Charchapatra

ભાજપની નામોશી

શિસ્ત અને સંસ્કૃતિ માનવીમાં ઉત્તમ ગુણોમાંના છે. તેજ રીતે માનવીના સમુહ માટે પણ આ બે ગુણો જણાવ્યામાં આવ્યા છે. ભારત આઝાદ ન્હોતું ત્યારે કોંગ્રેસ સિવાય બે સંસ્થાઓનો ઉદ્દગમ થયો. એક જનસંઘ અને બીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ ત્રણે સંસ્થાઓમાં શિસ્ત અને સંસ્કૃતિનો ખૂબ આગ્રહ રખાતો હતો. ત્યારે કોંગ્રેસ સિવાયની બે સંસ્થાઓ રાજકારણમાં જોડાઇ ન્હોતી. ગાંધીજી હતા ત્યાં સુધી આઝાદી પછી કોંગ્રેસમાં શિસ્ત અને સંસ્કૃતિ જળવાય રહ્યા હતા. ગાંધીજીના મૃત્યુ પછી કોંગ્રેસમાં આ બે વસ્તુઓનો હાસ થવા માંડ્યો.

એટલે પ્રજાનાં મોટાભાગનાં લોકોનો જનસંઘને રાજકારણમાં આવવાની સલાહ આપી અને આગ્રહ પણ રાખ્યો કારણ કોંગ્રેસમાંથી આ બંને વસ્તુઓની બાદબાકી થવા માંડી હતી. એટલે જનસંઘે નામ બદલી ભાજપ નામ રાખી રાજકારણમાં ઝંપલાવ્યું. ઘણાં વર્ષો સુધી ભાજપમાં શિસ્ત અને સંસ્કૃતિ જળવાય રહ્યા પરંતુ હાલનાં થોડાં વર્ષોથી ભાજપમાં પણ આ બંને વસ્તુઓની ઓછપ વર્તવા માંડી. કારણ ભાજપ રાજકારણી પક્ષ બન્યો એટલે એને પ્રજાનાં મતોની જરૂર પડવા માંડી. એટલે ગામેગામથી મતો માટે લેભાગુ વ્યક્તિઓને પણ લેવી પડી.

એટલે ભાજપમાંથી શિસ્ત અને સંસ્કૃતિ પીછેહઠ કરવા માંડી. પક્ષપ્લટાનો સાથ ભાજપને લેવો પડ્યો. એને પરિણામે આજે ભાજપ ભારતમાં સત્તા પર છે. પરંતુ દુ:ખની વાત એ છે કે આજે ભાજપ પક્ષપલટુઓને સાથ આપી રહ્યું છે. ગમેતેવી વ્યક્તિઓ જેને રાજકારણનાં એકડાની પણ ખબર નથી તેવી ભાજપમાં ઘુસવામાંડી તાજેતરનાં નામોશી અપાવે એવા દાખલામાં ભાજપ છોડી જનારા જિતેન્દ્રસિંહ વાંસિયાને દૂરથી ભાજપમાં લેવા પડ્યાં.

પ્રદેશપ્રમુખ અને સંગઠનનાં વડા સી.આર. પાટીલ અને સુરત જિલ્લા ભાજપનાં અધ્યક્ષથી સંદિપ દેસાઇની ના છતાં નવા બનેલા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ વગેરે એ વાંસિયાને ફરીથી ભાજપમાં આવવાની રજા આપી. કહેવાય છે કે ભવિષ્યમાં કોઇ મોટી જવાબદારીઓ પણ વાંસિયાને એનાયત થાય! એક વાતનું દુ:ખ છે અને તે ભાજપનાં પક્ષ પ્રમુખ અને વડાપ્રધાન પણ આ બાબતમાં મૌન છે. ખરેખર શિસ્ત અને સંસ્કૃતિ જાળવવા ભાજપનાં પક્ષપ્રમુખે આ શિસ્ત વગરનાં આખા ટોળાને ભાજપમાંથી ખડેદવા જોઇએ.

જો એવું ન થાય તો ભાજપની મોટામાં મોટી નામોશી લેખાશે. 2024માં આવનારી સંસદની ચૂંટણીની ચિંતા પક્ષપ્રમુખે રાખવાની જરૂર નથી. પ્રજા ભાજપને સરકારમાં લાવવાની છે એની ખામી છે. કારણ બીજા પક્ષોનું ગઠબંધન કદી થવાનું નથી કારણ બીજા પક્ષોમાં તો શિસ્ત અને સંસ્કાર ઝીરો છે. ભાજપ પક્ષે અને સરકારે શિસ્ત અને સંસ્કાર જળવાઈ રહે તેની પ્રથમ તકેદારી રાખવી જોઇએ એવો શિક્ષિત વર્ગનો આગ્રહ છે.
પોંડીચેરી – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top