Comments

રાજ્યમાં પેપર લીક થવાની ઘટનાથી ભરશિયાળે તવો ગરમ: કોનાં નસીબ ફૂટશે?

Engineering exam scrapped after paper leak in Rajasthan, case lodged |  Jaipur News - Times of India

શિયાળાની ઠંડી ગુજરાતમાં આજકાલ જામી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વિશેષ છે. જો કે પાટનગર ગાંધીનગરમાં સામાન્ય કરતાં બે ત્રણ ડિગ્રી વધારે ઠંડી પડતી હોય છે, પરંતુ રાજકીય ગરમી સૌથી વધુ પાટનગરમાં અનુભવાતી હોય છે. ગુજરાતના રાજકીય મોરચે આજકાલ પેપર ફૂટવાની ઘટનાની ગરમી પણ જામી છે. રાજ્ય સરકાર હસ્તકના ગૌણ સેવા પસંદગી મંડળની ઓક્ટોબર માસમાં લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની વિગતો બહાર આવતાં ખળભળાટ મચ્યો છે.

૮૮ હજાર ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા હતા. એટલે ૮૮ હજાર પરિવારોને સીધી રીતે અસર કરતી આ બાબત માટે રાજ્ય સરકાર શરૂઆતમાં તો સાવ નિર્લેપ લાગતી હતી. સરકાર દ્વારા કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્વીકાર જ કરાતો નહોતો.  ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી પેપર ફૂટ્યું હોવાની વાતનો પર્દાફાશ થયો. પેપર ફૂટ્યું એનો મતલબ શો સમજવો? પાંચ પાંચ લાખ રૂપિયામાં પેપર વેચવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આવી ભરતી પરીક્ષા માટેની તંત્રના વ્યવસ્થાપન અને વિશ્વસનીયતા સામે આંગળી ચીંધાઇ છે. એક બાજુ રાજ્યમાં બેરોજગારીની ભારે બૂમ છે, ત્યારે સરકારી ભરતી પરીક્ષાનાં પેપર ફૂટવાની ઘટનાઓ નાલેશી દર્શાવે છે. આ અગાઉ પણ અનેક સરકારી પરીક્ષાઓનાં પેપર ફૂટેલાં છે.

વાસ્તવમાં માત્ર સરકાર ભરતીનાં પેપર નથી ફૂટતાં, મહેનત કરનારા લાખો બેરોજગાર યુવાનોનાં સપનાં તૂટે છે, રોળાય છે. પેપર લીક થવાની ઘટનાથી ભરશિયાળે કંઇકની ગરમી લીક થઇ ગઇ એવો તાલ સર્જાયો છે. સત્તાધારી પક્ષે કંઇક બચાવ પ્રયુક્તિઓ ચાલતી હોવાનું ચર્ચાય છે. મુખ્ય સૂત્રધાર કે મુખ્ય જવાબદારોને રાબેતા મુજબ  કંઇ થતું હોય એમ લાગતું નથી. પેપર ફૂટવાની ઘટના માટેના ખરેખરા જવાબદારો સામે પગલાં ભરવામાં સરકાર દ્વારા જોઇએ એટલી સખ્તાઇ થતી નથી. આમ છતાં મામલો એટલો વણસ્યો છે કે લીપાપોતી કર્યે ચાલવાનું નથી.  ક્યાંક સખ્તાઇ તો કરવી જ પડશે.

પરંતુ રાજ્યમાં નવા રાજકીય બળ રૂપે ઉભરી રહેલી આમઆદમી પાર્ટીએ આ પેપર લીક કાંડ થકી સરકારને ચોંટીયો ભરી લીધો હોવાનું જણાઇ રહ્યું છે. આ કાંડની પાછળ આમઆદમી પાર્ટીનો પડદા પાછળ સંચાર હોવાનું ચર્ચાય છે. એમાં પણ આ પાર્ટીના નેતાઓ-કાર્યકરોએ ગાંધીનગર પાસેના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર મોરચો માંડતાં આ શંકા પાકી થઇ છે. જે રીતે આમઆદમી પાર્ટીએ આ મામલે આક્રમક વલણ લીધું છે તે જોતાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જે નથી કરી શકતો તે આમઆદમી પાર્ટીવાળા કરવા બેઠા હોવાની પણ છાપ ઉપસી રહી છે. જો કે ભાજપ દ્વારા વળતા પ્રહાર રૂપે આપ પાર્ટીના કાર્યકરો અને કાર્યાલયો પર ધોંસ બોલાવી છે, તે જોતાં ભાજપે આ પેપર લીક કાંડને નામે વિપક્ષને દબાવવાનો પેંતરો રચ્યો હોવાનું પણ લાગી રહ્યું છે. જે રીતે આમઆદમી પાર્ટીનો આ મામલે મિજાજ જોવા મળ્યો છે, તે જોતાં રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં આવી ઘણી આક્રમકતા જોવા મળશે એવું લાગી રહ્યું છે.   

સરકારી પરીક્ષાનાં પેપર જ ફૂટ્યાં નથી,   રાજ્યમાં આજકાલ ઘણું ફૂટવા બેઠું હોય એવું લાગે છે. મોંઘવારી, ભાવવધારો, ઊંચા જીએસટી દર, નોટબંધીની પાછોતરી અસરો વગેરે જેવી અનેક બાબતોએ પ્રજામાં આંતરિક કડવાશ જરૂર પ્રવર્તે છે. પરંતુ હમણાં એનો ફુગ્ગો એટલે ફૂટે એવું લાગતું નથી કે લોકોને હમણાં ફુગ્ગો ફોડવાનું યોગ્ય લાગતું નથી, કારણ કે વિરોધ પક્ષ માટે પ્રજામાં હજુ વિશ્વાસ ઊભો થઇ શકતો નથી.જ્યારથી ભાજપમાં નો-રિપીટ થિયરીનું જોર વધ્યું છે, ત્યારથી કંઇકને પોતાનું નસીબ ફૂટવા બેઠું હોવાનો આભાસ થઇ રહ્યો છે. જેમનો સત્તામાં કોઇ પણ સ્થળે અને સ્વરૂપે નંબર લાગ્યો છે, એ લોકોને પોતાની હાલત જૂની રાજ્ય સરકાર જેવી ભવિષ્યમાં થવાની હોવાની પાકી દહેશત છે. એટલે એમને પોતાનું નસીબ ફૂટી જશે એવો ભય છે.

આ સ્થાનિક ચૂંટણીઓ એક રીતે તો ભાજપ માટે ૨૦૨૨ માં આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને બાદમાં ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી માટેનું આગોતરું આયોજન છે. વિધાનસભાની ચૂંટણી પહેલાંની લીગ મેચોની ટુર્નામેટ જેવી આ ગ્રામ પંચાયત ચૂંટણી રહી છે. એટલે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર જેવું આમાં કંઇ ફૂટી ન જાય એટલે કે કંઇ કાચું ન કપાય એવા પ્રકારની પાકી તકેદારી પાર્ટીના ચૂંટણી મેનેજરો દ્વારા રાખવામાં આવી છે. ભાજપ દ્વારા પોતાના સમર્થકો વધુ સંખ્યામાં ચૂંટાયા હોવાના રાબેતા મુજબના દાવાઓ કરાયા છે. આમ છતાં અનેક ગામોના સરપંચપદે નવયુવાન ચહેરા ચૂંટાયા છે, જે સારા ભવિષ્ય માટેની પ્રોત્સાહક નિશાની છે.

બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એમ બંનેય ટોચના હોદ્દાઓ પરના ચહેરા બદલીને નવી શરૂઆત કરવાનાં એંધાણ આપી દેવાયાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને પસંદ કરીને પાર્ટીએ ઓબીસી સમુદાય પ્રત્યેનો ઝોક રાખનારી પોતાના વલણનો સંકેત આપી દીધો છે. પછાત અને અન્ય પછાત સમુદાય કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક રહ્યા છે. જો કે રાજ્યમાં ભાજપનું રાજ આવ્યું ત્યારથી એમાં ગાબડાં નહીં ભેખડો પડી ગઇ છે. ઓબીસી અને પછાત સમુદાયના ભાજપ સાથે હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે.

કોંગ્રેસ પક્ષ પોતાની અસલ વોટબેન્કને ફરીથી અંકે કરવા માગતો હોવાની નીતિ એ અખત્યાર કરી રહ્યો છે. પંજાબમાં પણ ચન્નીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરીને પાર્ટીએ કેન્દ્ર સ્તરે પણ આ વલણના નિર્દેશો આપ્યા છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે જૂના આદિવાસી નેતા સુખરામ રાઠવાની પસંદગી પણ પાર્ટી પોતાની જૂની આદિવાસી વોટબેન્કને ફરીથી અંકે કરવા માગતી હોવાની છાપ ઉપસે છે. રાજ્ય વિધાનસભાની ૨૫ બેઠકો આદિવાસી અનામત બેઠકો છે. એ સાથે કુલ ૩૦ જેટલી બેઠકો ઉપર આદિવાસી મતદારો નિર્ણાયક છે. એટલે પાર્ટીએ એ તરફી વલણ અપનાવ્યું છે. એ સાથે ૮૫ જેટલી બેઠકો પર ઓબીસી મતદારો નિર્ણાયક પરિબળ હોઇ એની જૂની દિશામાં કોંગ્રેસે ફરીથી વળાંક લીધો હોવાની છાપ ગુજરાત કોંગ્રેસના નવા સૂત્રધાર અને વિપક્ષી નેતાની પસંદગી થકી ઉપસી રહી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top