Entertainment

રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર ‘રામાયણ ભાગ 1’ની રિલીઝ ડેટ જાહેર, ગ્લોબલ ઓડિયન્સ માટે અંગ્રેજી ટ્રેલર આઉટ

દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની બહુપ્રતિક્ષિત મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ ના પ્રથમ ભાગની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નિર્માતાઓ અને સોની પિક્ચર્સે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા જણાવ્યું છે કે આ મહાકાવ્ય આધારિત ફિલ્મનો પ્રથમ ભાગ 6 નવેમ્બર, 2026ના રોજ દિવાળીના બે દિવસ પહેલા થિયેટરોમાં રિલીઝ થશે.

આ સાથે જ ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2027 ની આસપાસ રિલીઝ કરવાની યોજના છે, જોકે ‘રામાયણ: ભાગ 2’ ની ચોક્કસ રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આંતરરાષ્ટ્રીય દર્શકો માટે અંગ્રેજી ટ્રેલર જાહેર

વૈશ્વિક સ્તરે ફિલ્મને લોકપ્રિય બનાવવાના હેતુથી નિર્માતાઓએ આ જાહેરાત સાથે જ ફિલ્મનું એક ખાસ અંગ્રેજી ટ્રેલર પણ આઉટ કર્યું છે. સામાન્ય ડબિંગ વાળા ટ્રેલરથી અલગ, આ અંગ્રેજી એડિશનમાં તમામ મુખ્ય પાત્રો અંગ્રેજી બોલતા જોવા મળશે. નિર્માતા નમિત મલ્હોત્રાએ અગાઉ પણ ભારપૂર્વક કહ્યું હતું કે રામાયણને વૈશ્વિક પ્લેટફોર્મ પર પહોંચાડવા માટે યોગ્ય ટેકનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અપનાવવામાં આવ્યું છે.

ટ્રેલરની ઝલક અને સશક્ત સ્ટાર કાસ્ટ

જુલાઈ 2026માં રિલીઝ થયેલા પ્રાથમિક ઝલક બાદ સામે આવેલા આ ફૂટેજમાં મહાકાવ્યની રોમાંચક ઝલક જોવા મળે છે:

  • રાવણ તરીકે કન્નડ સુપરસ્ટાર યશ: ટ્રેલરની શરૂઆત યશ (રાવણ) દ્વારા ત્રણેય લોક પર આધિપત્ય જમાવવા અને વિધ્વંસ મચાવવાથી થાય છે.
  • ભગવાન રામ અને સીતા: સંસારમાં સંતુલન જાળવવા ભગવાન વિષ્ણુ રામના અવતારમાં આવે છે, જેમાં રણબીર કપૂર શ્રી રામના પાત્રમાં અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં નજરે પડે છે.
  • વનવાસ અને સીતાહરણ: 14 વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ (રવી દુબે) પણ તેમની સાથે જોડાય છે, જે બાદ રાવણ દ્વારા સીતાજીનું અપહરણ કરાતા અધર્મ સામે ધર્મના મહાયુદ્ધની પૃષ્ઠભૂમિ તૈયાર થાય છે.

10 ભાગની કહાની બે ફિલ્મમાં દર્શાવવી એ મોટો પડકાર: રણબીર કપૂર

ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂરે ‘ધ ડાયરેક્ટ’ સાથે વાતચીત કરતી વખતે સ્વીકાર્યું હતું કે, રામાયણ જેવી વિશાળ વાર્તાને માત્ર બે ભાગમાં સમાવવી અત્યંત મુશ્કેલ કામ છે. તેમણે કહ્યું કે, “સાચું કહું તો રામાયણની સંપૂર્ણ વાર્તા દર્શાવવા માટે ઓછામાં ઓછા 10 ભાગની જરૂર પડે, પરંતુ તેને બે ભાગમાં સંક્ષિપ્ત કરીને રજૂ કરવું મોટો પડકાર રહ્યો છે.”

આ સાથે જ રણબીર કપૂરે વાર્તાને આધુનિક બનાવવાના વિચારને નકારતા ઉમેર્યું હતું કે, રામાયણ છેલ્લા 4,000 વર્ષથી વધુ સમયથી પ્રાસંગિક રહી છે અને તેના સત્ય, કરુણા, સાહસ અને ત્યાગના મૂલ્યો આજે પણ માનવજાત માટે જીવનનો પાઠ છે.

Most Popular

To Top