Gujarat Main

ગુજરાતમાં કોરોનાના ઇન્ફેક્શનથી બચવા 70 હજારથી 1.25 લાખનું મોલોક્લોનલ કૉકટેલ ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

કોવિડની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં (Gujarat) લોકો કોરોનાના (Corona) ઈન્ફેકશનથી બચવા અનેક તકેદારી લઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ (Ahmedabad) કોરોનાનું હોટસ્પોર્ટ બની ગયુ છે. અમદાવાદની હાઇ સોસાયટીમાં કોવિડ પોઝિટિવ આવ્યા બાદ મોનોક્લોનલ કોકટેલ એન્ટિ બોડી થેરપીનો ટ્રેન્ડ જોશપૂર્વક ચાલી રહ્યો છે. બે ડ્રગ ભેગા કરીને સેલાઈન સાથે અપાતી આ થેરેપીમાં 10 મિલીના એક ડોઝ માટે ડૉક્ટરો (Doctor) અને હોસ્પિટલો (Hospital) 70 હજારથી સવા લાખ સુધીનો ચાર્જ વસૂલ કરી રહ્યા છે.

ડોક્ટરોના મતે ઓમિક્રોનના કેસમાં આ ઈન્જેકશનની કોઈ અસર જોવા મળી નથી સાથે જ તેઓએ જણાવ્યું કે આ થેરાપી પોઝિટિવ કોરોના કે ઓમિક્રોન આવ્યાના પહેલા બે કે ત્રણ દિવસમાં લેવા માટે તેઓ એડવાઈઝ કરે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો માઈલ્ડ કે મોડરેટ ચેપ હોય તો ડોકટર દ્વારા આ ઈન્જેકશન લેવાની સલાહ અપાય છે. હાઈ રિસ્ક કેટેગરીમાં આ ઈન્જેકશન લેવાની સલાહ આપવામાં આવતી નથી. મળતી માહિતી મુજબ ઓમિક્રોન થયો હોય ત્યારે આ ઈન્જેકશન કોઈ અસર કરતું નથી.

એક અઠવાડિયા અગાઉ અમદાવાદમના જાણીતા ડોક્ટરના પુત્રનાં લગ્ન માટે જેસલમેરમાં ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં આશરે ૨૦૦ લોકોએ હાજરી આપી હતી. આ પાર્ટીમાંથી પરત આવ્યા બાદ ૧૦૦ જેટલા લોકોનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટીવ આવેલા લોકોમાંથી કેટલાકે મોનોક્લોનલ કોકટેલ થેરપી લીધી હતી.

અમદાવાદના એક ડોક્ટરે જણાવ્યું હતું કે બીજી લહેર વખતે આ કોકટેલ ઈન્જેકશનની શરૂઆત થઈ હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સૌરવ ગાંગુલીએ પણ આ થેરપી લીધી હતી. લોકોને આ અંગેની જાણ થતાં અમદાવાદમાં ઘણાં લોકો આ થેરપી લઈ રહ્યા છે. લોકોમાં આ ઈન્જેકશનનો ટ્રેન્ડ એટલો વઘી રહ્યો છે કે લોકો કોવિડ પોઝિટિવ આવતા ડોકટરને સામેથી આ થેરપી આપવાનું કહે છે.

થેરપીની વાત કરીએ તો આમાં બે 10 મિલી વાયલનો સેટ આવે છે જેમાંથી 2 ડોઝ આપી શકાય છે. બંને વાયલમાંથી 5-5 મિલી ઇન્જેક્શનમાં ભરીને સેલાઈનમાં લઈ ઈન્જેકશન અપાઈ રહ્યું છે. તેને ખોલ્યા પછી 36 કલાકમાં તે એક્સપાયર થઈ જાય છે. હાલમાં ગુજરાતમાં લોકો કોકટેલ વાઈલ્ડ ફાયરની જેમ આ થેરપીનો યુઝ કરી રહ્યા છે. ભારતમાં જે ઇન્જેક્શન ઉપલબ્ધ છે તે માત્ર ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને બીજા કેટલાક વેરિયેન્ટ માટે અસરકારક છે. ૬૫ વર્ષથી ઉપર કે હાઈ ડાયાબિટીસવાળા, કિડની કે કેન્સર જેવા દર્દી માટે તે આપી શકાય જેથી તેમનાં મૃત્યુ કે ICU ભરતીની શક્યતા ઘટાળી કે ટાળી શકે. સામાન્ય વ્યક્તિએ આ થેરપી લેવાની કોઈ જરૂર નથી.

Most Popular

To Top