Gujarat

કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે : વડાપ્રધાન મોદી

ગાંધીનગર: અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા આયોજિત સનાતની શતાબ્દી મહોત્સવમાં દ્વિતિય દિવસે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને સંબોધન કરતાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહયું હતું કે કચ્છ એ ગુજરાતનું (Gujarat) જ નહીં પણ સમગ્ર ભારતનું (India) ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છીમાડુઓની હાજરી અચૂક હોય જ છે. કચ્છડો ખેલે ખલક મેં… ઊક્તિ સાથે સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, ‘આજે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે કારણ કે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે.’ મોદીએ મંચ પરથી શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યને પ્રણામ કર્યા હતા.

વડાપ્રધાને વધુમાં કચ્છી કડવા પાટીદાર સમાજની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, સમાજની સેવાના ૧૦૦ વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખના ૫૦ વર્ષ અને મહિલા પાંખના ૨૫ વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે. જ્યારે કોઈ પણ સમાજના યુવાનો, માતાઓ બહેનો પોતાના સમાજની જવાબદારી પોતાના જ ખભા પર લે છે ત્યારે માની લેવું જોઈએ એ સમાજની સફળતા અને સમૃદ્ધિ નક્કી થઈ જાય છે. સનાતન માત્ર એક શબ્દ નથી પણ નિત્ય નૂતન છે, પરિવર્તનશીલ છે. જેમાં વિતેલી કાલથી પોતાને વધારે સક્ષમ બનાવવાની ચેષ્ટા છે. આથી જ સનાતન અજર અમર છે. કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રાનું જ એક દર્શન હોય છે. પાટીદાર સમાજનો અનેક વર્ષોનો ઈતિહાસ, ૧૦૦ વર્ષની કચ્છ કડવા પાટીદાર સમાજની યાત્રા અને ભવિષ્યનું વિઝન એ ભારત અને ગુજરાતને જાણવા અને જોવાનું માધ્યમ પણ છે. સેંકડો વર્ષો પૂર્વે આ સમાજ પર વિદેશ આક્રમણકારોએ અત્યાચાર કર્યા છે. આમ છતાં સમાજના પૂર્વજોએ પોતાની ઓળખાણ બનાવી રાખીને પોતાની આસ્થાને ખંડિત થવા દીધી નથી. આજે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં પોતાની સફળતાની ધ્વજ પતાકા લહેરાવી રહ્યાં છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાના શ્રમ અને સામર્થ્યથી આગળ વધી રહ્યાં છે.

આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા પીએમ નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવાની હાકલ કરી છે. ત્યારે ‘એક ભારત’ના નિર્માણ માટે સામાજીક એકતા અનિવાર્ય છે. આપણું લક્ષ્ય એક બની, નેક બની ‘શ્રેષ્ઠ ભારત’, ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવાનું છે. આ સનાતની શતાબ્દી મહોત્સવ સામાજીક એકતાને સુદ્રઢ કરવાની પીઠીકા સમાન છે.

છેલ્લાં વર્ષોમાં કચ્છની કાયાપલટ થઈ છે અને કચ્છ વિશ્વમાં પ્રવાસનનું હબ બન્યું છે
કચ્છના ભૂકંપની મુશ્કેલ પરિસ્થિતિના સમયને યાદ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, રાહત બચાવના લાંબા પ્રયાસોમાં સમાજની તાકાતના લીધે જ મને હંમેશા આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો હતો. એક સમય હતો જ્યારે કચ્છ દેશના સૌથી પછાત જિલ્લામાંથી એક હતો. પાણીની તંગી, ભૂખમરો, પશુઓના મોત, લોકોનું પલાયન વગેરે ખરાબ પરિસ્થિતિ જ કચ્છની ઓળખાણ હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સાથે મળીને કચ્છની કાયાકલ્પ કરી દીધી છે. આપણે સૌએ સાથે મળીને કચ્છના પાણી સંકટના નિવારણ માટે કામ કર્યું છે. આપણે સૌએ સાથે મળીને જે રીતે કચ્છને વિશ્વમાં પ્રવાસનનું હબ બનાવ્યું છે તે એક ઉત્તમ ઉદાહરણ છે. આજે મને જોઈને ગર્વ થાય છે કે કચ્છ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા જિલ્લામાંથી એક છે.

કચ્છની કનેક્ટિવિટી સુધરી રહી છે, મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે. જે કચ્છમાં એક સમયે ખેતીનો વિચાર પણ ના કરી શકાય એવી સ્થિતિ હતી. આજે એ જ કચ્છમાંથી ખેતી પેદાશોની દુનિયામાં નિકાસ થઈ રહી છે.
નારાયણ રામજી લીંબાણીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું હતું કે, હું એમના જીવનમાંથી ખૂબ પ્રેરિત થયો છું. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને આગળ વધારનારા અનેક લોકો સાથે મારો વ્યક્તિગત આત્મિય સંબંધ પણ રહ્યો છે. કચ્છ કડવા પાટીદાર સમાજે ઈકોનોમીથી માંડીને ટેક્નોલોજી સુધી, સામાજિક સમરસતાથી માંડીને પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી માટે જે સંકલ્પ લીધા છે તે દેશના અમૃત સંકલ્પો સાથે સંકળાયેલા છે. સમાજના પ્રયાસો દેશના સંકલ્પને તાકાત આપીને સિદ્ધિ સુધી પહોંચાડશે.

Most Popular

To Top