Business

શિક્ષણના મૂળભૂત હેતુમાંથી એક છે ‘નાગરિક શિક્ષણ’

ઔપચારિક, વ્યવસ્થાગત રીતે અપાતા શિક્ષણના કેટલાક મૂળભૂત હેતુઓ છે. સરકારે પ્રજાના મૂળભૂત શિક્ષણની શા માટે વ્યવસ્થા કરવી જોઈએ? તે પ્રશ્નના જવાબમાં શિક્ષણના મૂળભૂત ઉદે્શો હોય છે. આમ તો દરેક વ્યક્તિ પોતના અનુભવમાંથી શિક્ષણ મેળવતો જ રહે છે. કુદરતે માણસને મગજ અને બુધ્ધિ આપ્યા છે તે સતત કશું ને કશું શીખતા જ રહે છે. પણ હેતુપૂર્વકના શિક્ષણ માટે વ્યવસ્થા ગોઠવવી પડે છે. દેશનાં તમામ નાગરિકો કેટલીક બાબતોમાં સમાન માહિતી, જ્ઞાન મેળવે એટલે સમજણની એક સપાટીએ સૌ સમાન બને તે માટે સરકારે આયોજનપૂર્વક શિક્ષણવ્યવસ્થા ગોઠવવી પડે છે.

વ્યવસાયલક્ષી એટલે કે અર્થોપાર્જન માટેનું શિક્ષણ અને તાલીમ એ શિક્ષણના બીજા તબક્કામાં આવે છે. પ્રાથમિક શિક્ષણમાં વ્યવસાયલક્ષિતા આવતી નથી. એટલે પ્રાથમિક કે મૂળભૂત શિક્ષણમાં નાગરિકઘડતર કેન્દ્રસ્થાને આવે છે.
હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. આ નિમિત્તે આપણે આજે નાગરિક શિક્ષણના મુદ્દાની વાત સમજવાની જરૂર છે. ભારતમાં આ નાગરિક શિક્ષણની લગભગ ઉપેક્ષા થઈ છે અને ચૂંટણીના માહોલમાં તે સપાટ દેખાય છે.

આપણે ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સમાજવિજ્ઞાનના અભ્યાસક્રમમાં નાગરિકશાસ્ત્ર આવે છે. જેમાં બહુ જ ઓછા પ્રમાણમાં ભારતીય રાજ્ય બંધારણ, શાસનવ્યવસ્થા, ચૂંટણી સંસદીય લોકશાહી. લોકશાહીની મૂળભૂત વિભાવના જેવી પાયાની બાબતો શીખવાડાય છે. વળી આજે માતા-પિતા બાળકને પ્રાથમિકથી જ વ્યવસાયલક્ષી બનાવે છે. તેમના મનમાં બાળક ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટડ એકાઉન્ટન્ટ બનાવવાનું ધ્યેય હોય છે એટલે તે નાગરિક બને! નાગરિક શિક્ષણ મેળવે,સમજ કેળવે તે બાબત જ ઉપેક્ષિત હોય છે.

આપણે ત્યાં ફેડરલ સિસ્ટમ એટલે કે સમવાય વ્યવસ્થા છે. બંધારણ મુજબ રાજકીય અને આર્થિક સત્તા ત્રણ સ્તરમાં વહેંચાયેલી છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આપણા બંધારણે કેન્દ્ર સરકારે કરવાનાં કાર્યો, રાજ્ય સરકારે કરવાનાં કાર્યો, સ્થાનિક સંસ્થાઓએ કરવાનાં કાર્યો સ્પષ્ટ રીતે સમજાવ્યાં છે. સાથે જ આ કાર્યો કરવા માટે આર્થિક સાધનો ઊભાં કરવાની સત્તા પણ સ્પષ્ટ કરી છે. એટલે કેન્દ્રના કરવેરા, રાજ્યના કરવેરા અને સ્થાનિક સત્તાના કરવેરા પણ નક્કી છે. પ્રજા, જો કોઈ શિક્ષિત છે તે આપણી રાજ્ય વ્યવસ્થાથી પરિચિત હોવી જ જોઈએ.

આપણા દેશમાં સંસદીય લોકશાહી છે અને સંસદનાં બે ગૃહ છે. લોકસભામાં લોકો દ્વારા ચૂંટેલા પ્રતિનિધિ જાય છે જ્યારે રાજ્યસભામાં આ પ્રતિનિધિઓએ ચૂંટેલા એટલે લગભગ તો નિયુક્ત કરેલાં લોકો જાય છે. લોકસભામાં સત્તાધારી પાર્ટીના જે સભ્યો છે તેમાંથી વિવિધ મંત્રાલયોની જવાબદારી સંભાળતા મંત્રીઓ નક્કી થાય છે અને આ મંત્રીઓને સમૂહ એટલે કેબીનેટ જેના મુખ્ય નેતા વડા પ્રધાન હોય છે. દેશ માટેના અગત્યના નિર્ણયો, કાયદાઓ આ મંત્રીઓના સમૂહ એટલે કે કેબીનેટ લેવાના હોય છે! આવી સાદી સમજણ સૌ નાગરિકોમાં વિકસવી જરૂરી છે. જ્યાં સુધી પ્રાથમિક અને મૂળભૂત શિક્ષણમાં આ ન શીખવાડાય ત્યાં સુધી રાહુલમાંથી કે નરેન્દ્ર મોદીના નામે જ તમામ ચૂંટણી લડાશે!

આપણે અનુભવીએ છીએ કે ચૂંટણી ગ્રામ પંચાયતની હોય, રાજ્ય વિધાનસભાની હોય કે લોકસભાની હોય. સામાન્ય પ્રજાની ચર્ચાના કેન્દ્રસ્થાને વ્યક્તિ હોય છે. ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે અને ચર્ચાઓ વીસ વર્ષ પહેલાં બનેલી ઘટનાઓની થાય છે. જો મૂળભૂત નાગરિક શિક્ષણ થાય, નાગરિક મૂળભૂત રજ્ય બંધારણને સમજતો થાય તો ગયા પાંચ વર્ષમાં સરકારે કરેલાં કામ અને આવનારાં પાંચ વર્ષના તેના એજન્ડાની ચર્ચા થાય. રાજકીય પક્ષ એટલે આમ તો વિચારધારા. પણ આપણે જોઈએ છીએ કે આર્થિક, રાજકીય વિચારધારાની તો ભાગ્યે જ વાત થાય છે અને દુ:ખની વાત એ છે કે શાકભાજી વેચનારા, નાના વેપારીઓ, શ્રમિકો કે ગ્રામ પ્રજા જ નહીં, ડોક્ટર, વકીલ, એજીનિયર, શિક્ષક પણ ચૂંટણી સમયે મૂળભૂત મુદ્દાઓ ચર્ચાતા નથી. એટલું જ નહીં, એમને ખબર પણ નથી.

જો એક સર્વે કરવામાં આવે અને પૂછવામાં આવે કે શું તમે ભારતના સમવાયતંત્ર વિષે જાણો છો? મામલતદારશ્રીની કામગીરી અને કલેક્ટરની કામગીરીનો ભેદ સમજો છો. તાલુકા પંચાયતની જવાબદારી અને ધારાસભ્યની જવાબદારીનો તફાવત સમજાવી શકશો? તો રાજ્યના આગેવાન નાગરિકો તેમાં નિષ્ફળ જાય! કોંગ્રેસશાસનની જે નબળાઈઓ આજે કોંગ્રેસને પોતાને જ નડી રહી છે તે આ છે. મૂળભૂત નાગરિક શિક્ષણ ઉપર ધ્યાન જ નથી અપાયું. ભારતમાં રાજાશાહી હતી. પછી અંગ્રેજોની ગુલામી આવી અને અંતે આઝાદી મળ્યા બાદ સંસદીય લોકશાહી વ્યવસ્થા આપણે અપનાવી.

પણ દેશના પચ્ચીસ કરોડ લોકમાંથી માત્ર અંગ્રેજી શિક્ષણ મેળવેલાં થોડાંક લોકો જ આ વ્યવસ્થાથી માહિતગાર હતાં. વળી તેની સૂક્ષ્મતાઓ તો તેમને પણ બધાને ખબર ન હતી. એટલે ભારતનાં કરોડો નાગરિકો સુધી તે શિક્ષણ દ્વારા જ પહોંચાડવાની હતી. આપણે સમાજવિદ્યામાં નાગરિકશાસ્ત્ર આવે તેમાં ચાર-પાંચ માર્કસના પ્રશ્ન અને એક-બે ખાલી જગ્યા સિવાય આ લોકશાહી શિક્ષણનું કોઈ મહત્ત્વ સ્વીકારાયું નહીં!

પરિણામ એ છે કે ચૂંટણી ગમે તેની હોય, ચર્ચા તો કોઈક બીજા જ મુદ્દાની થાય છે અને હવે તો નેતાઓ જ નથી ઈચ્છતા કે પ્રજામાં નાગરિકશાસ્ત્ર વિકસે. નાગરિક સમાજ વિકસે. ચૂંટણી પ્રચાર ઢોલ-નગારા, મનોરંજન અને આવેગો સર્જનારું, બની ગયું છે જ્યાં નાગરિકોને વિચારતા કરવાને બદલે વિચારશૂન્ય બનાવવાની વાત થાય છે અને તેની ખૂબ મોટી કિંમત આપણે ચૂંટણી પછી ચૂકવીએ છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top