Gujarat

દાદાના હસ્તે તારાપુર થી વાસદ ૪૮ કિલો મીટર લંબાઈના રૂ.૧૦૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત સિક્સ લેન માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત તારાપુરથી વાસદ ૪૮ કિલો મીટર લંબાઈના છ લેન માર્ગનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ.૨૦૬.૯૩ કરોડના વિવિધ ૬ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. હવે તારાપુરથી વાસદ માત્ર ૩૫ મિનિટમાં પહોંચી જવાશે. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એર, રેલ અને રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. તેના કારણે ગુજરાતના વિકાસને નવી ગતિ અને નવા સીમાચિહ્નો મળ્યા છે.

રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યાં છે. આ બાબતની પ્રતીતિ તમે ગુજરાત બહાર જાવ તો અથવા બહારના કોઇ ગુજરાતમાં આવે એટલે થયા વિના રહેતી નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીને શાસન થકી જનસેવા અને સમર્પણના ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. તેમણે ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે અને હવે સમગ્ર દેશની સેવા નિષ્ઠાપૂર્વક કરી દેશને એક નવી ઉંચાઇ તરફ લઇ જઇ રહ્યા છે.

પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે કામોની અવગણના કરવામાં આવતી તેવા જ કામોને અગ્રતા આપવામાં આવી છે. જેમાં સ્વચ્છતા અભિયાન, શૌચાલય, વીજળી, સિંચાઇ, ઉજ્જવલા યોજના જેવી યોજના થકી વડાપ્રધાનશ્રી સાચા અર્થમાં ગરીબોના હમદર્દ બન્યા છે. અમારી સરકારનું કોઇ કામ ચૂંટણીલક્ષી નથી હોતું. અમે પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે વિકાસ કામો કરી રહ્યા છીએ. અમારી સરકારે છેવાડા અને નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. અમારી સરકારના દ્વાર પ્રજાજનો માટે હંમેશા ખુલ્લા છે. તેમ પટલે જણાવ્યું હતું .

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, આ માર્ગની સમાંતર તારાપુર – બગોદરા કડીનું કામ પણ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. તે પૂર્ણ થતાં પ્રવાસીઓને સારી સવલત મળશે. પહેલા એક જમાનો એવો હતો કે માર્ગો નહોતા. ગામડાઓમાં વીજળી નહોતી. પીવાના પાણીની કે આરોગ્યની સુવિધા નહોતી. પણ, લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. આજે ગુજરાતના તમામ ગામો રોડ કનેક્ટિવિટીથી જોડાયા છે. તે બાબતે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વ હેઠળ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રની નેમ સાથે ગુજરાત નીત નવી ક્ષીતિજ હાંસલ કરી રહ્યું છે.

Most Popular

To Top