Entertainment

‘આદિપુરુષ’ વિવાદો વચ્ચે રામાનંદ સાગરની ‘રામાયણ’ ની ટીવી પર ફરી એન્ટ્રી

મુંબઈ: રામાયણ (Ramayan) પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ને (Adipurush) લઈને દેશભરમાં વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થયાના 12 દિવસ બાદ પણ લોકોનો ગુસ્સો શાંત થયો નથી. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ મેગા બજેટ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે, ત્યારે ‘રામાયણ’ના ચાહકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. 1980ના દાયકાની પ્રખ્યાત ટીવી સીરિયલ (TV serial) ‘રામાયણ’ ફરીથી ટેલિકાસ્ટ થવાની તૈયારીમાં છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો રામાયણનો પ્રોમો
ઓમ રાઉતે ફિલ્મની જાહેરાત કરી ત્યારથી જ અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા જેવી સ્ટાર કાસ્ટ સાથે બનેલી આ પૌરાણિક સિરિયલ સાથે ‘આદિપુરુષ’ની સરખામણી કરવામાં આવી રહી હતી. લોકડાઉનમાં લોકોને ફરીથી રામ કથા વિશે જાગૃત કર્યા પછી, રામાનંદ સાગર દ્વારા રચિત ‘રામાયણ’ ફરી એકવાર ટીવી પર પાછી આવી રહી છે. વાસ્તવમાં, ચેનલ શેમારૂ ટીવીએ સુપરહિટ શો રામાયણનો પ્રોમો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું કે “અમે તમારા બધા પ્રિય દર્શકો માટે વિશ્વ પ્રસિદ્ધ પૌરાણિક ધારાવાહિક રામાયણ લાવી રહ્યા છીએ… 3જી જુલાઈથી રામાયણ ફક્ત સાંજે 7:30 વાગ્યે જુઓ. શેમારૂ ટીવી પર તમારી મનપસંદ ચેનલ.”

ક્યારથી શરૂ થશે રિ-ટેલિકાસ્ટ?
રામાનંદ સાગર નિર્દેશિત રામાયણ 1980ના દાયકામાં લોકપ્રિય સિરિયલ હતી. આ સિરીઝમાં અરુણ ગોવિલ રામ તરીકે, દીપિકા ચિખલિયા સીતા તરીકે અને સુનિલ લહેરી લક્ષ્મણની ભૂમિકામાં છે. આ પૌરાણિક સિરિયલ શેમારુ ટીવી ચેનલ પર 3 જુલાઈથી સાંજે 7:30 વાગ્યે પ્રસારિત થશે. સ્વર્ગસ્થ દારા સિંહે તેમાં હનુમાનનું પાત્ર ભજવ્યું હતું અને અરવિંદ ત્રિવેદી રાવણના પાત્રમાં હતા. આ શો મૂળરૂપે 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 દરમિયાન પ્રસારિત થયો હતો અને તેને પ્રેક્ષકોનો ભારે પ્રેમ મળ્યો હતો.

રામાયણનો પ્રોમો રિલીઝ થયા બાદ લોકો ઉત્સાહભેર થયા
જો કે ટીવી પર શોના પુનરાગમનની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સોશિયલ મીડિયા પર તેની સરખામણી ઓમ રાઉતની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ સાથે કરવામાં આવી રહી છે. મેકર્સે રામાયણનો પ્રોમો રિલીઝ કર્યા બાદ તરત જ ચાહકો આ પોસ્ટ પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક ચાહકે લખ્યું, ‘જય સિયા રામ.’ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી કે અગાઉ 2020 માં, કોવિડ-લોકડાઉન દરમિયાન, દૂરદર્શને જાહેર માંગ પર પૌરાણિક શ્રેણીઓનું ફરીથી પ્રસારણ કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે પણ દેશના લોકોએ તેને વ્યાપકપણે જોયો હતો.

Most Popular

To Top