Sports

રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર, આ છે કારણ…

દુબઈ: એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય (India) ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એશિયા કપ 2022ની (AsiaCup2022) બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ અંગે માહિતી આપી છે. જાડેજાએ પાકિસ્તાન (Pakistan) સામેની મેચમાં બેટથી શાનદાર રમત બતાવતા 35 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ હોંગકોંગ સામે પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. જાડેજાના સ્થાને અક્ષર પટેલનો (AxarPatel) સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ (BCCI) જણાવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા સિલેક્શન કમિટીએ ચાલુ એશિયા કપ માટે રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલનું નામ આપ્યું છે.” રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેના સ્થાને અક્ષર પટેલ કે જેને અગાઉ ટીમમાં સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો તે ટૂંક સમયમાં દુબઈમાં ટીમ સાથે જોડાશે.

એશિયા કપમાં ભારતીય ટીમે પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ પછી બીજી મેચમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે ભારતીય ટીમ સુપર-4 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે ભારતીય ટીમે તેની આગામી મેચ રવિવારે (4 સપ્ટેમ્બર) રમવાની છે. આ મેચ પાકિસ્તાન અથવા હોંગકોંગ વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે થશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે વિરામ માટે ઘણો સમય છે.

ભારતીય ટીમની દુબઈના દરિયામાં મસ્તી, બીસીસીઆઈએ શેર કર્યો વીડિયો
આ બ્રેક ટાઈમનો ફાયદો ઉઠાવતા ભારતીય ખેલાડીઓ દરિયામાં અને તેના કિનારે મસ્તી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ દુબઈના પામ જુમેરાહ રિસોર્ટમાં રોકાઈ રહી છે. આ હોટેલ સમુદ્રના કિનારે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે અન્ય ખેલાડીઓ પણ દરિયામાં નૌકાવિહાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પણ પોતાનું શરીર બતાવ્યું. બોટ રાઈડ દરમિયાન સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર દિનેશ કાર્તિક સામસામે આવી ગયા હતા. આના પર કાર્તિકે મજાકમાં અશ્વિનને ચપ્પુ તરફ ઈશારો કરીને ચાલ્યા જવા કહ્યું. બંનેએ ખૂબ મજા કરી.

Most Popular

To Top