Comments

હૃદયમાં વસંત ખીલવી જોઈએ….!

મેરે સપનોંકી રાની કબ આયેગી તૂં, આઈ ઋત મસ્તાની કબ આયેગી તૂં

બીતી જાયે જિંદગાની કબ આયેગી તૂં, ચલી આઆઆ તૂં ચલીઆઆઆ

મહુડાના ઝાડવા નીચે બેસીને આવી કડી લલકારતો કોઈ પ્રણયઘેલો ‘વસંત-પંચમી’ એ જોવા મળે તો, ઊભા રહેજો. તાળીઓ પાડીને એકદમ ‘વાહ-વાહી’ નહિ કરતા. વધારે દુ:ખી થશે.   સંભવ છે કે, શૃંગારને બદલે એમાં વેદનાનો ભાર પણ હોય..! ભાઈની પ્રેમિકા રેઢો મૂકીને ભાગી ગઈ હોય ને કાનખજૂરો બરબાદ થઈને, ‘વસંત-ઋતુ’ ના ચટકાથી અકળાઈને વેદના પણ ઠાલવતો હોય!

આ તો આપણો એક જાલિમ અનુભવ! નજરઅંદાજ કરીએ તો  ‘પ્રણય-પાપ’ લાગે..! (આ ‘પ્રણય-પાપ’ વાળું હમણાં નવા સેલીબર્સમાં છે, એટલે જૂનાં ચોપડા ફંફોળવા નહિ..!) બને તો પાસે બેસીને એને સાંભળવાનો. હૈયાધરપત આપવાની કે, આમ શરીરનું ડીમોલેશન નહિ કરાય! આવવાની જ હશે તો જરૂર આવશે.

પ્રેમમાં ક્યાં કોઈ  ‘ટાઈમ-ટેબલ’  હોય છે..? વાંહો થપથપાવીને ‘સેલીબ્રેટીઓ’ ઓના પ્રણય-કિસ્સાઓ સંભળાવવાના..! ‘તું નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી’ વાળી ફોર્મ્યુલા બતાવીને ટાઢો પાડવાનો.  ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ જો લાધી ગયું, તો  કદાચ પાછો મજબૂત પણ થઇ જાય..! શાસ્ત્રમાં ઉલ્લેખ હોય કે ના હોય, આ પણ માનવતાનું જ કામ કહેવાય. એ તો સારું છે કે, અમારો શ્રીશ્રી ભગો રાજકારણી નથી એટલે, બાકી એક વાર તો કહી નાંખે કે, ‘આમ કરવાથી તો ‘૧૦૦ ગાયોના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય..!’ એના કપાળમાં કાંદા ફોડું..! ‘ વેલેન્ટાઈન’ નો પણ શું ‘સાલો ઉછાળ’ આવવા માંડ્યો છે..? સારું છે કે, ‘વેલેન્ટાઈન’ વસંત-ઋતુમાં જ આવે છે, ઉનાળામાં આવતી હોત તો, ભલભલાં પ્રેમઘેલાંઓ પરસેવામાં પીલ્લેલા મરઘાં જેવાં થઇ જાત.

જે મગજને પણ વંટોળે ચઢાવે, એનું નામ વસંતઋતુ! ને સુકાયેલા બાવળમાંથી પણ ફૂટ ફૂટવા માંડે એનું નામ વસંત-ઋતુ..! બાકી પાનખર જેને આભડી જ ગઈ છે, એણે લીંબુ-મરચું બાંધવાની જરૂર નથી. એને બધી જ ઋતુ સરખી..!  કાલે ઇતને સબ જાંબુ જેવું..! કોઈ ઋતુ માનીતી નહિ, ને કોઈ અણખામણી નહિ..! ‘હમ બૈઠે રહે દિલ થામકે, ઔર કારવાં ગુજર ગયા’ ની માફક, વસંત ઋતુમાં પણ ખભે શાલ વીંટાળીને સંતની માફક પડી રહેવું સારું..! એ બાવળિયા પછી કદંબના ઝાડ નીચે સાધના કરે કે, બાવળિયા નીચે, ક્યા ફરક પડતા હૈ..? 

વસંત-પંચમી આવે, એટલે ભલભલાની જન્મ-કુંડળીઓ સિદ્ધ થવા માંડે. જેની કુંડળીઓ આડી નથી ફાટી, એના બ્યુગલ વાગવા માંડે. ફટાકડાઓ રસ્તા ઉપર આવીને પોત પ્રકાશતા થઇ જાય. ઘોડાઓ વરરાજાને શોધતા થઇ જાય.

કેસુડાંઓ પીલાતા હોય, આમ્રમંજરીઓ ફાટ-ફાટ થતી હોય, ચારેય કોર મઘમઘ થતો માહોલ હોય, મોરલાઓ ટેહુક-ટેહુક કરતાં હોય ને, કોયલો કામધંધા છોડીને ઝાડવે-ઝાડવે કેકારવ કરતી હોય, ત્યારે સમજવું કે, ઝાડવાંઓ પણ કોઈ મંગલ પ્રસંગ કાઢીને ઊભાં છે. કુંવારાઓએ તો સમજી જ લેવાનું કે, ગ્રહ-દશાઓ હવે બેસવાને બદલે, ઊઠવાની તૈયારીમાં છે. વસંત ઋતુને શોધવા માટે, પંચાંગ ફંફોળવાની જરૂર જ નહિ પડે.

ઝાડવાં જ એવાં કેસરિયાં કરીને બેઠાં હોય કે, નહિ પરણવાની ગાંઠ બાંધીને બેઠેલામાં  પણ પૈણવાની જેહાદી ઉપડે..! એનું પણ મનડું પલળે કે, લાવ ‘યાહોમ કરીને પડું, ફત્તેહ છે આગે..!’ ઋતુ જોઇને પીઠી ચોળી જ નાંખું..! કોયલને પણ કેસુડોમાં પલળવાનું મન થાય, તો પછી હું શું કામ બળવાખોર બનું..? વસંત ઋતુની રૂટ જ એવી કે, એક વાર કવિ શ્રી મુકેશ જોશીને પણ શબ્દોની ફૂટ નીકળેલી. એમની રચના માણવા જેવી છે..!

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી’તી દાદાને ચિઠ્ઠી

લખવાનું લિખિતંગ બાકી હતું ને મારા અંગે ચોળાઈ ગઈ પીઠી 

જીવનમાં વસંત હોય કે ખાલીપો, ગામડાઓમાં આજે પણ દાદાનું કદ દરેક ઋતુમાં સરખું જ હોય. વસંત બેસે એટલે પ્રકૃતિની દશા ઊઠે..!  સાલું એ સમજાતું નથી કે, થનગનતા યુવાન હૈયાને હિલોળે ચઢાવવા માટે જ વસંતના વાયરા ફૂંકાતા હશે, કે પછી પરણીને લોકો ઠેકાણે પડે, એટલે વસંતની લહેર પ્રગટ થતી હશે..? સંશોધન કરવા જેવો વિષય છે! વરરાજા કરતાં ઘોડો ગમે એટલો રૂપાળો હોય કે યુવાન હોય, છતાં ઘોડાને બદલે વરરાજા જ ‘વધારે ઝામે એ વસંતઋતુનું મેજિક છે.

એક વાર વરઘોડો નીકળવો જોઈએ, પ્રકૃતિ તરત એને ગોદમાં લઇ લે! વ્યથા એ વાતની છે કે, વસંતઋતુને માણવાનો કે દેખવાનો સમય જ કોને છે? વસંતના ફાલ કરતાં સ્થાનિક ચૂંટણીના જ ધૂમધડાકા એવા થવાના કે, ખુદ વસંત હાંફી જવાની..! પેટ્રોલ કે સોનાના ભાવ ગબડે કે ભડકે બળે, એટીએમ ચાલે કે અટકે, કોને પડી છે? એની દાનત તો, ટ્રમ્પ હવે કયો ‘જમ્પ’ મારશે ? 

ચાઈના હવે કઈ વિશ્વ ઉપાધિ ઊભી કરશે..? બજેટના બેગડામાંથી સસલાં નીકળ્યાં કે ફેણીયા વગેરે વગેરેમાં વ્યસ્ત છે! આવાં કરમઘેલાને વસંત આભડે..?  સંતની માફક વસંતમાં પણ, ‘ચલતીકા નામ ગાડી’ જેવું જીવવાનું ને, રામ-રામ કરવાનું..! વસંત પ્રકૃતિમાં ખીલે એ પૂરતું નથી, હૃદયમાં ખીલવી જોઈએ. કુંડામાં કેસુડો રોપી દેવાથી વાર્તા પૂરી થતી નથી.

વસંતને પામવા માટે હ્રદયમાં પણ વાસંતિકા ભાવ જોઈએ. નકલી કેસુડાના ફૂલથી અંજાઈને, કોયલ ક્યારેય કેકારવ કરવા આવતી નથી. કોયલને તો મઘમઘ થતી સુગંધને સૂંઘવાની ટેવ હોય. બનાવેલા ઉકરડા ઉપર બગીચા બનાવવાની શ્રમ-સાધના કરીએ, તો જ વસંતનો પમરાટ મળે. એ તો સારું છે કે, ‘વસંત પંચમી’ ને તાણી લાવવા, ઝાડવા પાસે મતદાન કરાવવાનું કોઈ પ્રાકૃતિક બંધારણ નથી. નહિ તો બંધારણ મચેડીને વસંતનું પણ ખાનગીકરણ કરી દે..!

વસંત-પંચમી તો દર વર્ષે આવે જ છે ને..? પણ  એને લૂંટવાનું કૌવત જોઈએ. વસંત પંચમી પંચાંગમાં નહિ, આચરણમાં જોઈએ. ‘હાથમાં હોય શંકાનો નકશો ને જવું છે શ્રદ્ધા સુધી, પગમાં લંકા ખદબદે ને જવું છે અવધ સુધી’ એને યાત્રા નહિ કહેવાય, સ્વછંદતાની માત્રા કહેવાય. ગીતોમાં વસંત છે, રાગ-રાગણીમાં વસંત છે. વૃક્ષોની વનરાજી ને પક્ષીઓના કલરવમાં વસંત છે.

પણ આચારવિચારમાં વસંત ના હોય તો, પાનખરિયાઓ માટે તો બારેય માસ અમાસ રહેવાની. વસંત ક્યારેય રજા પાડતી નથી. પણ ઉકરડાઓને બદલે બગીચાઓ બનાવવાની ચેષ્ટા જાગે તો, વસંતને અમાસ પણ આડી આવતી નથી..! પછી તો, સમઝાવ્યા છતાં સમઝે નહિ, એ જનાવરની જાત અખો કહે અમે શું કરીએ, એ નથી અમારી ન્યાત…..!

લાસ્ટ ધ બોલ

‘વસંતે મને માર્યો..!’ આવડતું હોય તો એનું અંગ્રેજી કરો.

વસંત-પંચ-મી..!

( વેલેન્ટાઈન ડે ની પ્રક્રિયા આખા દેશમાં શરૂ થઇ ગઈ છે. ઘરમાં રહો અને સ્વસ્થ રહો )

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top