World

કેનેડાથી ખરાબ સમાચાર આવ્યા, પ્લેન ક્રેશમાં 2 ભારતીય ટ્રેઇની પાઇલોટના મોત!

નવી દિલ્હી(NewDelhi) : ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે ચાલતા રાજકીય તણાવ વચ્ચે આજે શનિવારે કેનેડાથી એક ખરાબ સમાચાર આવ્યા છે. કેનેડામાં એક પ્લેન ક્રેશ (Plane Crash) થયું છે, જેમાં ભારતના બે ટ્રેઇની પાઇલટ (Trainee Pilot) સહિત ત્રણ લોકોના મોત (Death) થયા છે. બંને ટ્રેઈની પાઈલટ મુંબઈના (Mumbai) રહેવાસી હતા. એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતનું (Accident) કારણની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, કેનેડામાં જે પ્લેન ક્રેશ થયું છે તેમાં ભારતના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. બંને ટ્રેઈની પાઈલટ મુંબઈના રહેવાસી હતા. તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે હતા. આ દુર્ઘટના વેનકુવરથી લગભગ 100 કિલોમીટર દૂર પૂર્વ વિસ્તારમાં બની હતી. ત્યાં નાનું વિમાન ચિલીવેક, બીસીમાં એરપોર્ટ નજીક મોટેલની પાછળ ક્રેશ થયું હતું, જેમાં બે તાલીમાર્થી પાઇલોટ અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. RCMPનું કહેવું છે કે અકસ્માત બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માત કેવી રીતે થયો? અકસ્માતનો ભોગ બનનાર ટ્વીન એન્જિન લાઇટ એરક્રાફ્ટ પાઇપર PA-34 સેનેકા છે. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે તે ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલી રહ્યું છે. ટૂંક સમયમાં ઘટનાનું કારણ જાણવા મળશે.

કેનેડાના અધિકારીઓનું કહેવું છે કે પાંચ એમ્બ્યુલન્સ અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં કોઈને ઈજા કે જોખમ હોવાના અહેવાલ નથી. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, બાદમાં પરત બોલાવવામાં આવ્યા હતા

Most Popular

To Top