Gujarat

ગુજરાતમાં વર્ષ 2022માં 73 હજારથી વધુ નાગરિકો કેન્સરનો ભોગ બન્યા

ગાંધીનગર: આજે વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, અમદાવાદ (Ahmedabad) સિવિલ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં વર્ષ 2021માં 23,695 જ્યારે વર્ષ 2022માં 25,192 દર્દીઓ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. લોકસભામાં ડિસેમ્બર-2022માં દેશભરમાં કેન્સરની સ્થિતિ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યમાં વર્ષ 2021માં 71,507 જ્યારે વર્ષ 2022માં 73,382 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કેન્સરનું પ્રમાણ રોકવા અને લોકોમાં જનજાગૃતિ માટે છેલ્લા 8 વર્ષમાં જી.સી.આર.આઇ. દ્વારા 641 જેટલા કેમ્પ કરીને 58 હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ ટેસ્ટ, સ્કિનિંગનો લાભ આપવામાં આવ્યો છે. આ કેમ્પમાં સ્ત્રીઓમાં મુખ્યત્વે થતાં ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સરની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે. વધુમાં સ્તન કેન્સર માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે પેપરસ્મેયર પણ કરવામાં આવે છે.

ગુજરાત સરકારે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તેવું સુદ્રઢ માળખું, સેવાઓ તૈયાર કરી છે. જી.સી.આર.આઇ.માં તાજેતરમાં જ અંદાજિત રૂ. 85 કરોડના ખર્ચે રેડિયોથેરાપી સારવાર માટે અદ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે. જી.સી.આર.આઇ.માં આવતાં કુલ દર્દીઓ પૈકી 30 થી 32 ટકા દર્દીઓ અન્ય રાજ્યોમાંથી આવે છે.

Most Popular

To Top