Gujarat

અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું- હાર્દિક પટેલે CMને પત્ર લખ્યો

પાંચ વર્ષ બાદ રુપાણી સરકારે શરૂઆત કરી હતી.. હવે તમે પૂરી કરજો..અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું.. આ શબ્દો છે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના. હાર્દિક પટેલે (Hardik Patel) સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મસમોટો પત્ર લખ્યો છે, જેમાં પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વિશે લખવામાં આવ્યું છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે ગુજરાતના (Gujarat) ગરીબ અને આર્થિક પછાત લોકો માટેની વેદના સાંભળીને સરકાર સારા સારાં કામ કરશે તેવી મને આશા છે. ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશો એવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું. હાર્દિક પટેલે પાટીદાર આંદોલનના (Patidar Andolan) 300થી વધુ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે.

હાર્દિક પટેલે લખ્યું કે 1 કરોડથી પણ વધુ વસતિ ધરાવતા પાટીદારોએ “પાટીદાર અનામત આંદોલન સમિતિ” (Pass) દ્વારા અનામત આંદોલન કરેલું એમાં ગુજરાતના તમામ 60 ટકા સવર્ણ વર્ગને ફાયદો થયો છે. માત્ર ગુજરાત જ નહીં, પણ નરેદ્ર મોદીએ પણ આંદોલન પછી ગરીબ સવર્ણ સમાજ માટે પગલાં લેવા પડ્યાં હતાં.  જો આંદોલન ખોટું હોત તો ગુજરાત સરકારે સવર્ણ આયોગ બનાવવા સહિત 5 હજાર કરોડની રાહતો ન આપી હોત. આંદોલન સાચું હતું તો પછી હજુ ગુનાઓ પરત ખેંચાયા નથી તેવો સવાલ પણ હાર્દિક પટેલે કર્યો છે.

હાર્દિકે મુખ્યમંત્રીને સંબોધીને લખ્યું છે કે મારા પર રાજદ્રોહ સહિતના 28 ગુના છે. લાલજીભાઈ પટેલ પર પણ એટલા જ ગુના છે. બીજા 30 આગેવાન પર કેસ છે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ અમારા લોકો વિરૂદ્ધ 300 જેટલા ખટલા ચાલી રહ્યા છે. આ તમામ ગુનાઓ પરત ખેંચવામાં આવે તેવી માંગ હાર્દિકે કરી હતી. તેણે કહ્યું કે સરકારે જે વચનો આપ્યા છે તે પૂરાં કરવા દરેક મુખ્યપ્રધાનની ફરજ છે.

દાદાને આનંદીબેન પટેલનું ઉદાહરણ આપી માંગો પૂરી કરવા કહ્યું

નવનિયુક્ત મુખ્યમંત્રી આનંદી બહેન પટેલના નજીકના માનવામાં આવે છે. જેનો લાભ લઈ હાર્દિક પટેલે કહ્યું કે રાજ્ય સરકારે આપેલાં આ વચનો પૂરાં કરવા આનંદીબેન મક્કમ હતાં. તેમણે વારંવાર સમીક્ષા કરી હતી. હવે તમે આનંદીબેન પટેલની મક્કમતાને આગળ ધપાવશો એવી આશા સમગ્ર પાટીદાર સમાજ રાખે છે. ભાજપના રાજમાં પોલીસ દમન સહિતના મુદ્દાઓથી પાટીદારો આજે પણ નારાજ છે, તેથી ભાજપે ચૂંટણી જીતવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભાજપે 150 બેઠકો જીતવાની જાહેરાત કરી હતી અને 99 આવી હતી. ફરી આવું થઈ શકે છે. જો કેસ પરત નહીં ખેંચાય તો એનાથી પણ ઓછી બેઠકો 2022માં આવશે તેવી ચીમકી પણ હાર્દિક પટેલે ઉચ્ચારી હતી.

Most Popular

To Top