SURAT

વરાછામાં ત્રણ જણાએ પત્થરથી છૂંદી યુવકને રહેંસી નાંખ્યો, સીસીટીવી આવ્યા સામે

સુરત(Surat) : શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. અહીં ત્રણ ઈસમોએ ભેગા મળી એક યુવકને બેરહેમીથી રહેંસી (Murder) નાંખ્યો છે. યુવક સાથે કોઈ બાબતે ઝઘડો થતા ત્રણ જણા જાહેર રોડ પર જ તેની પર પત્થર કે ઈંટ લઈ તૂટી પડ્યા હતા અને મોંઢા તથા માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારી તેને મારી નાંખ્યો હતો. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં એકની ધરપકડ કરી લેવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના વરાછાના સવાણી રોડ ઉપર બની છે. અહીં એક યુવકની સામાન્ય બોલાચાલી બાદ 3 ઈસમોએ ભેગા મળીને હત્યા કરી હતી. CCTVના આધારે કહી શકાય કે યુવકની હત્યા રસ્તા ઉપર પડેલ પથ્થર અથવા ઈંટ વડે ઘા ઝીંકીને કરવામાં આવી હશે. ફૂટેજમાં કુલ પાંચ લોકોને જોઈ શકાય છે, પરંતુ ઘટના શું બની હતી અને ઝઘડાનું કારણ શું હતું એ હજી સુધી સામે આવ્યું નથી. CCTVના આધારે વરાછા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને આગળની પૂછતાછ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના રાત્રિના સમયની હતી. ચાર યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ ઝઘડામાં થયેલી બોલાચાલી વધુ ઉગ્ર બનતા હત્યા કરાઇ હતી. ઝઘડો કયા કારણોસર થયો હતો એ હજી સુધી સામે આવ્યું નથી.

વધુમાં સૂત્રોએ જણાવ્યુ હતું કે મરનારનું નામ મુન્ના હોવાનું જાણવા મળ્યું છે. ઈંટ અથવા પથ્થર વડે ઘા ઝીંકી તેની હત્યા કરાઈ હતી. મુન્નાની હત્યા બાદ આરોપી સાધુ ગણપત પ્રધાન, સુરેશ સરોજ સહિત ત્રણ ઈસમોએ ફરાર થઈ ગયા હતાં. વરાછા પોલીસે ત્રણ પૈકીના એકને સીસીટીવી સહિતના પૂરાવાના આધારે અટકાયત કરી હતી. પોલીસે હત્યા પાછળના કારણ જાણવા પૂછપરછ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top