Comments

મોદીને હરાવવા હોય તો

વીસ વર્ષ પહેલાં તા. ૭ મી ઓકટોબરે નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ થયો હતો. મોદી આજે પણ ભારત સમસ્યાઓ અને પડકારોમાં ગળાડૂબ છે તેમ વીસ વર્ષો પહેલાં પણ હતું ત્યારે પોતાની સત્તાની યાત્રા શરૂ કરી હતી. મોદીએ પોતાના માર્ગે જ આગળ વધવાનું ચાલુ રાખ્યું અને પોતે જેને સાચો માર્ગ ગણતા હતા તેનાથી ફંટાવાનો અને કોઇ પણ જૂથને ખુશ કરવાનો ઇન્કાર કર્યો. મોદી રાજકારણ યાત્રામાં એકલપંડે હતા. શરૂઆતમાં જ 2002 માં ગુજરાતનાં રમખાણોએ તેની કસોટી કરી અને મોદીએ દૃઢ નિર્ધાર કર્યો કે ગુજરાત અને તેની બહાર પોતે જે સિધ્ધ કરી શકે છે તે સિધ્ધ કરવું.

આવી રીતે ગુજરાત મોડેલનો જન્મ થયો. મોદીએ ત્રણ રાષ્ટ્રીય રાજયની ચૂંટણી લડી અને ગુજરાત એ તખ્તો હતો જેને આખું ભારત ધ્યાનથી જોઇ રહ્યું હતું. મોદીએ બતાવ્યું કે તેઓ અન્ય કોઇ મુખ્ય પ્રધાન જેવા ન હતા અને બાકીના ભારતમાં તેમના વિશેની દૃષ્ટિ બદલાઇ ગઇ. ત્રીસ વર્ષ પછી પહેલી વાર કોઇ રાજકીય પક્ષને પોતાના બળ પર સગવડદાયક બહુમતી મળી અને તે પોતાની રીતે સરકાર રચી શકયો. તેમના પહેલી વારના કાર્યકાળમાં કેટલાય ઐતિહાસિક નિર્ણયો લેવાયા- જનધન યોજના હેઠળ કરોડો લોકોનાં બેંક ખાતાં ખૂલ્યાં અને કાળા નાણાંને ડા’મવા માટે નોટબંધી થઇ તેમ જ જનરલ સેલ્સ ટેકસ- જી.એસ.ટી. દાખલ કરવામાં આવ્યો.

નાણાંકીય વ્યવહારો ડિજિટલી કરવાનું પ્રમાણ વધ્યું અને પાકિસ્તાનમાં ત્રાસવાદી થાણાંઓ પર હવાઇ હુમલો કરવામાં આવ્યો.એક તરફ મોદીના પ્રશંસકોની સંખ્યામાં ગણનાપાત્ર વધારો થયો તો ટીકાકારોય વધ્યા, પણ 2019 ની સંસદીય ચૂંટણીએ મોદીને 2014 કરતાં વધુ મોટો જનાદેશ આપ્યો. કોવિડ-19 એ સંખ્યાબંધ લોકોના પ્રાણ લીધા અને મંદ અર્થતંત્રને મૃત:પ્રાય કરી નાખ્યું ત્યાં સુધી મોદીને ખબર નહીં પડી કે તેમની સરકાર કોઇ પણ ભારતીય સરકાર જોઇ નહીં હોય તેવી સૌથી ખરાબ કટોકટીનો સામનો કરી રહી છે.

હવે પરિસ્થિતિ સુધરી છે. અનેક સમસ્યાઓ અને મુદ્દાઓ હોવા છતાં વાતાવરણમાં આશાની લહેરખી ફેલાઇ છે. હવે પછી ત્રણ વર્ષે મોદી લોકસભાની ચૂંટણી લડશે. ત્યાં સુધીમાં તે 74 વર્ષના થઇ જશે. ચૂંટણીના રાજકારણના પોતાનાં વીસ વર્ષ માટે મોદી શું માને છે તે અંગ્રેજી સામાયિક ‘ઓપન’માં પત્રકાર પી.આઇ. રમેશ સાથેની વાતચીતમાં બહાર આવે છે. ઘણાં લોકો કેટલાક સવાલોના તેમણે આપેલા જવાબના આધારે તેમને સમજવાની કોશિશ કરે છે. એક વાત સ્પષ્ટ છે: મોદીમાં તેમને જે સિધ્ધ કરવું છે તેનો નિર્ધાર કરવામાં વિશ્વાસનો અભાવ નથી.

મોદી પોતે જ કહે છે કે મેં તલવારની ધારે ચાલવાની જિંદગી જીવવાની કોશિશ કરી છે અને લોકોના દરેક મુદ્દાઓને અનુભવું છું અને તેની અનુભૂતિ કરું છું. હું સત્તા પર આવ્યો ત્યારે મેં લોકોને ત્રણ વચન આપ્યાં હતાં. હું મારા માટે કંઇ કરીશ નહીં, બદઇરાદે કંઇ કરીશ નહીં, હું સખત પરિશ્રમની નવી વ્યાખ્યા આપીશ. લોકો આજે પણ મારી આ વૈયકિતક પ્રતિબધ્ધતા જુએ છે. છેલ્લાં સાત વર્ષોમાં અમે જે કંઇ હાંસલ કરી શકયા તેના પાયામાં લોકો અને સરકાર વચ્ચેનો પરસ્પર પ્રચંડ વિશ્વાસ છે.

મોદી કહે છે અહીં સમસ્યા મોદી નથી, પણ જયારે કોઇ વ્યકિત પૂર્વગ્રહ સાથે કંઇ જોવાની કોશિશ કરે છે ત્યારે તે માત્ર અડધું જ દશ્ય જુએ છે અથવા ખોટું જોવાને પ્રેરાય છે અથવા પોતાની પૂર્વગ્રયુકત દૃષ્ટિને પોષવા માટે દૃશ્ય સર્જે છે. મોદીને ગળા સુધીની ખાતરી છે કે તેઓ જે કરે છે તે સાચું છે. તેમના ટીકાકારો બીજી રીતે વિચારતા હોય તો પણ તેઓ આગળ વધવામાં વિચલિત નથી થતા. મોદીએ નોંધ્યું કે મારા વિરોધીઓ મને અને મારા પક્ષને પોતાની પૂર્વ નિર્ધારિત માનસિકતાને આધારે મૂલવવાની કોશિશ કરે છે.

ભૂલ સ્વીકારવામાં પણ હિંમત જોઇએ એમ જણાવી તેઓ ઉમેરે છે કે આ વાત નહીં સ્વીકારનારાઓ કોઇ પણ વ્યકિતને મળ્યા વગર કે જાણ્યા વગર ધારણા બાંધી લે છે અને પછી રૂબરૂ મળે કે ખુલાસો થાય ત્યારે પણ પોતાના અહમને સંતોષવા જુદી વાત સ્વીકારશે નહીં. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેની પોતાની કામગીરીને ટાંકી મોદીએ કહ્યું કે હું ટીકાને ધિક્કારું છું એ વાત ખોટી છે. હું ટીકાકારોને ખૂબ માન આપું છું પણ કમનસીબે ટીકાકારોની સંખ્યા ખૂબ ઓછી છે, આક્ષેપબાજી કરનારાઓની સંખ્યા વધુ છે. ટીકા કરવા માટે સખત કામગીરી કરવી પડે, સંશોધન કરવું પડે, પણ આજે એટલો સમય કોની પાસે છે? ટીકાકારોનો અભાવ કયારેક મને ખટકે છે. મોદીને હરાવવા હોય તો તમારે સખત કામ કરવું જોઇએ એવો મોદીનો વિરોધ પક્ષોને આ સંદેશ છે? રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ આ વાતની નોંધ લઇ રહ્યા છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top