National

એક પણ મુસ્લિમ નેતાને ટિકિટ ન આપતા કોંગ્રેસમાં બળવો, મોટા નેતાનું રાજીનામું, ઓવૈસીની પાર્ટીએ કહ્યું..

લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસમાં (Congress) બળવો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મોહમ્મદ આરિફ (નસીમ) ખાને ટિકિટ વહેંચણીને લઈને મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપ્યું છે. જે બાદ ઓવૈસીની પાર્ટીએ તેમને ઓપન ઓફર આપી હતી.

મોહમ્મદ આરિફે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક પત્ર લખ્યો હતો અને કોંગ્રેસ પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે તેઓ આગળના ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે નહીં. આરિફે કહ્યું, ખડગે જી, મને આ પ્રચાર સમિતિનો ભાગ બનાવવા બદલ હું તમારો આભાર માનું છું પરંતુ હું મુસ્લિમ સમુદાયનો નેતા છું અને મુસ્લિમો મને પૂછે છે કે પાર્ટીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને એક પણ સીટ કેમ નથી આપી. આ કારણે હું તે લોકોને મારો ચહેરો દેખાડીને પ્રચાર કરી શકીશ નહીં. લોકો મને પૂછે છે કે કોંગ્રેસને મુસ્લિમ મત જોઈએ છે પણ મુસ્લિમ ઉમેદવાર નથી જોઈતા.

મોહમ્મદ આરિફ દ્વારા ખડગેને લખેલા પત્ર બાદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ તેમને ખુલ્લી ઓફર આપી છે. ઓફર આપતી વખતે મહારાષ્ટ્ર AIMIMના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે સોશિયલ મીડિયા પર કહ્યું કે તમે સ્ટાર પ્રચારકના પદ પરથી જ રાજીનામું કેમ આપ્યું? તમારે એ પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ જે માત્ર મુસ્લિમ મતો ઈચ્છે છે પરંતુ તેમનું નેતૃત્વ નહીં. જો તમે અમારી પાર્ટીમાં આવો તો અમે તમને મુંબઈથી સીટ આપવા તૈયાર છીએ.

AIMIMની ઓફર પર નસીમ ખાને પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આઝાદી પછી કોંગ્રેસે લઘુમતીઓ અને દરેક જાતિને સમાન તકો આપી છે. તેમણે કહ્યું કે હું AIMIMની ઓફર માટે આભાર માનું છું પરંતુ હું તેને સ્વીકારીશ નહીં કારણ કે હું કોંગ્રેસની સાથે છું અને કોંગ્રેસમાં જ રહીશ.

Most Popular

To Top