Dakshin Gujarat

ઓઝરડાના બાપુ ઓઝરયાએ નદીમાં માછલી પકડવા જાળ નાંખી અને જળ બિલાડી ફસાઈ, અને પછી..

વલસાડ : કપરાડા તાલુકાના નાનાપોઢાં વન કચેરીના (Forest department) રેજ ફોરેસ્ટ ઓફિસરને (Officer) મળેલી બાતમીના આધારે ઓઝરડા ગામના બાપુ બબલુ ઓઝરિયાના ઘરમાં છાપો (Raid) મારી કેરેટમાં મૂકવામાં આવેલી જળ બિલાડી કબજે કરી હતી. તેઓ જળ બિલાડીને વેચે તે અગાઉ જ જળ બિલાડી રાખનાર સહિત 5 ઈસમને ઝડપી લીધા હતા. જેમાં બિલાડી (Cat) જેમના ઘરમાંથી (House) મળી તે બાબુ બાપુ ઓઝરીયા, જ્યોતીન્દ્ર શશીકાંત પંડ્યા, ચિરાયુ આનંદ પટેલ, અશોક વિનુ બારીયા અને ઇન્દ્રજીત મહેન્દ્રસિહ વાઘેલાનો સમાવેશ થાય છે. જૂન 2020માં બનેલી આ ઘટનાનો કેસ કપરાડાની જ્યુડી. મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ અશોકભાઈની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈ જજ દિલીપભાઈ વ્રજલાલ સાકરીયાએ તમામ 5 આરોપીને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ગુના અંતર્ગત કસૂરવાર ઠેરવી તમામને 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ અને જો દંડ ભરવામાં કસુર કરે તો વધુ 9 માસની સજાનો હુકમ કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના
નાનાપોઢાંના તત્કાલિન વન અધિકારી અભિજિત સિંહ રાઠોડના જણાવ્યા મુજબ ઓઝરડાના બાપુ ઓઝરયાએ નદીમાં માછલી પકડવા નાખેલી જાળમાં જળ બિલાડી ફસાઈ હતી, જેના વેચાણ માટે તેણે વાંસદા, તાળપદાના અશોક વીનું બારીયાનો સમ્પર્ક કરી રૂ.3 લાખમાં સોદો કર્યો હતો, જે બાદ અશોકે પણ અન્ય સાથે બિલાડીનો ઉંચા ભાવે સોદો કર્યો હતો. દરમિયાન આ ઈસમો જળ બિલાડીનો કબજો લેવા 2 જુન 2020 ના રોજ ઓઝરડા આવવાની માહિતી મળતા જ વન વિભાગે ડમી ગ્રાહક સાથે વોચ ગોઠવી પાંચેય શખ્સોની ધરપકડ કરી આર.એફ.ઓ અભિજીતસિંહે કપરાડા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 જૂન સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

દુર્લભ જળ બિલાડી માટે વિધી કરી પૈસા વરસશે તેવી લાલચ આપી લોકોને છેતરતા હતા
આ અંગે આર.એફ.ઓ અભિજીતસિંહે જણાવ્યું કે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની શિડયુલ 2, પાર્ટ 2નું સુરક્ષિત સસ્તન પ્રાણી જળ બિલાડી વેચવાનું આંતર રાજ્ય કૌભાંડ ઓઝરડાથી ઝડપ્યું હતું. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા ઈસમો તાંત્રિક વિધિ કરી પૈસા પાડવા જળ બિલાડી ખરીદી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્રકારનું કામ કરતા તત્વો ગરજવાન વ્યક્તિને નિશાન બનાવે છે. જેમાં એક આખી મોડેસ ઓપરેન્ડી મુજબ કામગીરી કરાઇ છે. પ્રથમ ગરજવાન વ્યક્તિનો સંપર્ક કરી જળ બિલાડી વડે મોટા પ્રમાણમાં પેસા પડશે તેવી લાલચ આપવામાં આવે છે. આ ખેલમાં અત્યંત દુર્લભ જળ બિલાડી તેમની પાસે છે તેમ જણાવી તેના વડે મોટી વિધી કરવામાં આવે તો આકાશમાંથી મોટા પ્રમાણમાં પૈસા પડશે. તેવી લાલચ આપવામાં આવે છે અને વિધી માટે મોટી રકમ પણ પડાવવામાં આવે છે. જોકે આ બધું ભ્રામક જ હોઈ છે. પરતું લાલચુ લોકો આ પ્રકારના લોકોની વાતોમાં આવી જઇ મોટી રકમ ગુમાવે છે.

Most Popular

To Top