National

“અમે બજરંગ બલીના ભક્ત છીએ, કેટલાંક અસામાજિક તત્વોએ PM વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે” : વિનેશ ફોગાટ

નવી દિલ્હી : 23 એપ્રિલથી ધરણા (Strike) પર બેસેલા કુશ્તીબાજો બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માગ કરી રહ્યાં છે. કુશ્તીબાજોનાં સમર્થન માટે ખાપ પંચાયતોએ દિલ્હી (Delhi) તરફ કૂચ કરી હતી. ત્યારે સોમવારે જંતર મંતર પર હડકંપ મચી ગયો હતો. પંજાબના ખેડૂતોએ બેરિકેડ તોડવાની અને પ્રઘાનમંત્રી મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે પહેલવાન વિનેશ ફોગાટે કહ્યું હતું કે અમે બજરંગ બલીના ભક્ત છીએ. અમે કોઈ બેરિકોડ તોડ્યા નથી. અમારા લોકોએ પ્રધાનમંત્રી વિરુદ્ઘ કોઈ સૂત્રોચ્ચાર પણ કર્યા નથી. કેટલાક અસામાજિક તત્વોએ નારા લગાવ્યાં છે. ફોગાટે કહ્યું ખેડૂતોનું યુનિયન અમારી સાથે છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે જંતર મંતર પર પ્રદર્શન કરનારાઓને જરુરી તમામ સગવડો આપવામાં આવી રહી છે. જે સ્થળ પર ધરણાં ચાલું છે ત્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસે સૌને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે.

21 મે સુધી બ્રિજ ભૂષણની ધરપકડ ન કરવામાં આવે તો મોટાં પાયા પર સરકાર વિરુદ્ધ આંદોલન થશે
રવિવારે પંજાબના કાર્યકર્તાઓ સાથે પહોંચેલા સંગઠન BKUનાં જોગિંદરે ઘોષણા કરી હતી કે તે 11 મેથી 18 મે સુધી દેશભરમાં મોદી સરકાર અને બ્રિજ ભૂષણના પૂતળાઓને સળગાવશે અને પોતાનો વિરોધ વ્યકત કરશે. જો બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ કરવામાં ન આવે તો સરકારને મોટાં આંદોલનની પણ ચેતવણી આપવામાં આવી છે. કુશ્તીબાજો, ખેડૂતો અને ખાપ પંચાયતોએ કહ્યું છે કે જો 21 મે સુધી બ્રિજ ભૂષણની ધરપકડ ન કરવામાં આવે તો મોટાં પાયા પર સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે.

દેશનું માન વધારનારાઓની સાથે બહારી વ્યકિત જેવું વર્તન: રાકેશ ટિકૈત
કુશ્તીબાજોના સમર્થનમાં તેમજ આ મુદ્દે એકશન ન લેવાતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ મુદ્દે મોદી સરકારની ટીકા કેમ નથી થઈ રહી, શું આ મુદ્દે રાહુલ ગાંધીની ટીકા કરવી જોઈએ? તેમણે કહ્યું કે ભૂતને ઉતારવું ​​પડશે. ટિકૈતે પૂછ્યું કે શું દિલ્હી પોલીસે આ પહેલા આવી જ કલમો હેઠળ કોઈની ધરપકડ કરી નથી? જો ધરપકડ ન કરી હોય તો બ્રિજ ભૂષણની ધરપકડ નહીં કરશો અને જો કરી હોય તો આગળની કાર્યવાહી હાથ ધરશો. ટિકૈતે કહ્યું હતું કે ખેલાડીઓએ અમને શાંતિપૂર્ણ આંદોલન કરવા કહ્યું છે. જેણે દેશનું માન વધાવ્યું તેઓને જ આજે સાંભળવામાં નથી આવી રહ્યાં. દેશનું માન વધારનારાઓની સાથે બહારી વ્યકિત જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

એક પણ ગુનો સાબિત થશે તો હું ફાંસી પર ચઢી જઈશ: બ્રિજભૂષણ શરણ સિંહ
ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે હરિયાણાની ખાપ પંચાયતો અને જાટોને અપીલ કરી હતી કે તેઓ દિલ્હી આવતા પહેલા તેમના ગામ અથવા નજીકના વિસ્તારોમાં કોઈપણ કુશ્તીબાજને તેઓ વિશે પૂછી લે. બ્રિજ ભૂષણે કહ્યું હતું કે તે જે લડાઈ લડી રહ્યો છે તે જુનિયર બાળકો માટે છે. તેણે કહ્યું કે ગરીબ માતા-પિતા પણ તેમના બાળકોને કુશ્તીબાજ બનાવવા માંગે છે. તેણે કહ્યું હું તેમની લડાઈ લડી રહ્યો છું. જો એક પણ ગુનો સાબિત થશે તો હું ફાંસી પર ચઢી જઈશ.

Most Popular

To Top