Dakshin Gujarat

ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે આવેલું એક એવું મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ છે!

ભરૂચ: આજે અધિક શ્રાવણ મહિનાનો (Shravan Month) સોમવાર જેને હિંદુ પરંપરામાં (Hindu Religion) ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ‘નર્મદા નદીના કાંઠે જેટલા કંકર એટલા શંકર’ એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. નર્મદા (Narmada River) તટ પર આવેલા ગામોમાં પ્રસિદ્ધ અને ભાવભક્તિપૂર્વકના શિવમંદિરો (Lord Shiva’s Temple) આવેલા છે. અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે. નર્મદા પુરાણમાં તરણેશ્વર તરીકે જોડાયેલું એ આજના તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ ર્ક્યુ હોવાનું કહેવાય છે. શાસ્ત્રોમાં કપિલમુનિને સાક્ષાત શિવ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે.

એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા. જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ તેઓએ તવરા ગામે પહોંચીને તપ કર્યું હતું. જેને લઈને સાક્ષાત શિવ સ્વરૂપે દર્શાવીને તેઓના નામે કપિલેશ્વર મહાદેવ સહિત સપ્ત શિવલિંગની સ્થાપન કર્યું હતું. જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે. અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતાં હોવાથી ચિંતનાથ મહાદેવના નામે પણ ઓળખાય છે.

રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ, બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું. બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે, હવે આ મંદિર કડોદ ગામની સીમામાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે અહીં ચઢાઇ કરી હતી. ઔરંગઝેબના સૈન્યએ મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું પછી તેવો સૈન્ય લઈને અંગારેશ્વર ગામે ગયા હતા.

આ તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે અને મંદિરના દર્શન કરી ચિંતામુક્ત થાય છે. સર્વ વૃક્ષોમાં પીપળાનું ઝાડ, દેવ ઋષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધમાં કપિલ મુનિ શ્રાવણ માસના સોમવારે વહેલી સવારે ભક્તોની ભીડ જામે છે.

Most Popular

To Top