Dakshin Gujarat Main

દક્ષિણ આફ્રિકામાં નિગ્રોની લૂંટ-તોફાનનો શિકાર બની રહ્યાં છે ભરૂચ મૂળના લોકો, સ્થાનીય પરિવારો ઘેરી ચિંતામાં

ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકામાં (South Africa) સ્થાયી થયા છે. લગભગ ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નીગ્રો પ્રજાતિના (Negro) લોકોએ આંતક મચાવી દીધો છે. સાઉથ આફ્રિકામાં દુકાનો-મોલમાં (Shops Mall) ભારે લુંટફાટ (Loot) ચલાવીને તોડફોડ કરીને નુકશાન કર્યું છે. જેને કારણે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચવાસીઓ પરિવારોમાં ઘેરી ચિંતાના વાદળો ઘેરાયા છે. ભરૂચમાં રહેતા પરિવારજનો પોતાના સ્વજનોને સતત ફોન કરીને ખબર કાઢી રહ્યાના સમાચારો મળી રહ્યા છે.

સમગ્ર ભરૂચ જિલ્લામાંથી લગભગ 64થી વધુ ગામના પરિવારો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. સાઉથ આફ્રિકાના ઘણા શહેરોમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની સહિતના આસપાસના મુસ્લિમ બાહુલ ગામોના હજારો પરિવારો સ્થાયી થઇને રોજગારી મેળવી રહ્યા છે. ખાસ કરીને મોટા ભાગના ગુજરાતી પરિવારો દુકાનો, મોલ અને ગોડાઉનો ધરાવે છે. જોકે છેલ્લાં ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ભરૂચના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા ત્રણ દિવસથી હિંસક વાતાવરણ સર્જી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. ત્યાં મોલ દુકાનોમાં જબરજસ્તી પ્રવેશીને સામાન લૂટી લેવામાં આવી રહ્યો છે. આ અંગેના વીડિયો અને ફોટો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેને જોઈને ભરૂચમાં રહેતા સ્વજનો વધુ ચિંતા અનુભવી રહ્યાં છે.

એશિયન લોકોને વધુ ટાર્ગેટ
રોજગારી માટે ભરૂચ સહિત ભારતના વિવિધ રાજ્યના તેમજ અન્ય એશિયાયી દેશોના લોકો સ્થાયી થયાં છે. જોકે, સાઉથ આફ્રિકામાં છાસવારે લૂંટના બનાવો બનતા રહે છે. લૂંટના ઇરાદે નિગ્રો લોકોના હુમલામાં ભરૂચ જિલ્લાના 50થી વધુ લોકોની હત્યા પણ કરવામાં આવી છે. ત્યારે હાલમાં સર્જાયેલી હિંસામાં પણ એશિયાના લોકોની મિલકતોને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૈન્યને ઉતારાઈ
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલમાં ધકેલવાને કારણે દેશના બે પ્રાંતના ગૌટેંગ અને ક્વાઝુલુ-નાતાલ પ્રાંતોમાં હિંસા ફાટી નિકળી છે. જોકે, હિંસાને રોકવા માટે સૈન્યને પણ ઉતારવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે.

પાંચ વર્ષ પહેલાં પણ સાઉથ આફ્રિકાના ગીયાની શહેરમાં વંશીય હિંસા થઇ હતી
સાઉથ આફ્રિકાના ગીયાની શહેરમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની તથા આસપાસના ગામોના 125થી વધારે પરિવારો સ્થાયી થયાં હતા. પાંચેક વર્ષ પહેલાં એક ગુજરાતી વેપારીને ત્યાં લૂંટ કરવા આવેલાં લૂંટારૂઓ સાથે ઝપાઝપી થતાં એક લૂંટારૂનું મોત થયું હતું. સ્થાનિક નિગ્રોના મોત બાદ આખા શહેરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી.

Most Popular

To Top