Business

શાકિબ અલ હસનના મગુરા સ્થિત ઘરમાં તોડફોડ, શેખ હસીનાના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ હુમલો

બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને પૂર્વ સાંસદ શાકિબ અલ હસનના મગુરા જિલ્લાના પિતૃક નિવાસસ્થાન પર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને તોડફોડ કરવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના એવા સમયે બની છે જ્યારે હુમલાના થોડા કલાકો પહેલાં જ શાકિબ અલ હસન ભારતમાંથી યોજાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વર્ચ્યુઅલ મીડિયા સંબોધનમાં જોડાયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર મામલાએ રાજકીય રંગ ધારણ કર્યો છે.

ઘર પર પથ્થરમારો અને આગ લગાવવાનો પ્રયાસ

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે લગભગ 8:45 વાગ્યે કેટલાક લોકોનુ ટોળુ શાકિબ અલ હસનના ઘર બહાર પહોંચ્યુ હતુ. હુમલાખોરોએ ઘરની બારીઓ પર પથ્થરો અને ઈંટો ફેંકતા કાચ તૂટી ગયા હતા. એટલું જ નહીં, ઘરને આગ ચાંપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક મીડિયા દ્વારા હુમલા દરમિયાન પેટ્રોલ બોમ્બ ફેંકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસ તરફથી હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

હુમલા બાદ સુરક્ષા વધારાઈ, તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શાકિબના નિવાસસ્થાન બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. હાલમાં પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલાના કારણોની તપાસ કરી રહી છે.

શેખ હસીનાના કાર્યક્રમ બાદ વધ્યો વિવાદ

આ હુમલાનો સમય રાજકીય રીતે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હુમલાના થોડા કલાકો પહેલાં જ નવી દિલ્હીથી યોજાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વર્ચ્યુઅલ મીડિયા કાર્યક્રમમાં શાકિબ અલ હસન હાજર રહ્યા હતા. આ સંબોધનમાં શેખ હસીનાએ 2024ના રાજકીય ઘટનાક્રમ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને પોતાની પાર્ટી પર લાગેલા પ્રતિબંધો દૂર કરવાની માંગ પણ કરી હતી.

ક્રિકેટરથી રાજકારણી સુધીનો સફર

શાકિબ અલ હસન માત્ર બાંગ્લાદેશના સફળ ક્રિકેટરોમાંના એક નથી, પરંતુ તેઓ રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે.

  • 2024ની સામાન્ય ચૂંટણીમાં તેમણે અવામી લીગની ટિકિટ પર જીત મેળવી હતી.
  • ત્યારબાદ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થતાં અવામી લીગની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો.
  • પાર્ટી સાથે જોડાયેલા અનેક નેતાઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

દેશની બહાર રહે છે શાકિબ

સરકાર બદલાયા બાદથી શાકિબ અલ હસન બાંગ્લાદેશ પરત ફર્યા નથી. તેમના વિરુદ્ધ અનેક ફોજદારી કેસ નોંધાયા હોવાનું કહેવાય છે, જેમાં હત્યા સંબંધિત એક કેસનો પણ સમાવેશ થાય છે. શાકિબે અગાઉ જણાવ્યું હતું કે જો તેમને સુરક્ષા અને નિષ્પક્ષ કાનૂની પ્રક્રિયાની ખાતરી આપવામાં આવશે તો તેઓ વતન પરત ફરવા તૈયાર છે.

હાલ તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા ખાતે રહે છે અને વિશ્વભરની વિવિધ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગોમાં રમતા રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં રાષ્ટ્રીય ટીમમાં તેમની વાપસીની શક્યતાઓ સંપૂર્ણપણે બંધ થઈ નથી. આ સમગ્ર ઘટનામાં હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

Most Popular

To Top