Charchapatra

રાજકારણીઓ.. હવે,શિક્ષણ પણ અભડાવશે?

દેશની છબી આજે જે..રીતે રાત દિવસ.. સત્તાધીશોના કેવા કેવા મનઘડંત અને સ્વચ્છંદી રંગોથી બદલાતી જઈ રહી છે એ જોતાં સમગ્રતયા દેશના સમજુ અને સાક્ષરોને એવું નિઃશંકપણે લાગી રહ્યું છે કે,આવનારો સમય શું ખરેખર સમાજના તમામ વર્ગના લોકોને એકસૂત્રે બાંધી રાખશે?  શાસક પક્ષના સત્તાધીશો દ્વારા છડેચોક ધર્મમાં રાજકારણ અને રાજકારણમાં ધર્મની ભેળસેળ કરી કરાવી દેશની એકતા અને અખંડિતતાને ઘાતક મોડ ઉપર લાવી દીધા છે, ત્યારે હજુ પણ બળતામાં ઘી હોમાય તેમ,તાજેતરમાં સમાચાર જાણવા મુજબ સોનાની મૂરત કહેવાતા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નવતર કોર્ષની શરૂઆત થઇ જશે.

જેને હિન્દુ સ્ટડી સેન્ટરના વિભાગ દ્વારા બી.એ.ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી નામથી આવતા સત્રથી , વિધિવત્ રીતે સરકાર દ્વારા અને એકેડેમીક કાઉન્સિલ તેમજ સિન્ડિકેટની બેઠકમાં મંજૂરી મેળવીને શરૂઆત થઇ જશે. સામે પક્ષે કેન્દ્ર સરકારે પણ મોટા પાયે અગ્નિવીર ભરતી યોજના ચાલુ કરવામાં આવી છે. સમગ્રતયા અહેવાલ વાચન અને પૂર્વાવલોકન ઉપરથી એક વાત તો હવે, ચોક્કસપણે સુનિશ્ચિત કરે છે કે, ભલે ને દેશભરના શિક્ષિત બેકાર યુવાનોને યથોચિત રોજગારી મળે કે, નહીં મળે..તમે તમારે.. આંખ મીંચીને તબેલાઓ બાંધતાં જાવ.. ઘોડાઓ તો મળી જ રહેશે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બીલીમોરાને સ્ટોપ આપો
કેટલીક સુપર ફાસ્ટ ટ્રેનને નવસારી સ્ટોપ મળ્યા છે. ખાસ તો ડબલડેકર AC અમદાવાદ મુંબઈ. તથા અન્ય ટ્રેનને મળ્યા ચે તેની સરખામણીમાં બીલીમોરાને કેટલીક ટ્રેનના સ્ટોપેજ નથી મળ્યા. બીલીમોરા 20થી વધુ ગામડા સાથે જોડાયેલ છે. બીલીમોરામા અમદાવાદ-મુંબઈ ડબલડેર ACનું સ્ટોપ મળે, કર્ણાવતી એક્સપ્રેસ જેથી ટ્રેનનું સ્ટોપ મળે તો પેસેન્જર તો મળી જ રહે અને રેલવેની આવક પણ વધે માટે આ ટ્રેનની સુવિધા બીલીમોરાને મળે તો રીઝર્વેશન પણ મુસાફરો કરાવે તેથી રેલવેની આવક ચોક્કસ વધે. એટલે કેટલીક ટ્રેનને બીલીમોરા સ્ટોપેજ આપવા વિનંતી.
માંજલપુર-વડોદરા. – જયંતિભાઈ ઉ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top