Gujarat

જામનગરથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના યુગનો પ્રારંભ : મોદી

ગાંધીનગર: વડાપ્રધાન (PM) મોદીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગરના ગોરધનપર ખાતે મંગળવારે (Tueday) બપોરે ભૂમિપૂજન કર્યું હતું. આ સમારંભમાં WHOના વડા ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ તથા મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. તે દુનિયાને વૈકલ્પિક મેડિકલ સોલ્યુશન આપવામાં મદદરૂપ થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટેની છે. આવનારા 25 વર્ષમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્વની બની જશે.

વડાપ્રધાને આ તકે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સફળ ક્રિયાન્વયન માટે પાંચ લક્ષ્યો આપ્યાં હતાં, જે અંતર્ગત પ્રથમ લક્ષ્ય જણાવતા તેમણે કહ્યું કે, વિશ્વભરની ટ્રેડિશનલ મેડિસિન વિદ્યાઓનું ટેક્નોલોજીથી સંકલન કરી, એક વૈશ્વિક ડેટાબેઝ-રિપોઝેટરી બનાવવામાં આવે, જે આવનારી પેઢીને મદદરૂપ થાય. બીજા લક્ષ્ય વિશે તેમણે કહ્યું હતું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓની સ્વીકૃતિ વધારી શકાય તે માટે ટ્રેડિશનલ મેડિસિનના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઘડવા આવશ્યક છે. તેમણે ત્રીજા લક્ષ્ય અંગે કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના તજજ્ઞો, નિષ્ણાતો માટે જી.સી.ટી.એમ. એક વૈશ્વિક મંચ બની રહે અને તે માટે વાર્ષિક સમારોહ-સંમેલન યોજાય તે જરૂરી છે.
વડાપ્રધાને ચોથું લક્ષ્ય જણાવતા કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડી રોકાણ લાવવું અને તે માટે ફંડ મોબિલાઈઝેશન પણ અતિ આવશ્યક છે. આ ગ્લોબલ સેન્ટરે તે માટે કાર્યરત થવું પડશે.
તેમણે પાંચમાં લક્ષ્ય અંગે કહ્યું હતું કે, માનવસમુદાયને મોર્ડન પ્લસ ટ્રેડિશનલ એમ બન્ને ચિકિત્સા પદ્ધતિઓ ધરાવતા હોલિસ્ટિક હેલ્થ એપ્રોચનો લાભ મળી રહે તે હેતુથી ટ્રેડિશનલ મેડિસિનથી ટ્રિટમેન્ટના પ્રોટોકોલ નક્કી કરવામાં આ કેન્દ્રએ ચાવીરૂપ ભૂમિકા અદા કરવી પડશે.

મોદીએ આ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે, આજથી પાંચ દશક પહેલાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી. કોરોનાકાળમાં હેલ્થકેર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ છે, ત્યારે જામનગર ખાતેનું આ ગ્લોબલ સેન્ટર વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જીવનપ્રણાલી આયુર્વેદના માધ્યમથી સંતુલિત આહાર, શરીર-મનનું સંતુલન, તેમજ યોગ-પ્રાણાયામયુક્ત દિનચર્યાને પ્રાધાન્ય આપે છે. સો વર્ષના આયુષ્યની કામના આપણે ત્યાં સહજ છે. ભારતનું આ જ્ઞાન અહીં પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે.
વડાપ્રધાન મોદીએ WHOના વડા ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ડો. ટેડરોસે તેમના માનસ સંતાન સમાન આ ગ્લોબલ સેન્ટરને હવે ભારતને સોંપ્યું છે. વડાપ્રધાને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથનો પણ જી.સી.ટી.એમ.ની સફળતા માટે શુભકામનાઓ પાઠવવા બદલ આભાર માન્યો હતો.

Most Popular

To Top