Comments

સંમતિ અને બળાત્કારમાં ખૂબ મોટું અંતર છે, પણ સ્ત્રીએ નક્કી કરવાનું, તેને કયું નામ આપવું

આ બહુ નાજુક મુદ્દો છે. બળાત્કારની અનેક ઘટનાઓમાં વાસ્તવિકતા અને ફરિયાદ વચ્ચે ખૂબ મોટું અંતર હોય છે, પણ વાત સ્ત્રીના સ્વમાન અને સુરક્ષાની હોવાને કારણે આ સંબંધે કામ કરતી પોલીસ  અને ઘટનાનું રીપોર્ટીંગ કરતા પત્રકારો તે મુદ્દે મૌન રહેવાનું પસંદ કરે છે કારણ જો આ મુદ્દે પોલીસ અને પત્રકાર સાચું ચિત્ર રજૂ કરે તો તેમની નૈતિકતા અને પ્રામાણિકતાને શંકાના દાયરામાં મૂકી દેવામાં આવે છે. દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો તેવી કોઈ પણ ઘટના હોય તેને સાંખી શકાય નહીં. 

કાયદાની ભાષામાં તો પુરુષ પોતાની પત્ની સાથે પણ તેની સંમતિ વગર સંબંધ પ્રસ્થાપિત કરે અથવા તેવું કરવાનો પ્રયાસ કરે તો તે બળાત્કાર જ છે.  સ્ત્રી એક ઉપભોકતાની વસ્તુ છે તેવી માનસિકતા ધરાવતા પુરુષોની આપણે ત્યાં બહુમતી છે. સ્ત્રીને પોતાને ઈચ્છા અને અણગમો હોઈ જ શકે નહીં તેવું અનેક પરિણીત પુરુષો માને છે. આવી એકસો બાબતો પુરુષોની બાબતમાં હોવા છતાં પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષે બળાત્કાર કર્યો જ હશે તેવો અંતિમ મત પણ યોગ્ય નથી.

હમણાં ગુજરાતના વડોદરામાં એક ઘટના ઘટી છે. કાયદાનો અભ્યાસ કરતી એક યુવતીએ વડોદરા પોલીસમાં પોતાની સાથે દુષ્કર્મ  થયું છે તેવી પોલીસ ફરિયાદ કરી , પોલીસે તરત ફરિયાદ નોંધી, પણ આ કેસના આરોપી વડોદરા નામાંકિત સી. એ. અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક જૈન અને રાજુ ભટ્ટ ફરાર થઈ ગયા હતા. જો કે હાઈ પ્રોફાઈલ કેસ હોવાને કારણે પોલીસ પણ તપાસમાં ઉતાવળ રાખી અને રાજુ ભટ્ટને જુનાગઢથી ઝડપી લેવામાં આવ્યા.

હાલમાં મામલો પોલીસ તપાસનો છે અને આગામી દિવસોમાં કોર્ટ આધીન થશે એટલે કેસના ગુણદોષની ચર્ચા આપણે કરતા નથી, પરંતુ પોલીસ કસ્ટડીમાં રહેલા રાજુ ભટ્ટે પોલીસને નિવેદન આપ્યું કે તેમણે બળાત્કાર કર્યો નથી, પણ યુવતી અને તેમની વચ્ચે જે સંબંધ બંધાયો તે બન્ને પક્ષની સંમતિ હતી. અહિંયા તે પ્રશ્ન મહત્ત્વનો છે, ઘટના એક જ છે, સ્ત્રી પુરુષના શારીરિક સંબંધમાં સમંતિ હોય તો બળાત્કાર નથી, પણ સંબંધ રાખનાર પતિ-પત્ની ના હોય તો પણ તે બળાત્કાર  નથી, પરંતુ પોતાના સંબંધને કયારે સંમતિ કહેવી અને કયારે બળાત્કાર કહેવો તે જાહેર કરવાનો અધિકાર કાયદાએ સ્ત્રીને આપ્યો છે.

મારો અભ્યાસ કહે છે દુષ્કર્મની દરેક ફરિયાદ સાચી હોતી નથી. આવી ફરિયાદમાં એક જ સચ્ચાઈ હોય છે તે સ્ત્રી પુરુષ વચ્ચે સંબંધ બંધાયો હતો, પણ જયાં સુધી સંબંધમાં સુમેળ હતો ત્યાં સુધી તે સંમતિ રહી અને જયારે સંબંધ બગડયા ત્યારે તે બળાત્કાર થઈ ગયો. આવી અનેક ખોટી ફરિયાદ પોલીસ સમક્ષ આવે છે, પરંતુ પોલીસની સમસ્યા એવી છે કે જો આ મામલે ફરિયાદ નોંધવામાં વિલંબ થાય અથવા ફરિયાદ નોંધવાની ના પાડે તો સ્ત્રી સંસ્થાઓ સહિત માનવ અધિકાર સંસ્થાઓ પોલીસનો ભુક્કો બોલાવી નાખે. આવી જ સ્થિતિ ઘટનાનું રીપોર્ટીંગ કરતા પત્રકારોની છે.

વર્ષો સુધી ક્રાઈમ રીપોર્ટીંગ કરનાર ક્રાઈમ રીપોર્ટરની સમજ પણ પોલીસ જેવી થઈ જાય છે. ફરિયાદ વાંચતાં અંદાજ આવી જાય છે કે આ દૂધમાં કેટલું પાણી ઉમેરાયું છે, પણ પત્રકાર પણ આ મામલે ઈન્વેસ્ટીગેશન કરી પુરુષનો પક્ષ લઈ શકતો નથી, કારણ સ્ત્રી સાચું બોલે છે તેવું આપણા મનમાં ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે. કયારેક સ્ત્રી પણ ખોટું બોલે છે તેવું કહેવાની હિંમત કરવી મુશ્કેલ હોય છે કારણ જો તમે ઘટનાનું તેના મેરીટના આધારે પણ મૂલ્યાંકન કરો તો તમે સ્ત્રી વિરોધી છો તેવો ટેગ લગાડી દેશે તેવો ડર લાગે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ પ્રકારનો એક નવો વ્યવસાય પણ શરૂ થયો, જેને આપણે હનીટ્રેપ કહીએ છીએ, જેમાં સ્ત્રીનું હોવું તો અનિવાર્ય છે, પણ દરેક રાજયોમાં મોટી ગેંગો છે. આ ગેંગમાં અનેક વખત સ્થાનિક પોલીસ સામેલ હોય છે. પુરુષની નબળી માનસિકતાથી પરિચિત, ખાસ કરી પચાસી વટાવી ચૂકેલા પુરુષને પોતાનું નિશાન બનાવે છે.

જેમના ઘરે બાળકોના પણ લગ્ન થઈ ગયાં, થોડા ઘણા સારા કહી શકાય તેવા પૈસા પણ હોય તેવા પુરુષ પાસે પહેલાં સ્ત્રી મિત્રતા કરે છે, સંબંધ રાખે છે અને એક દિવસ અચાનક જાહેર કરે છે, તેની સાથે ફલાણી ઓફિસમાં, ફલાણી હોટલ અને ફલાણા ફાર્મમાં દુષ્કર્મ અચારવામાં આવ્યું હતું. પહેલાં તો મામલો અરજી સ્વરૂપે હોય છે, એટલે જેની સામે અરજી થઈ હોય તેના પગ નીચેથી ધરતી ખસી જાય છે. આવી ઘટનામાં પતાવટની વાત થાય છે અને પછી લાખોમાં આ સંબંધ પુરુષને પડે છે. હવે તો રૂબરૂ મળવાની પણ જરૂર રહી નથી. સ્ત્રી સોશ્યલ મીડિયા મારફતે સંપર્કમાં આવે છે. વીડિયોથી આપ લે  થાય છે. હવે તમારો આ વીડિયો તમારા મિત્રોને મોકલું છું તેવી એક ધમકી દ્વારા ડીઝીટલી મની ટ્રાન્સફર થયાના પણ અનેકો કિસ્સા છે. આમ અનેક સ્ત્રીઓએ પોતાની સુરક્ષા માટે રહેલા કાયદાને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવી દીધું છે.

હું એવું પણ કહેવા માંગતો નથી, કે બળાત્કાર થતાં જ નથી અને તમામ બળાત્કારની ફરિયાદ ખોટી હોય છે. કોઈ ઘટનાને કારણે સમગ્ર વિષયનું જનરલાઈઝ કરી શકાય નહીં, જેની સામે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાય છે તેની આબરૂ તો ધૂળધાણી થાય છે, પરંતુ આપણે જે પુરુષ સામે ખોટી ફરિયાદ થઈ છે તેના પરિવારનો કયારેય વિચાર કરતા નથી. બીજી ખાસ બાબત એવી છે કે જે કિસ્સામાં સંમતિથી સંબંધ બંધાયો હતો તેવા કિસ્સામાં પકડાયેલો પોલીસ સામે જયારે સંમતિના સંબંધની કબુલાત કરે છે ત્યારે તે પુરુષની પત્ની અને બાળકોની

શું સ્થિતિ હશે તેની પણ આપણે કલ્પના કરતા નથી. વડોદરાના કેસમાં મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પોલીસને કહ્યું કે મેં બળાત્કાર કર્યો નથી, મારો સંબંધ સંમતિનો હતો, ત્યારે રાજુ ભટ્ટની પત્નીની માનસિક સ્થિતિની કલ્પના કરો, તે સ્ત્રીને કેટલો મોટો આઘાત લાગ્યો હશે. કદાચ તે સ્ત્રીને લાગ્યું હશે કે તે જિંદગીની બાજી હારી ગઈ. પુરુષ જયારે પકડાઈ જાય ત્યારે સહજથી સત્યને સ્વીકારી લે છે, રાજુ ભટ્ટના કિસ્સામાં પણ તેમનાં પત્ની સંમતિના સંબંધને સ્વીકારી લેશે, પણ માની લો કે કોઈ સ્ત્રી પોતાના પતિ સામે એવી કબુલાત કરે કે મારે ફલાણા પુરષ સાથે શારીરિક સંબંધ હતો, પુરુષ તે બાબતને હરગીજ સ્વીકારશે નહીં. વાત અહિંયા એટલી જ છે કે સ્ત્રી પોતાના સંબંધને કયો દરજ્જો આપવા માગે છે તેની ઉપર પુરુષનું ભાવિ નિર્ભર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top