Gujarat

પીએમ મોદીએ ગુજરાતના 18 PSA ઓક્સિજન પ્લાન્ટનું ઋષિકેશથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશથી દેશભરમાં 35 PSA ઓક્સિજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ કર્યા હતાં. જેમાં ગુજરાતમાં પીએમ કેર્સ હેઠળ ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપુર, ગરુડેશ્વર, નવી સિવિલ હૉસ્પિટલ-સુરત, સ્મીમેર હૉસ્પિટલ-સુરત, સોલા સિવિલ અને ગાંધીધામ જ્યારે ગુજરાત CSR ઑથોરિટી દ્વારા રાજપીપળા, ઝાલોદ તથા મોરબી ખાતે નવા સ્થાપિત PSA પ્લાન્ટ્સ પણ લોકોને સમર્પિત થયા છે. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે PM કેર્સ ફંડમાંથી રૂ.૧.૦૫ કરોડના ખર્ચે ૧.૮૭ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતાં ઓક્સિજન પ્લાન્ટ સહીત સમાવેશ થાય છે. આ અંગેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આયોજિત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના સામેની લડાઇમાં વેક્સિનેશન, ઓક્સિજન પ્લાન્ટ, અને અદ્યતન સારવાર સુવિધાથી વિદેશી રાષ્ટ્રોની તુલનાએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત સરકારની રાહબરીમાં રાજ્ય સરકારે પણ કોવિડકાળમાં દર્દીઓ માટે ઉમદા આરોગ્ય સેવા ઉભી કરી છે.

મુખ્યમંત્રી પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલના PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, પીએમ મોદીએ ગુજરાતના નાગરિકોની આરોગ્ય સુખાકારીની દરકાર કરીને અત્યાર સુધી PM કેર્સ ફંડમાંથી કુલ ૧૫ ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી છે. સી.એસ.આર. હેઠળ ૩ ઓક્સિજન પ્લાન્ટ મળી કુલ ૧૮ પ્લાન્ટ્સ રાજ્યને ઉપલબ્ધ થયા છે. આ પ્લાન્ટસ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અને સામાન્ય દિવસોમાં પણ દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે લાભદાયી નિવડશે તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેરની તમામ પરિસ્થિતિઓનું આકલન કરીને સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્યવિષયક સેવાઓ, સુવિધાઓની સજ્જતા પૂર્ણ કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસની રાજનીતિને સમર્પિત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવા અને સમર્પણના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે કંડારેલી સુશાસનની પગદંડી પર ચાલી રાજ્ય સરકાર પ્રજાજનોને ગુડ ગવર્નન્સ આપવાની નેમ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે લોકપ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે, જનતાની આશા-અપેક્ષા, સૂચનો સરકાર માટે હંમેશા સ્વીકાર્ય છે અને ગુડ ગવર્નન્સ-સુશાસનની કામગીરીમાં લોકોના સહયોગની અપેક્ષિત છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ છોડે તે માટે તેમના રહેવા, જમવા, આરોગ્ય સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવા સરકારે આયોજન કર્યું છે. મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે કોરોના મહામારી દરમિયાન ગામોમાં ૧૦૦ ટકા વેક્સીનેશન પૂર્ણ કરનાર સરપંચો અને દિવસ-રાત ખડેપગે રહી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવાસુશ્રુષા કરનારા કોરોના વોરિયર્સ તબીબો, મેડિકલ સ્ટાફને સન્માનિત કરાયા હતા. મુખ્યમંત્રીએ ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નવા પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું.

Most Popular

To Top