Gujarat

આશ્રીત બહેનોની લગ્ન સહાય 20 હજારથી વધારીને 1.50 લાખ કરાઈ

ગાંધીનગર: નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય રૂ. ૨૦,૦૦૦ થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦ નો નોંધપાત્ર વધારો કરવાની અંદાજપત્રમાં જાહેરાત કરી હતી. અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને આજે ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે બજેટમાં કરાયેલ નવી જાહેરાતનો પણ સત્વરે આજથી અમલ શરૂ થઈ ગયો છે. જે અતર્ગત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહો-કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત મહિલાઓ સન્માનપુર્વક જીવન જીવી શકે માટે લગ્ન સહાય તરીકે રૂા. ૨૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવતી હતી તેમા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં આશ્રિત દીકરીના લગ્ન સહાયની રકમ રૂા. ૨૦,૦૦૦ થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦ કરવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. જેમા રૂ. ૫૦,૦૦૦/- દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. ૫૦,૦૦૦/- નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. ૫૦,૦૦૦/- લગ્ન માટે આનુષાંગિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની ૨૯ વર્ષીય દીકરી નીનાબેન શ્યામજીભાઈ , જેણે ધો. ૬ સુધી અભ્યાસ કર્યો છે અને નાનપણથી અલગ અલગ સંસ્થાઓમાં ઉછરેલ છે અને તા. ૧૧/૦૮/૨૦૧૧ના રોજ સુરત નારી સંરક્ષણ ગૃહમાંથી નિયમોનુસાર ભાવનગર નારી સંરક્ષણ કેન્દ્રમાં તબદીલ થયેલી છે. નીનાબેન છેલ્લા ૧૨ વર્ષથી નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે રહે છે અને તેમને સરકાર દ્વારા લગ્ન સહાય ચૂકવાઈ છે.

Most Popular

To Top