહી ગંઠાવાની શક્યતાથી બચી રહ્યા હોય. સરકારે સત્તાવાર રીતે ભલે સગીરો , જુવાનો અને પ્રૌઢ લોકોનાં આકસ્મિક કાર્ડિયાક ફેલીઓરથી થતા મૃત્યુની તપાસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને સોંપી હોય પણ તેઓ રસીને કારણરૂપ ભાગ્યે જ ઠેરવશે અને સમય પણ લાંબો લેશે ત્યાં સુધીમાં આ પ્રકારનાં મૃત્યુના સમાચાર સામાન્ય રૂપે આવતા જ રહેશે. પણ લોકોએ જાતે કાર્ડિયાક ફેલિયોર થવાથી બચવા માટે સાવચેતીરૂપે દરેક કોરોનાગ્રસ્ત અને રસીકૃત પ્રૌઢ વ્યક્તિ લોહીની પ્રવાહિતાના પ્રમાણની તપાસ જરૂર સમય સમય પર કરાવતા રહે અને જરૂર પડે તો પોતાના MD કાર્ડીઓલોજીસ્ટની સલાહ લઈ એસ્પીરીન આધારિત દવા જરૂર લે.

અહીં એસ્પીરીન ધાણી ચણાની જેમ લેવાની વાત બિલકુલ નથી અને તેનાથી થતી આમલપિત્ત કે હોજરી અને આંતરડાનાં ચાંદા પડવાની શક્યતા પણ ધ્યાનમાં જરૂર રાખવાની છે જ. પણ વીજાણુ માધ્યમોના સમાચાર પ્રમાણે આવા મૃત્યુના વારંવાર બનતા કિસ્સાઓની તપાસમાં ICMR આવા મૃત્યુ પામેલી વ્યક્તિઓ વિશે તેમનાં પરિવાર જનો અને તેમનાં ફેમિલી ડોકટર કે જો હોય તો તેમનાં MD સલાહકારો પાસેથી પણ વિગતો પ્રાપ્ત કરી પૃથક્કરણ કરેલી વિગતો જાહેર કરવાનું જરૂરી જણાય છે. વિશેષ રૂપે કેટલા કોરોનાનો ભોગ બની સારા થયા હતા અને/અથવા કેટલા (પ્લેસીબો કે ખરી) રસીકૃત હતા, જેવી વિગતો પ્રજા સમક્ષ આવવી જરૂરી છે.
સુરત     – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top