Latest News

More Posts

ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.

To Top