National

આજે પાવર ગ્રિડને બચાવવા પાવર મંત્રાલયની ‘પાવરપેક્ડ’ મથામણ, જાણો શું છે આયોજન

રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ ફ્લેશ લાઇટ જલાવશે. કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન સમજે અને એક્તાની તાકાતનો પરિચય થાય એ માટે મોદીએ આમ કરવા કહ્યું છે પણ આનાથી દેશની પાવરગ્રિડ સામે સંકટ પેદા થઈ શકે છે એવી ભીતિ ઊભી થઈ હતી. અચાનક લાઇટો બંધ થવાથી અને 9 મિનિટ્સ બાદ સામટી લાઇટો ચાલુ થવાથી વૉલ્ટેજ સર્જ આવી શકે એવી દહેશતને ટાઢી પાડતા સરકારે એમ કહ્યું કે એપ્લાયન્સીસને કોઇ પણ નુક્સાન થયા વિના માગમાં વેરિયેશનને હેન્ડલ કરવા માટે પૂરતા પ્રોટોકોલ્સ છે.

ઘણા રાજ્યોએ પાવર યુટિલિટિઝને પત્રો લખ્યા હતા અને વીજળીની માગમાં અચાનક ઘટાડો થવાની શક્યતાને પહોંચી વળવા પગલાં લેવા કહ્યું હતું. અત્યારે આમેય લૉકડાઉનના કારણે મોટા ભાગના ધંધા બંધ છે ત્યારે વીજળીની માગ 25% ઘટીને ૧૨૫.૮૧ ગિગાવૉટ્સ થઈ ગઈ છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે આનાથી ગ્રિડમાં અસ્થિરતા અને વૉલ્ટેજમાં ફ્લ્ક્ચ્યુએશન આવવાની સંભાવના છે જેનાથી ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસને નુકસાન એવી દહેશતો વ્યક્ત કરાઇ છે એ દહેશત અસ્થાને છે. ભારતીય ઇલેક્ટ્રિસિટી ગ્રિડ ખડતલ અને સ્થિર છે અને માગમાં વધઘટને હેન્ડલ કરવા માટે પૂરતી વ્યવસ્થા અને પ્રોટોકોલ્સ છે. વડા પ્રધાનની અપીલ માત્ર રાતે 9 થી 9 મિનિટ ઘરોની લાઇટ બંધ કરવા માટે છે. સ્ટ્રીટ લાઇટો કે ઘરના કમ્પૂટર્સ, ટીવી, પંખા, ફ્રિજ અને એસી જેવા ઉપકરણો બંધ કરવા માટે કોઇ આહવાન નથી. હૉસ્પિટલો અને અને જાહેર સેવાઓ, પોલીસ મથકો, આવશ્યક સેવાઓની લાઈટ્સ ચાલુ રહેશે. તમામ સ્થાનિક સંસ્થાઓને કહેવાયું છે કે જાહેર સલામતી માટે સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ રહેવા દેવી.

કેન્દ્રીય ઉર્જા સચિવ સંજીવ નંદન સહાયે પણ રાજ્ય પાવર વિભાગોના વડાઓને પત્ર લખ્યો કે રવિવારે રાત્રે 9 મિનિટના ગાળા દરમ્યાન ગ્રિડ બેલેન્સિંગ માટે કેન્દ્રએ પ્રોસીજર ઘડી કાઢી છે. આ પ્રોસીજર પ્રાદેશિક અને રાજ્ય લોડ ડિસ્પેચ સેન્ટર્સને અલગથી જણાવાશે. લોકો ખાત્રી રાખે કે ચિંતાની કોઇ જરૂર નથી અને રાબેતા મુજબ એમના એપ્લાયન્સીસ ચાલુ રાખે. ઉર્જા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે દરેકની કાળજી લેવાઇ છે એતલે ગ્રિડની સ્થિરતા પર કોઇ અસર નહીં પડે.
દરમ્યાન ઉત્તર પ્રદેશના સ્ટેટ લૉડ ડિસ્પેચ સેન્ટરે સ્ટેટ યુટિલિટિઝને વીજમાગમાં અચાનક ઘટાડાની શક્યતાને પહોંચી વળવા શ્રેણીબદ્ધ પગલાં લેવા કહ્યું હતું. તમિનાડુ ટ્રાન્સમિશન કોર્પોરેશને પણ આવી સૂચના આપી હતી.

માત્ર ઘરની લાઇટો બંધ કરવાની છે, ફ્રિજ સહિતના બાકીના ઉપકરણો ચાલુ રાખવા
સ્ટ્રીટ લાઇટો પણ બંધ ન કરવા સ્થાનિક સંસ્થાઓને કહી દેવાયું છે, હૉસ્પિટલો, પોલીસ મથકો, આવશ્યક સેવાઓની લાઇટો ચાલુ રહેશે
આ મોરચે કોઇ પણ ચિંતા કરવાની જરૂર નથી એવી ખાત્રી આપતા સરકારે કહ્યું કે આહ્વાન માત્ર સ્વૈચ્છિક રીતે લાઇટો જ બંધ કરવાનું છે. કમ્પ્યૂટર્સ, ટીવી, ફ્રિજ અને એસી સામાન્ય રીતે ચાલશે. વળી હૉસ્પિટલો, પોલીસ મથકો અને ઉત્પાદન સુવિધાઓ સહિતની તમામ આવશ્યક સેવાઓની લાઈટો અને સ્ટ્રીટ લાઇટો બંધ કરવાની નથી.

અનામ રહેવાની શરતે એક અધિકારીએ કહ્યું કે 10 થી 12 ગિગાવૉટ્સની માગ ઘટી શકે પણ એની નેશનલ પાવર ગ્રિડ પર કોઇ અસર નહીં પડે. દેશ આવો અંધારપટ પહેલીવાર નથી કરતો. અર્થ અવરમાં પણ આમ થાય જ છે. 2012માં ટેકનિકલ કારણોસર ગ્રિડ ફેલ્યોર થઈ હતી.

ગ્રિડને નુકસાન ન થાય એ માટે આજે હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટાડી દેવાશે
ઇલેક્ટ્રિસિટી ગ્રિડના વ્યવસ્થાપન માટે જવાબદાર પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે ઘરેલુ લાઇટિંગનો લૉડ ૧૨-૧૩ ગિગાવૉટ્સથી વધારે નહીં હોય. સામાન્ય કામકાજથી ઊલટું લોડમાં ૧૨-૧૩ ગિગાવૉટ્સનો ઘટાડો 2-4 મિનિટ્સમાં થશે અને ૯ મિનિટ બાદ સુધરી જશે. લોડ અને રિકવરીમાં તીવ્ર ઘટાડાને હાઇડ્રો અને ગેસ સંસાધનોથી હેન્ડલ કરવો પડશે. તેનો ગેમપ્લાન એવો છે કે રવિવારે સાંજે ૬:10 થી ૮:00 દરમ્યાન હાઇડ્રો પાવર ઉત્પાદન ઘટાડી દેવું અને 9:00 વાગ્યાના કાર્યક્રમ માટે ફ્લેક્સિબિલિટી પૂરી પાડવા જાળવી રાખવું. સાથે જ પીક ડિમાન્ડને મેનેજ કરવા કોલસા આધારિત જનરેટર્સ અને ગેસ આધારિત પાવર સ્ટેશનોને એ રીતે શેડ્યુઅલ્સ કરાશે.
ભાજપના સાંસદ અને અટલબિહારી વાજપેયીના પીએમઓમાં સેવા આપનાર અમલદાર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે માત્ર લાઇટો બંધ કરવાથી વીજવપરાશમાં ૧૦-૧૫ ગિગાવોટ્સનો ઘટાડો આવી શકે. જો કે ચિંતાઓ ખોટી છે.

9 મિનિટના અંધારપટ માટે પાવર સિસ્ટમને આટલી બધી મથામણ બાદ આ રીતે મેનેજ કરાશે
9 મિનિટ આખો દેશ લાઇટો બંધ કરી દે અને પછી તરત સળગાવે તો અચાનક ઘટાડાથી ગ્રિડ કોલેપ્સ થવાની સંભાવના છે અને ત્યારબાદ ફરી ચાલુ થવાથી વૉલ્ટેજમાં ઉછાળો આવી શકે. પણ વીજળીમાં આ નાટ્યાત્મક ફેરફારોને અને એની ગ્રિડ પર અસર મેનેજ કરવા માટે સરકારે પૂરતી યોજના ઘડી છે. આખો એક્શન પ્લાન ઘડાયો છે એ નીચે મુજબ છે:

  1. લાઇટ સિવાયના ફ્રિજ-એસી-પંખા જેવા વીજઉપકરણો બંધ નથી કરવાના.
  2. સ્ટ્રીટ લાઇટો, પોલીસ મથકો, હૉસ્પિટલ્સ, ઉત્પાદન સેવાઓ અને આવશ્યક સેવાઓની લાઇટો બંધ નથી કરવાની.
  3. ઉપરના બે પગલાંથી લાઇટ બંધ રહે તો પણ નોંધપાત્ર ઘરેલુ વીજમાગ ચાલુ રહેશે.
  4. ગ્રિડને મેનેજ કરતી પાવર સિસ્ટમ કૉર્પોરેશન લિમિટેડે આખા ભારતનો લાઇટિંગ લૉડ મેપ્ડ કર્યો છે અને ૧૨૫ ગિગાવૉટ્સમાંથી 12-13 ગિગાવૉટ્સ માગ ઓછી થવાનો અંદાજ મૂક્યો છે.
  5. સામાન્યથી ઊલટું લૉડમાં આ ઘટાડો ૨-૪ મિનિટ્સમાં થવાનો છે અને 9 મિનિટ બાદ ફરી સુધરવાનો છે. આ તીવ્ર ઘટાડો અભૂતપૂર્વ હશે અને એને હાઇડ્રો અને ગેસ ઉત્પાદનોથી મેનેજ કરવો પડશે
  6. તમામ પ્રાદેશિક સંસ્થાઓને ગ્રિડ સાથેનું ઇન્ટરચેંજ શેડ્યુઅલ મુજબ જાળવવા સલાહ અપાઇ છે.
  7. ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને કહેવાયું કે રવિવારે રાત્રે 8 થી 10 દરમ્યાન કોઇ ફિડર સ્વિચિંગ ટાળવું.
  8. નેશનલ લેવલે કન્ટ્રૉલ રૂમ સ્ટાફ અને પ્રાદેશિક/ સ્ટેટ લૉડ સેન્ટર્સ પર સ્ટાફ મજબૂત બનાવાશે અને કોઇ પણ આકસ્મિકતાને હાથ ધરવા ગ્રિડ્સ પર ચાંપતી નજર રખાશે.
  9. સ્ટેટ લૉડ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર્સે ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએન એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે સબસ્ટેશનો અને હાઉસિંગ સોસાયટી/રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સના મેઇન સપ્લાયને ફીડર/મેઇન લેવલે સ્વિચ ઓફ ન કરવો.
  10. સાંજે 6:10 થી રાતે 8:00 સુધી ઇવનિંગ પિક અવર્સમાં હાઇડ્રો વીજ ઉત્પાદન ઘટાડી દેવાશે અને રાત્રે 9 વાગ્યાના કાર્યક્રમ માટે જાળવી રખાશે. આ સમય દરમ્યાન થર્મલ અને ગેસ પાવર ઉત્પાદન પીકને મેનેજ કરે એ રીતે શેડ્યુઅલ કરાયું છે.
  11. પીક અવર્સ બાદ થર્મલ ઇન્ટર સ્ટેટ જનરેટિંગ સ્ટેશને ઉત્પાદન ધીમે ધીમે ઘટાડીને રાતે 8:55 સુધીમાં 60%ના ટેકનિકલ મિનિમમ લેવલ સુધી લઈ જવાશે અને લૉડ જનરેશન બેલેન્સ જાળવવા સાથે સાથે હાઇડ્રો ઉત્પાદન વધારાશે.
  12. રાત્રે 8:57 મિનિટથી હાઇડ્રો અને ગેસ વીજ ઉત્પાદનને સિસ્ટમ ફ્રિકવન્સી પર ચાંપતી નજર રાખીને ઘટાડાશે. હાઇડ્રો યુનિટ્સને 0-10% રેટિંગ પર ચાલુ રખાશે અને આ સમય દરમ્યાન ડિસકનેક્ટ નહીં કરાય. ગેસ સ્ટેશન મિનિમમ લેવલે લઈ જવાશે.
  13. રાત્રે 9:05થી થર્મલ મશીન્સ રેમ્પ અપ કરાશે અને 9:09 વાગ્યાથી લૉડની માગ વધારાને પહોંચી વળવા હાઇડ્રો ઉત્પાદન વધારી દેવાશે. સિસ્ટમ પેરામિટર્સ સ્થિર થયા બાદ હાઇડ્રો યુનિટ્સ પાછા ખેંચી શકાશે.
  14. રાત્રે 8:45 સુધીમાં પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો યુનિટ્સને પમ્પીંગ મૉડમાં લવાશે અને 9:09 સુધી સેવામાં રખાશે. ત્યારબાદ આ મશીનો ગ્રિડમાંથી પાછા ખેંચી લેવાશે.
  15. આઇએસજીએસ/ઇન્ટ્રા સ્ટેટ લેવલના વિન્ડ જનરેટર્સને આપમેળે વિન્ડ જનરેટિંગ યુનિટ્સ અને પ્લાન્ટ્સ ડિસક્નેક્ટ કરવા અને રાત્રે 9:30 બાદ સિન્ક્રોનાઇઝ્ડ કરવા કહેવાયું છે.
  16. વૉલ્ટેજ ફ્લ્ક્ચ્યુએશન ટાળવા ઑલ ઇન્ડિયા ગ્રિડ ફ્રિકવન્સી રાત્રે 8:30થી આઇઇજીસી બૅન્ડના લોઅર સાઇડ એટલે કે ૪૯.૯૦ હર્ટ્ઝ પર રખાશે કેમ કે 9 વાગે માગ ઘટવાની છે.
  17. તમામ ડિફેન્સ મિકેનિઝમ જેવી કે ફ્રિકવન્સી/ડીએફ/ડીટી રિલે અને ઑટોમેટિક મેનેજમેન્ટ સિસ્ટમ સેવામાં હશે અને એની તંદુરસ્તી સુનિશ્ચિત કરાશે.
  18. 25 માર્ચથી લૉકડાઉન છે એટલે ૨૨૦-૨૪૦ લાઇન્સ (400 કેવી વૉલ્ટેજ લેવલ) અને એની ઉપરની વૉલ્ટેજ નિયમન માટે ઓપન રખાઇ છે. જ્યાં વૉલ્ટેજ લેવલ ૦.૦૧ પીયુથી વધવાની શક્યતા છે એ ઓળખી કઢાઇ છે.
  19. સ્ટેબલ વૉલ્ટેજ માટે રાત્રે 8:00 સુધીમાં તમામ ટ્રાન્સમિશન લાઇન, લાઇન રિએક્ટર્સ અને બસ રિએક્ટર્સ તૈયાર કરી દેવાશે, જ્યાં જરૂર પડશે તો તમામ રિએક્ટર્સને સેવામાં લેવાશે. ડિસ્ટ્રિબ્યુશન લેવલે કેપેસિટર્સ ઑફ રખાશે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top