Comments

તારા ગુલાબી ગાલના ખંજન મને ગમે છે…!

તારા ગુલાબી ગાલના ખંજન મને ગમે છે
એ ખંજનમાં મહાલવા મંથન મને ગમે છે
ઘોર કાળી રાતમાં હું ચાંદને શોધતો રહ્યો
શમણું તોડી વહી ગઈ અંજન મને ગમે છે
રખે ભરમાતા કે હું કોઈ મસ્ત માશુકાની કહાની કરવાનો છું. મારે વાત કરવી છે, ગુલાબી-ગુલાબી વાનવાળી ૨૦૦૦ ની નોટની..! ૨૦૦૦ ની નોટ જ્યારથી જાહેર જીવનમાંથી ઉકલી ગઈ, એના આ હાસ્ય-મરશિયા છે. કહો કે, મંગલ-મસ્તી છે. તમે ચમનિયાને તો ઓળખો. એની પાસે ગાદલા ભરાય એટલી ૨૦૦૦ ની નોટ મુદ્દલે નહિ. સમ ખાવા પૂરતી માત્ર એક જ ૨૦૦૦ ની નોટનો આસામી. પણ એક નોટનો આસામી હોવા છતાં, ૨૦૦૦ ની નોટ ઉંચકાઈ ગઈ એમાં એની ડાકલી ખસી ગઈ..!

એ ચમન-ચુલ્લુ ઉકરડે ઉબડો પડીને આવી કવિતા લખી, કવિ થવાના માર્ગે હાંફી રહ્યો છે..! કોયલ જાણે કાગડી બની ગઈ હોય, કે જણસ જેવી ગર્લફ્રેન્ડ જલસા કરીને કોઈ જેન્તીલાલ સાથે ભાગી ગઈ હોય એમ, બેહાલ બનીને અંગારાની ઉલટી કરે છે બોલ્લો..! કહેવાય છે ને કે, નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ, એમ નાથાલાલનો પાયરી ઉતાર થયો હોય ને નથ્થુ નાથિયો બની ગયો હોય એમ એ ઉકળે..! છણકો કરીને પત્ની અનેક વાર પિયર પલાયન થયેલી, ત્યારે પણ જે નસ નહિ ખેંચાયેલી એ બધી નસો ૨૦૦૦ ની નોટ ખેંચાવાથી જાણે સુક્કી ભઠ્ઠ થઇ ગઈ..!

આશ્ચર્ય તો મને પણ થાય કે, સમ ખાવા પૂરતી માત્ર ૨૦૦૦ ની એક જ નોટનો આસામી હોવા છતાં, એને આટલો ફફડાટ કેમ..? ગાડાંઓ ભરાય એટલી ૨૦૦૦ ની નોટ હોય ને આવાં ડાકલાં વગાડે તો માની લેવાય કે, માણસની ડાકલી ખસે. અરમાનો લકવાગ્રસ્ત બની જાય. પણ મૂળ વાત એવી કે, ૨૦૦૦ ની એક જ નોટનો આસામી હોવા છતાં, એ ભરપૂર જાહોજલાલી ભોગવતો. જેમ ચમનિયો ક્યાંય નહિ ચાલે, એમ એની આ એક જ ૨૦૦૦ ની નોટ પણ નહિ ચાલે. એ પણ ખોટો ને એની નોટ પણ ખોટી..!

એક માત્ર ૨૦૦૦ ની ખોટી નોટની મૂડીમાં, તો એ કેટલાય સમયથી મિત્રો સાથે લીલાલહેર અને મંગલ મસ્તી કરતો. જ્યારે જ્યારે પણ મિત્રો સાથેની મહેફિલમાં ચુકવણું કરવાનું આવે ત્યારે મોટા ઉપાડે, એ ૨૦૦૦ ની નોટ કાઢતો, પણ ખોટી નોટ હોવાથી કોઈ સ્વીકારતું નહિ, એટલે સાથે આવેલા મિત્રોના માથે હવાલા પડતા અને એ મફત-લાલ સામેવાળાની લાલ કરતો. બસ..! એ જાહોજલાલી ખાક થઇ ગઈ એનો એને દુખાવો! સમાજમાં આવાં તો ઘણાં ચમનિયાં ઘણાને ભટકાયાં હોય. ૨૦૦૦ ની નોટ મેદાન છોડી ગઈ એમાં તો જાણે કોઈએ ઘરવાળીને કાયમ માટે ઉઠાવી લીધી હોય એટલો અફસોસ કરે છે બોલ્લો..!
સમાજમાં આવાં ઘણાં ચમનિયા હશે, આ તો એક નમૂનો..!

આવાંને કોણ ઉપદેશ આપે કે, ‘ફૂટડા..! જેટલી સંઘરી છે, એટલી જ આપણી છે, એવો અહોભાવ નહિ રાખવાનો..! પદ્મશ્રી અવિનાશભાઈ વ્યાસનું પેલું ભજન યાદ કરવાનું કે, ‘રાખનાં રમકડાં મારા રામે ‘ભમતા’રાખ્યા રે..! (મને પણ ખબર છે કે, આ ‘ભમતા’નહિ, ‘રમતા’શબ્દ આવે..! પણ પાણી માંથી મલાઈ શોધવાના આયામ હજી શાંત થયાં લાગતાં નથી..! ) યાર..! ૨૦૦૦ ની આખેઆખી નોટ ખેંચાઈ જાય પછી, કોઈ રમતા હશે..? એને રમતા નહિ, ‘ભમતા’જ કહેવાય ચીટકું..! ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના બીજા અધ્યાયના ૨૭ મા શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જે જન્મ લે છે, એનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલા ફરી નવો દેહ લઈને જન્મ ધારણ કરે.

છતાં લોકો રાડ્યું પાડે છે કે, સરકારની લીલા સમજાતી નથી. કેમ ભૂલી જાય છે કે, ૫૦૦-૧૦૦૦ ની નોટ જેમ ગઈ ને ૨૦૦૦ ની નોટનો દેહ લઈને ફરીથી આવી, એમ હવે, ૨૦૦૦ ની નોટ ગઈ તો ભલે ગઈ, કદાચ ૫૦૦૦ ની નોટનો દેહ લઈને ફરીથી પણ આવે..! કરોડો વર્ષથી આવું તો ચાલી આવે છે. રાણી છાપ ચાંદીના રૂપિયાનું અસ્તિત્વ નથી રહ્યું તો, કાગળના ટુકડા કઈ ખેતરની મુળી? માટે ઉકળાટ નહિ કરવાનો..! સૌ સારાં વાનાં થશે..! સાવ અશ્રદ્ધાળુ નહિ બનવાનું..! એમ કહો કે, જે નોટનું ‘babby sitter’હજી હમણાં જ પૂરું થયું, એ સાત વર્ષનું બાળક ભર ઉનાળે, ભર કેરી ગાળામાં ને ભર બાળપણે ચાલી ગયું, એની અમને વેદના છે.

કેરીગાળામાં નોટનો વિલય થવાથી, હાલત કેરીના રસને બદલે કારેલાનો રસ પીતાં હોઈએ એવી થઇ ગઈ.! ફૂટડા.! માણસ જેવાં રાખનાં રમકડાંએ દેહ બદલવા માટે ભમવું પડે, એમ નોટોએ પણ ભટકવું પડે મોટાભાઈ..! માણસ પણ એક પ્રકારની નોટ જ છે ને..? ભલે ૭ વર્ષમાં ૨૦૦૦ની નોટનું દેહાંત થયું, પણ એક વાત શીખવાની મળી કે, મોટી નોટ સાથે હંમેશા માપના જ સંબંધ રખાય..! એ ક્યારે દગો દે એનો ભરોસો નહિ..! આત્મા ક્યારેય મરતો નથી, એમ એ પાછી આવશે. એના આઘાતમાં પીલ્લેલા મરઘા જેવાં છોગિયાં મોંઢા લઈને માણસથી ફરાય નહિ..! સંતો કહેવાનું ભૂલી ગયાં છે કે, ‘સહનશક્તિ વગર લીલાલહેર આવતી નથી..!’

કોઈએ સાચું જ લખ્યું છે કે, ‘ભમતાં રહેવું, ભમતાં રહેવું, ભમતા રહેવું રે, અગમ અગોચર અલખના દેશમાં સહેતાં રહેવું રે..!’નિરાશ નહિ થવાનું ફડકું..! ભ્રષ્ટાચારમુક્ત દેશ બનાવવો હોય તો આવાં કડવા ઘૂંટડા પણ પીવા પડે. પણ એની જાતને સમજે છે કોણ..? ૨૦૦૦ ની નોટ ખેંચાઈ ગઈ એમાં રતનજીના મગજે એવો તાવો ચઢી ગયો કે, બેંકના ઓટલે નોટનું બેસણું રાખ્યું ને ઉછળી-ઉછળીને ભાષણ કર્યું કે…

પ્રિય, સહનશીલ સજ્જનો અને સહનશીલ સન્નારીઓ..! ચીકની ચમેલી જેવી ગુલાબી-ગુલાબી વાન ધરાવતી, ૨૦૦૦ની નોટ સાત વર્ષની કાચી ઉંમરમાં સૌને ઘેલું લગાડીને જતી રહી, એનાથી સૌને આઘાત લાગ્યો હશે. એનો નિજી સ્વભાવ કેવો પરદુઃખભંજક હતો? પરચુરણ તો ખિસ્સામાં ભાર આપતું, ત્યારે આ તો વ્હાલસોયા બાળકની જેમ ખિસ્સામાં પ્રેમથી સમાઈ જતી. કોઈના ખિસ્સા ભરવામાં પણ ક્યારેય ખચકાટ નહિ કરતી. કાળનું કરવું, એ આપણી વચ્ચે હવે રહી નથી. એની બેંક-યાત્રામાં સ્મશાન યાત્રા જેટલો સ્વજનભાવ સૌએ બતાવ્યો એની હું જાહેરમાં કદર કરું છું. ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે, એમનો આત્મા જ્યાં હોય ત્યાં પરમ શાંતિ પામે.

બાકી ગરીબના નસીબ તો ગરીબ જ રહેવાના. પરચુરણની કોઈ કિંમત ન હોવા છતાં, એને ઊંચકી લેવાને બદલે, કાચી ઉંમરે બળવાન-મૂલ્યવાન-અને ઘર-જમાઈ જેવી ૨૦૦૦ ની નોટ દુનિયામાંથી ઊઠી જાય એ આઘાત નાનો સૂનો નથી. સરકારને જે ગમ્યું તે ખરું..! એમના જવાથી અમારી સંગ્રહખોરી-ભ્રષ્ટાચારી-દુરાચારી નીતિને ભારે અસર થઇ છે, પણ કરીએ શું..? પહેલાં ૧૦૦૦ અને ૫૦૦ ની નોટે વિદાય લીધી, હવે ૨૦૦૦ ની નોટ પણ અમારી વચ્ચેથી બાળ મરણમાં ચાલી ગઈ. સરકારને એટલી જ પ્રાર્થના કરવાની કે, બીજી નોટ છાપો કે નહિ છાપો એ તો આપના હાથની વાત છે, પરંતુ હે શ્રેષ્ઠીઓ…! નોટને પુનર્જન્મ આપો ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં લેજો કે, જેમ મોટાં ‘વ્યવહાર’ માટે ૨૦૦૦ ની નોટ તારણહાર હતી, એમ માંગલિક વ્યવહાર સાચવવા અમને ૧૫૧ અને ૨૫૧ ની બહુ તકલીફ રહે છે, માટે ૧૫૧ અને ૨૫૧ ની નોટનું સર્જન કરજો. જેથી ચાંલ્લાઓ કરવામાં અમને દુવિધા નહિ રહે..! અસ્તુ..!!

લાસ્ટ ધ બોલ
રતનજી બેંકમાં ૨૦૦૦ની નોટ બદલાવવા ગયા અને જોરથી બૂમ પાડી બોલ્યા, ‘કોઈનું રબર બેન્ડથી બાંધેલું નોટનું બંડલ ખોવાયું છે?’
દશ પંદર જણાએ કહ્યું, ‘હા મારું ખોવાયું છે..!’
રતનજી કહે, ’બંડલ તો કોઈ લઇ ગયું છે, પણ આ રબર બેન્ડ મને મળ્યું છે, લઇ લો..!’
તારા કપાળમાં કાંદા ફોડું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top