National

આકાશ-NGનું ટેસ્ટિંગ સફળ: આ નેક્સ્ટ જનરેશન મિસાઈલ 3087 કિ.મી.ની સ્પીડે દુશ્મન પર હુમલો કરી શકે છે

નવી દિલ્હી: ઈન્ડિયન ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ નેક્સ્ટ જનરેશન આકાશ મિસાઈલ (Akash-NG) નું ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) થી સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. આ મિસાઈલે નીચી ઉંચાઈ પર વધુ ઝડપે ઉડતી વખતે ચોકસાઈપૂર્વક પોતાના ટાર્ગેટને સિદ્ધ કર્યું હતું. ડીઆરડીઓએ તેનો વીડિયો પણ જાહેર કર્યો છે.

આ નેક્સ્ટ જનરેશન મિસાઈલને શુક્રવારે તા. 12 જાન્યુઆરીની સવારે 10:30 વાગ્યે ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી લોન્ચ કરવામાં આવી હતી. આ પરીક્ષણ ખૂબ જ ઓછી ઉંચાઈ પર હાઈ-સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્ય સામે કરવામાં આવ્યું હતું. લગભગ 80 કિમીની રેન્જ ધરાવતી આકાશ-NG મિસાઇલે ટાર્ગેટને સફળતાપૂર્વક અટકાવી નષ્ટ કરી દીધું હતું. આ સફળ પરીક્ષણે મિસાઈલના યુઝર ટ્રાયલનો માર્ગ મોકળો કર્યો છે. આકાશ-એનજી સિસ્ટમ એ એક અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ છે જે હાઈ-સ્પીડ અને ચપળ હવાઈ જોખમોને અટકાવવામાં સક્ષમ છે.

આકાશ-NG જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. તેમાં ડ્યુઅલ પલ્સ સોલિડ રોકેટ મોટર છે, જે તેની ઝડપ વધારે છે. તેની રેન્જ 40 થી 80 કિમી છે. આ ઉપરાંત તે એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે મલ્ટી ફંક્શન રડારથી સજ્જ છે જે એકસાથે અનેક દુશ્મન મિસાઈલો અથવા એરક્રાફ્ટને સ્કેન કરી શકે છે.

આકાશ-NG મિસાઈલ મોબાઈલ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવામાં આવી છે. તેનું કુલ વજન 720 કિલો છે. તેની લંબાઈ 19 ફૂટ અને વ્યાસ 1.16 ફૂટ છે. તે પોતાની સાથે 60 કિલો વજનના હથિયારો લઈ જઈ શકે છે. તે 20 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચીને દુશ્મનના વિમાનો અથવા મિસાઈલોને નષ્ટ કરી શકે છે.

આ યુવા પેઢીની ગણાતી મિસાઈલની સૌથી ખતરનાક બાબત તેની ઝડપ છે. તે એટલી સ્પીડમાં પોતાના ટાર્ગેટ તરફ દોડે છે કે દુશ્મનને બચવાની તક મળતી નથી. તે 3087 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન તરફ આગળ વધે છે. એટલે કે તે એક સેકન્ડમાં લગભગ એક કિલોમીટરનું અંતર કાપે છે. આ મિસાઈલના જૂના પ્રકાર 2009થી ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે.

આકાશ-NG મિસાઇલને T-72 અથવા BMP ચેસીસ અથવા ટાટા મોટર્સની હેવી મોબિલિટી ટ્રક પર બનેલી મોબાઇલ લોન્ચ સિસ્ટમથી ફાયર કરી શકાય છે. આ મિસાઈલની મોબાઈલ લોન્ચ સિસ્ટમ માટેના વાહનો ટાટા મોટર્સ અને BEML-Tatra કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે.

જણાવી દઈએ કે, ગયા વર્ષે ચીન સાથે સરહદ વિવાદ દરમિયાન આકાશ-NG મિસાઇલના જૂના વર્ઝનને લદ્દાખમાં સરહદ (LAC) પર પણ તૈનાત કરવામાં આવ્યું હતું. આ સિવાય ભારતીય વાયુસેનાએ ગ્વાલિયર, જલપાઈગુડી, તેજપુર, જોરહાટ અને પુણે બેઝ પર પણ આકાશ મિસાઈલો તૈનાત કરી છે.

Most Popular

To Top