Comments

રાહુલ ગાંધી છૂટથી પદયાત્રા કરે તેની ભાજપને ખૂબ જરૂર છે

રાહુલ ગાંધીની સુવિધાપૂર્ણ, વાતાનુકૂલિત, આરામદેહ અને સ્વાસ્થ્યવર્ધક પદયાત્રા આસામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે ગૌહાટી શહેરના મુખ્ય માર્ગો પરથી યાત્રા કાઢવી. મુખ્યમંત્રીએ અગાઉથી ચેતવણી આપી હતી કે એ માર્ગો પર મહત્ત્વની ઓફિસો અને રોજગાર ધંધાઓ હોવાથી તેને બાધા પહોંચાડવા દેવાશે નહીં. રાહુલ ગાંધીને વૈકલ્પિક માર્ગો પરથી યાત્રા કાઢવાની છૂટ અપાઇ હતી. શર્માએ અગાઉથી એ પણ જાહેર કર્યું હતું કે જો રાહુલ ગાંધી નિયમનો ભંગ કરી પદયાત્રા કાઢશે તો હાલમાં એફઆઇઆર નોંધી લેવામાં આવશે અને લોકસભાની ચૂંટણી પૂરી થશે ત્યાર બાદ રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવશે.

ખેર! વારંવાર અમે કોઇથી ડરતા નથી એવું વિધાન રાહુલ ગાંધી પ્યારની  દુકાનમાંથી વારંવાર બ્રોડકાસ્ટ કરતા રહે છે. અમે કોઇથી ડરતા નથી તે પણ એક ધમકી જ છે અને ધમકી નહીં તો હુંકાર જરૂર છે. જો કે રાહુલ ગાંધી હાલમાં પોતે શું છે? પ્રથમ પદયાત્રા અગાઉ હતા તે અવતારમાં છે કે નવા જન્મના નવા અવતારમાં છે? એ તો કહે છે કે, ‘એ રાહુલ તો મરી ગયો! તમે જે જોઇ રહ્યા છો તે આ રાહુલ નથી.’ આ લખનારને લાગે છે કે જૂના અને નવા બન્નેની સેળભેળ થઇ ગઇ છે. જો કોઇથી ડરતા ન હોય તો અમેઠીની વારસાગત બેઠક છોડીને સર્વસલામત વાયનાડના કિલ્લામાં શા માટે જતા રહ્યા?

ડરીને જ એ ગૌહાટીના મુખ્ય બજારમાંથી ના નીકળ્યા પણ એમના પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુનનો વારસદાર પુત્ર પ્રિયાંક ખડગે ટ્‌વીટર પર સળી કરી બાઠો, જેનો જવાબ હેમંત શર્માએ ટ્‌વીટર પર આપ્યો તે માત્ર પ્રિયાંકને જ નહીં પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી તમામને ભારે પડી ગયો. પ્રિયાંક ખડગેએ ટ્‌વીટર પર હેમંત શર્માને સવાલ કર્યો કે રાહુલની ધરપકડ અત્યારે શા માટે નથી કરવા માગતા? લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી શા માટે ધરપકડ કરવી નથી? તમને શેનો ડર છે?’ પ્રિયાન્કના ટવીટર મેસેજનો અર્થ કંઇક આવો હતો. તે સામે હેમંત શર્માએ જે જવાબ આપ્યો તે સણસણતો હતો. જેને શરમ હોય તેને બરાબર વાગી જાય. ન હોય તો સવાલ જ નથી. શર્માએ લખ્યું કે ‘લોકસભાની ચૂંટણી અગાઉ રાહુલની અમારે જરૂર છે. એ ચૂંટણી પ્રચાર કરે તે જરૂરી છે.’ શર્માના મેસેજનો કંઇક આવો ભાવાર્થ હતો.

રાહુલ ગાંધી જેટલો સમય પ્રચાર કરશે એટલો ભાજપને જ ફાયદો છે તેવી શર્માની માન્યતા છે.  મમતા બેનરજી વારંવાર કહેતાં હોય છે કે રાહુલ ગાંધી ભાજપના સ્ટાર પ્રચારક છે. એક પંદરથી વીસ મિનિટનું પ્રવાહમય ભાષણ કરતાં તેમને આવડતું નથી. એક ભાષણમાં એક આંકડાઓ અને હકીકતો ઉચ્ચારે તેનો બીજા ભાષણ સાથે અને બીજાનો ત્રીજા ભાષણ સાથે કોઇ મેળ હોતો નથી. બીજા સામાન્ય નેતાઓ પણ વાકયો અસ્ખલિત બોલે. રાહુલને એક વાકયમાં દસ શબ્દો હોય તો પાંચ વખત વિરામ લેવો પડે. જે વાતો કરે તે પણ ક્ષુલ્લક હોય, ઉદાહરણો સૂરસૂરિયાં થઇ જાય. કોઇ ગહન વિષય તો વિસ્તારપૂર્વક સમજાવવાની વાત જ કયાં રહી?

ઉલટાના બે ચાર છબરડા વાળે અને કોંગ્રેસના વધુ મતો ખરી પડે! હમણાં આસામનો તથાકથિત ભારત જોડો ન્યાયયાત્રા વખતે એ બોલ્યા કે તમે સ્ટોવમાં કોલસા નાખો એ પૈસા હેમંત શર્માના ખિસ્સામાં જાય!  જોકે તેઓ સતત લોકોની વચ્ચે રહે તો ખબર પડે કે આજે કોઇ કોલસા વાપરતા નથી. જે પ્રજા વચ્ચે રહેતા નથી, હિન્દુત્વ અને હિંદુ સંસ્કૃતિથી બિલકુલ જ્ઞાત નથી. તેઓને શી ખબર કે શ્રી રામ તેર વરસ વનમાં રહ્યા હતા કે ચૌદ વરસ. બાકી હિન્દુ સંસ્કૃતિ વચ્ચે મોટા થયેલા તમામ ધર્મોના તમામ ત્રણ કે ચાર ચોપડી ભણેલાં બાળકો જાણતાં હોય છે. અજાણ લોકો પણ જાણતાં હોય છે કે રામ ચૌદ વરસ વનમાં રહ્યા હતા.

રાહુલ જે રાજયમાં જાય ત્યાંનો મુખ્ય પ્રધાન વિપક્ષનો હોય તો તે સૌથી ભ્રષ્ટ હોય. આસામના પ્રવાસમાં જ એ બોલ્યા કે આજકાલ તમામ લોકો મોબાઇલમાં જ વ્યસ્ત હોય છે. રાહુલનું કહેવું હતું કે આ ભાજપની સાજીશ છે કે જેથી લોકો બીજી કોઇ તકલીફો બાબત સરકારને સવાલ ન કરે. આ રાહુલ પોતે જ ચાલતી સંસદમાં મોબાઇલ જોવામાં લાંબો સમય ખૂબ વ્યસ્ત રહ્યા હતા. જયારે સંસદમાં વડા પ્રધાન અને અન્ય નેતાઓ મહત્ત્વની રજૂઆતો કરી રહ્યા હતા. એમની માતા સોનિયા બાજુમાં બેઠાં હતાં અને રાહુલને બે ત્રણ વખત કોશિશ કરી જોઇ, પણ તેમને મોબાઇલમાં જ રસ હતો.

તેઓ ભારતને કેવી રીતે અને શું કામ જોડવા માગે છે?  બલ્કે 370 કલમ દૂર થવાથી વધુ મજબૂત રીતે જોડાયો છે. રહી વાત મોબાઇલના વ્યસનની. તો એ ફિનોમિના આખી દુનિયામાં ફેલાયેલી છે એ રાહુલે પોતાના માતાને પૂછી લેવું જોઇએ. મોબાઇલ ફોન તો અજ્ઞાન રાખવાને બદલે માહિતગાર બનાવે છે. તેમાં સરકારની આલોચનાઓ પણ ખૂબ જોવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા યુટયુબરો આ કામ ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે જેમાં તેઓ નરેન્દ્ર મોદીના આકસ્મિક મૃત્યુની ખોટી ખબરો પણ ફેલાવતાં રહે છે.

હા, એક વાત છે. યુ ટયુબ પર જે શોર્ટ કલીપ્સ વહેતી થાય છે તેમાં રાહુલનાં વિધાનો અને વકતવ્યો આધારે ખૂબ રમૂજ ફેલાવવામાં આવે છે. કદાચ રાહુલને અને પ્રિયંકાને મોબાઇલ ફોન લોકો જુએ છે તેથી ગુસ્સો આવતો હશે. સ્માર્ટ ફોન તો લોકોને વધુ સ્માર્ટ અને સમજદાર બનાવે છે. તેમાં માત્ર દુર્ગુણો જ નથી ભર્યા, માણસ શીખે તો તે એક સારો શિક્ષક છે અને રાહુલે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે શું કેન્દ્ર સરકાર દેશમાં સત્તા પર આવશે તો સેલ ફોન વાપરવા કે જોવા પર પ્રતિબંધ મૂકશે?

જો રાહુલ વધુ બોલવાનું બંધ કરે, મહોબ્બતની દુકાનમાંથી રાજકારણની સરવાણી ન રેલાવે તો સેલફોન એમનું કશું બગાડી શકવાનો નથી. રાહુલ અને સોનિયાની ઇચ્છા હશે કે એ બહાને રાહુલનું આરોગ્ય સુધરશે, મિડિયામાં ભાવ પૂછાશે. સત્તાની ભૂખ પેટની ભૂખ કરતાં પણ ભૂંડી હોય છે. રાહુલને પદયાત્રામાં પાગલ ગણાય તો ભલે ગણાય પણ પાગલ થવાના ભોગે પબ્લિસિટી જોઇએ છે.

તેમાંય બાવીસ તારીખે દેશ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં રોકાયો હતો. બરાબર એ જ સમયે આસામના મારીગાવ જિલ્લાના હૈબરગાવ ખાતેના શંકર દેવના મંદિરમાં લોકો ટી.વી. સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોઇ રહ્યા હતા. રાહુલનો કાફલો તેમાં ઘૂસે તો અવ્યવસ્થા સર્જાઇ જાય. એ એમના પદયાત્રાના કાર્યક્રમમાં અગાઉથી જણાવ્યું પણ ન હતું. એમને રોકવામાં આવ્યા. બસ આ જ તો જોઇતું હતું. કાગારોળ મચાવી દીધી કે મંદિરમાં પ્રવેશવા ન દીધો. પદયાત્રા દરમિયાન આસામનું પ્રસિદ્ધ કામાખ્યા દેવીનું મંદિર બાજુમાંથી પસાર કરી દીધું. આસામના અન્ય મહત્ત્વનાં મંદિરોની બાજુએથી નીકળી ગયા.

આસામના સ્થાનિક લોકનાયકોની સમાધિઓ સુધી પણ ન ગયા અને બરાબર અયોધ્યામાં પ્રાણ- પ્રતિષ્ઠા વિધિ ચાલતી હતી ત્યારે શંકર દેવના મંદિરમાં ઘૂસ્યા. તેઓ એ તકની રાહ જોઈ રહ્યા હતા કે તેઓને રોકવામાં આવે. કોંગ્રેસ વારંવાર કહે છે કે ભાજપ ધર્મની રાજનીતિ કરે છે. તો આસામની પદયાત્રા વખતે જનતા જાણે છે કે ભાજપ કેન્દ્રમાં ન હોત તો શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ન હોત.

ભાજપ તો ખુલ્લેઆમ ધર્મની રાજનીતિ કરે છે, કારણ કે લોકોની, બહુમતી મતદાતાઓની એ જ ઈચ્છા છે પરંતુ કોંગ્રેસના વડા પ્રધાનો, નેતાઓ દર વરસે ઈફતાર પાર્ટીઓ યોજતા હતા તેનું શું? કોંગ્રેસના જવાહરલાલથી માંડીને સોનિયાએ હિન્દુ-વિરોધી વલણ અપનાવ્યું અને પ્રાણ-પ્રતિષ્ઠા વિધિમાં હાજર ન રહ્યાં તે પણ રાજકારણમાં ધર્મની અને ધર્મમાં રાજકારણની ભેળસેળ કરવા બરાબર છે. દેશમાં ધ્રુવીકરણનો મજબૂત પાયો તો કોંગ્રેસે નાખ્યો છે. રાહુલ ગાંધી બસમાં બેસીને બાળકની માફક પપ્પીઓ ઉપર પપ્પીઓ રિલે કરતા રહે  તેનાથી શું એ ખાઈ પુરાવાની છે?

તેજસ્વી યાદવ અને કોંગ્રેસના વક્તાઓ ક્યારનાય બોલી રહ્યા છે કે શું કોઈ બિમાર પડશે તો અયોધ્યાના રામ મંદિર પર લઈ જવાશે? આટલો ખર્ચ કરવાને બદલે હોસ્પિટલ શરૂ કરવી જોઈએ. એ તેજસ્વીને પૂછવાનું કે એના પિતાએ બે ચાર હજાર કરોડના ગોટાળા કર્યા, રાહુલના પિતા રાજીવ ગાંધી પર જે રીતે આક્ષેપો થયા હતા કે બોફોર્સના કરોડો ખાધા ન હોત તો અનેક મસમોટી કેન્સર હોસ્પિટલો ખોલી શકાઈ હોત.

ત્યાં સુધી કે રાહુલ ગાંધી માત્ર એક વરસ ઘરે બેસે અને કંઈ ખર્ચ ન કરે  તો  તે બચતમાંથી એક જિલ્લા કક્ષાની હોસ્પિટલ શરૂ કરી શકાય. ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ એક નેશનલ હેરાલ્ડ અખબારી રાષ્ટ્રીય સંપત્તિને ગાંધી પરિવાર હડપ કરી ગયું છે અને હાલમાં જામીન પર છે. પ્રિયંકા વાડરાએ હિમાલય પ્રદેશમાં મસમોટો મહેલ બધાવ્યો છે તે રકમમાંથી પણ અમેઠીમાં કે રાયબરેલીમાં એક હોસ્પિટલ બાંધી શકયા હોત અને દુનિયામાં હોસ્પિટલો બાંધવાનું કામ જ એકમાત્ર કામ છે શું? એમ હોત તો અમેરિકા અને યુરોપમાં માત્ર હોસ્પિટલો અને હોસ્પિટલો જ હોત. બીજું કંઈ ન હોત. માનસિક રોગીઓ માટે મંદિરો પણ સારું કામ કરે છે.

ત્યાં જાય તે લોકોનું લોહીનું દબાણ પણ હળવું થાય ને વાત વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય છે. પણ જેઓ ગાયોનો ચારો ચરી જાય છે તે ગાયોને ભૂખે તડપાવીને મારી નાખે છે. તેજસ્વીને એના બોલવાનો બદલો આજકાલમાં મળી જશે. શ્રી રામની દેશ પર અસર જોઈને વેધરકોક મુખ્ય મંત્રી નીતીશ કુમાર પણ હવે છલાંગ મારીને એનડીએની છાવણીમાં આવી રહ્યા છે. તેજસ્વીનો મોટો ભાઈ તેજ પ્રતાપને તો મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ક્યારનીય ઊભી થઈ છે. તેજસ્વીનું શું થશે?.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top