રણબીર-સાઈ પલ્લવીની ઝલકથી ચાહકોમાં ઉત્સાહ
બોલિવૂડની સૌથી ચર્ચિત અને મોટા બજેટની ફિલ્મોમાં સામેલ ‘રામાયણ: પાર્ટ 1’ને લઈને દર્શકોની આતુરતાનો હવે વધુ એક તબક્કો શરૂ થયો છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ફિલ્મનું પ્રથમ ગીત ‘જય જય રામ’ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભગવાન શ્રીરામની ભવ્ય ગાથા, આધ્યાત્મિક ભાવના અને સિનેમેટિક ભવ્યતાના સંગમથી તૈયાર કરવામાં આવેલું આ ગીત દર્શકોને પસંદ આવી રહ્યું છે.
‘જય જય રામ’ ગીતને સંગીતકાર એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું છે, જ્યારે તેના શબ્દો જાણીતા કવિ કુમાર વિશ્વાસે લખ્યા છે. ગીતને બોલિવૂડના લોકપ્રિય ગાયક અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે. ગીતમાં ભગવાન શ્રીરામના નામના જાપને કેન્દ્રમાં રાખીને ભક્તિ, કરુણા, રક્ષણ અને ધર્મના માર્ગને સંગીત દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ રચનામાં આરતી જેવી ભક્તિભાવનાની સાથે ફિલ્મના વિશાળ કેનવાસને અનુરૂપ ભવ્ય સંગીતનો અનુભવ પણ થાય છે.
એ.આર. રહેમાનના જણાવ્યા પ્રમાણે ગીતનો મુખ્ય આધાર શ્રીરામના નામના સરળ અને શક્તિશાળી જાપ પર છે. તેમનો પ્રયાસ એવો રહ્યો કે પ્રાર્થનાની સરળતા અને પવિત્રતા જળવાઈ રહે, પરંતુ ગીત આગળ વધે તેમ તેમાં ભવ્ય સિનેમેટિક અનુભવ પણ ઉમેરાય. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગીતને અલગ-અલગ ભાવનાત્મક અભિવ્યક્તિ આપી છે, જેના કારણે તેની ભક્તિભાવનામાં વધુ ઊંડાણ આવ્યું છે.
કવિ કુમાર વિશ્વાસે પણ ગીત વિશે વાત કરતાં જણાવ્યું કે ‘જય જય રામ’ માત્ર ત્રણ સરળ શબ્દો છે, પરંતુ તેમાં સંપૂર્ણ પ્રાર્થનાની ભાવના સમાયેલી છે. શ્રીરામના સમગ્ર વ્યક્તિત્વને શબ્દોમાં બાંધી દેવાના બદલે તેમણે ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ગીતમાં શ્રીરામને માર્ગદર્શક, શક્તિ અને આશ્રય તરીકે રજૂ કરવામાં આવ્યા છે.ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે ‘રામાયણ’ના કેન્દ્રમાં શ્રીરામ છે અને પેઢીઓથી લોકો જીવનના સુખ-દુઃખ અને મુશ્કેલ સમયમાં તેમના માર્ગ અને શક્તિ તરફ જોતા આવ્યા છે. ગણેશ ચતુર્થીના દિવસે ફિલ્મના સંગીતની શરૂઆત કરવી પણ નિર્માતાઓ માટે ખાસ અર્થ ધરાવે છે, કારણ કે ભારતીય પરંપરામાં દરેક શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશના આશીર્વાદથી કરવામાં આવે છે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારી કરી રહ્યા છે. ગણેશ ચતુર્થીના અવસર પર શ્રીરામ અને માતા સીતાનું નવું પોસ્ટર પણ રજૂ કરવામાં આવ્યું છે, જેને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.‘રામાયણ’નો ટ્રેલર અગાઉ જબરદસ્ત ચર્ચામાં આવ્યો હતો અને નિર્માતાઓના જણાવ્યા પ્રમાણે તેને છ દિવસમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર એક અબજથી વધુ વ્યૂઝ મળ્યા હતા. હવે ‘જય જય રામ’ના રિલીઝથી ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી છે. ‘રામાયણ: પાર્ટ 1’ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, ત્યારે હવે દર્શકો ફિલ્મની ભવ્ય દુનિયાને મોટા પડદા પર જોવા માટે આતુર બન્યા છે.