National

‘સરકારે પહેલાં જ નક્કી કરી લીધા છે ચૂંટણી કમિશનરોના નામ’ અધીર રંજન ચૌધરીએ કર્યો આ બે નામોનો ઘટસ્ફોટ

ચૂંટણી કમિશનરોની (Election Commissioners) નિમણૂક માટે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના (Congress) સાંસદ અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) પણ બેઠકમાં સામેલ થયા હતા. બેઠક બાદ અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે સરકારે ચૂંટણી કમિશનરોના નામ પહેલાથી જ ફાઇનલ કરી દીધા છે. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. નવા ચૂંટણી કમિશનરોના નામની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને તાજેતરમાં અરુણ ગોયલના રાજીનામાને કારણે ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ખાલી છે. આ પદો પર નિમણૂક માટે આજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

અધીર રંજન ચૌધરીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ‘સરકાર ઈચ્છે છે, તે જ વ્યક્તિ ચૂંટણી કમિશનર બનશે.’ પોતાની નારાજગી વ્યક્ત કરતાં અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે સરકાર પાસે સમિતિમાં બહુમતી છે અને તેના કારણે સરકાર પોતાની પસંદગીના નામ નક્કી કરી શકે છે. ભારત જેવી લોકશાહીમાં આટલા મોટા પદ પર નિમણૂક આ રીતે થવી જોઈએ નહીં. મને મીટિંગની 10 મિનિટ પહેલા છ નામ આપવામાં આવ્યા હતા, તો આટલા ઓછા સમયમાં હું શું કહીશ?

અધીર રંજન ચૌધરીએ માંગી હતી સૂચવેલા નામોની માહિતી
બેઠક પહેલા બુધવારે અધીર રંજન ચૌધરીએ કાયદા મંત્રાલયને પત્ર લખીને યાદીમાં સામેલ ઉમેદવારો વિશે દસ્તાવેજો અને માહિતી માંગી હતી. આજે અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે ગઈકાલે તેમને 212 નામ આપવામાં આવ્યા હતા અને આજે મીટિંગની 10 મિનિટ પહેલા છ નામો નક્કી કરવામાં આવ્યા હતા જેમાંથી બેની પસંદગી કરવામાં આવી હતી. નોંધનીય છે કે નવા નિયમો અનુસાર ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કેબિનેટ મંત્રીની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે. કાયદા મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલા પાંચમાંથી કોઈપણ બે નામો પર વડા પ્રધાનની આગેવાની હેઠળની સમિતિ નિર્ણય લેશે. સમિતિને ચૂંટણી કમિશનરના પદ પર સૂચવેલા પાંચ નામો સિવાયના પણ અન્ય કોઈ અધિકારીની નિમણૂક કરવાનો અધિકાર છે. હાલમાં ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બાકી છે.

જ્ઞાનેશ કુમારે અમિત શાહ સાથે કામ કર્યું છે
જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો ત્યારે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના પ્રભારી હતા. મોદી સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરી. 1988 બેચના IAS જ્ઞાનેશ કુમારને મે 2022 માં સહકાર મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ પદેથી તેમની બદલી કરવામાં આવી હતી. કુમારે સહકાર મંત્રાલયમાં દેવેન્દ્ર કુમાર સિંહનું સ્થાન લીધું હતું. નિવૃત્તિની ઉંમર બાદ પણ જ્ઞાનેશ કુમારની સેવા યથાવત રાખવામાં આવી હતી. તેઓ 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા હતા.

કોણ છે સુખબીર સંધુ
સુખબીર સંધુ 1998 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. 2021માં જ્યારે પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે સુખબીર સંધુ રાજ્યના મુખ્ય સચિવના પદ પર હતા. તે પહેલા સંધુએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધ્યક્ષ અને માનવ સંસાધન મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં વધારાના સચિવ તરીકે પણ સેવા આપી હતી. સુખબીર સંધુએ અમૃતસરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં M ડિગ્રી મેળવી છે. તેમની પાસે કાયદાની ડિગ્રી પણ છે. સંધુએ ‘અર્બન રિફોર્મ્સ’ અને ‘મ્યુનિસિપલ મેનેજમેન્ટ એન્ડ કેપેસિટી બિલ્ડીંગ’ પર રિસર્ચ પેપર પણ લખ્યા છે. સંધુને લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકેની તેમની સેવાઓ બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top