Gujarat

નવા શૈક્ષણિક વર્ષથી રાજયમાં વિદ્યાર્થીઓને એસટી બસનો પાસ ઓનલાઈન મળશે

ગાંધીનગર : રાજયમાં નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીને (Student) ઓન લાઈન એસટી બસનો (ST Bus) પાસ (Pass) કાઢી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમમાં વિદ્યાર્થીને મોબાઈલ (Mobile) અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરાવી આંગળીના ટેરવે પોતાનો બસનો પાસ કાઢી શકશે. આ નવી સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી પત્રક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન વેરિફિકેશન કરવામાં આવશે.

હવે વેરિફિકેશન ગુજરાત વાહન વ્યવહાર નિગમના સર્વરની અંદર જશે અને શૈક્ષણિક સંસ્થાઓના વેરિફિકેશન બાદ વિદ્યાર્થી પાસ મેળવી શકશે. આ નવી ઓનલાઈન સિસ્ટમનનો લાભ દૈનિક એસટી બસમાં અપ ડાઉન કરાતં પ્રવાસીઓને પણ મળશે. આ નવી સિસ્ટમ પ્રમાણે દૈનિક પ્રવાસ કરતા પ્રવાસીઓ પણ ઓનલાઇન પાસ મેળવી શકશે. આ સેવાનો લાભ રાજ્યના 4,73,769 ગ્રામીણ વિદ્યાર્થી અને 43, 392 શહેરી વિદ્યાર્થીને મળશે જ્યારે દૈનિક માં 80 પ્રવાસ કરતાં 80,339 મહિલા પ્રવાસી અને 2 લાખ 32 હજાર 495 પુરુષ મુસાફરોને પણ આ લાભ મળશે.

વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ અંતર્ગત વિદ્યાર્થી અને મુસાફરો માટે મહત્વની ઈ-પાસ સિસ્ટમનો ગાંધીનગરથી શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૨ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભથી નવી ઇ-પાસ સિસ્ટમ અમલી થશે. એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થી-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે. વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ થકી રોજિંદા ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીને પ્રત્યક્ષ લાભ થશે. નવી ઈ-પાસ સિસ્ટમના અમલીકરણથી વિદ્યાર્થી તેમજ રોજીંદા મુસાફરોના સમયનો બચાવ થશે. ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકાશે જેથી રાજ્યમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધવાથી ડિજિટલ ક્રાંતિને વેગ મળશે. વધુમાં, નજીકના કોઈ પણ બસ સ્ટેશન ખાતેથી પાસની પ્રિન્ટ મેળવી શકાશે અને લાઈનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે.

તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના ડેટાનું જોડાણ કરીને વિદ્યાર્થી માટે વધુ સુવિધાજનક સેવાઓ પૂરી પાડવાના હેતુથી ઈ-પાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ સિસ્ટમ અંતર્ગત ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. આગામી સમયમાં રાજ્યની આઈ.ટી.આઈ. તથા કોલેજોનો સમાવેશ કરવાની કામગીરી હાથ ધરાશે. રાજ્યમાં હાલ નિગમ દ્વારા ૧૨૫ બસ સ્ટેશનો, ૧૦૫ કંટ્રોલ પોઇન્ટ તેમજ ૩૩,૯૧૫થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ મારફતે દર વર્ષે ૫.૧૭ લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને ૪.૯૩ લાખથી વધુ વિદ્યાર્થી મળી કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીને રાહતદરના પાસ આપવામાં આવે છે. તેમજ ૮૦ હજારથી વધુ રોજીંદા મહિલા અને ૨.૩૨ લાખથી વધુ પુરૂષ રોજીંદા મુસાફરો મળી કુલ ૩ લાખથી વધુ રોજીંદા મુસાફરોને પાસની સુવિધા ૫૦ ટકા રાહત દરે (૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરી યોજના) આપવામાં આવે છે. ઈ-પાસ સિસ્ટમ થકી વિદ્યાર્થી અને મુસાફરો પોતે જ કોમ્પ્યુટર અથવા મોબાઈલથી રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

એસટી નિગમના એમડી એમ. એ. ગાંધીએ કહ્યું હતું કે, નિગમના રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીને લાઈનમાં ઊભું રહેવું ન પડે અને ઓનલાઈન પેમેન્ટ તેમજ વિદ્યાર્થીના વેરીફિકેશન થકી ત્વરિત આઈ કાર્ડ પાસ મેળવી શકાય તેવા હેતુથી ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન ઈ-પાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. pass.grtc.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વિદ્યાર્થી તથા દૈનિક મુસાફરોને ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આપવામાં આવશે. વિદ્યાર્થીના કિસ્સામાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આ એપ્લિકેશનનું વેરિફિકેશન પણ જે-તે ધોરણ ૧ થી ૧૨ માટેની શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. ત્યારબાદ ઓનલાઇન અથવા ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ આવશે જેની જાણ અરજીકર્તાના મોબાઈલ પર પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં વિદ્યાર્થી અને રોજીંદા મુસાફરોએ નિયત કાઉન્ટર પરથી અરજી પત્રક મેળવવાનું રહે છે. ત્યારબાદ આ અરજી પત્રક મેન્યુઅલી ભરવાનું રહે છે. અરજી પત્રક ભર્યા પછી સંબંધિત શૈક્ષણિક સંસ્થાના સહી-સિક્કા કરાવ્યાબાદ નિગમના કાઉન્ટર પર એપ્લિકેશન ફોર્મ આપી રોકડ ચુકવણું કર્યા બાદ આઈ કાર્ડ/પાસ મેળવી શકાય છે.

Most Popular

To Top