Business

મોંઘી ટિકીટ, એરપોર્ટ પર સુવિધાનાં અભાવે ફ્લાઈટ સંખ્યા ઘટતાં પેસેન્જર પણ ઘટ્યા

સુરત: સુરત એરપોર્ટ (Airport) પર એરલાઈન્સ (Airlines) કંપનીઓને પૂરતી સુવિધાઓ નહીં મળતાં અગ્રણી એરલાઈન્સ કંપનીઓ ફ્લાઈટ (Flight) સંખ્યા ઘટાડી રહી છે.જેની અસર સુરત એરપોર્ટના પેસેન્જર ગ્રોથમાં જોવા મળી રહી છે.2019 માં જ્યાં મહિને સર્વાધિક 1.50 લાખથી વધી પેસેન્જર નોંધાયા હતાં. એની સરખામણીએ 2022 માં પેસેન્જર સંખ્યા ઓછી થઈ રહી છે. વિન્ટર શિડ્યુલમાં માત્ર 12 ફ્લાઈટ થઈ જતાં સપ્ટેમ્બર મહિનામાં પેસેન્જર સંખ્યા ઘટીને 93,961 થઈ ગઈ છે.સપ્ટેમ્બર મહિનામાં સુરકટ એરપોર્ટથી 91,808 ડોમેસ્ટિક અને 2153 ઇન્ટરનેશનલ પેસેન્જરની અવર જવર રહી હતી.

2019 માં 26 ફ્લાઈટ સુરત એરપોર્ટથી કાર્યરત હતી
જોકે જુલાઈ-2022માં સુરત એરપોર્ટથી 101507 પેસેન્જર નોંધાયા હતા.આ સંખ્યા ઓગસ્ટમાં થોડી ઘટી 100 243 થઈ હતી. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022 સુધી સુરત એરપોર્ટથી કુલ 9,35,525 પેસેન્જરોની અવર જવર રહી હતી.માર્ચ 2022 થી સુરત એરપોર્ટ પર પેસેન્જર સંખ્યા સતત એક લાખથી વધુ રહેતી આવી છે.જોકે 2019 માં 26 ફ્લાઈટ સુરત એરપોર્ટથી કાર્યરત હતી.ત્યારે પ્રતિ માસ પેસેન્જર સંખ્યા 1.5 લાખ પર પહોંચી હતી.

સુરત એરપોર્ટથી સપ્ટેમ્બરમાં ડોમેસ્ટિક કાર્ગો મુવમેન્ટ વધી
જુલાઈ 2022ની તુલના એ સુરત એરપોર્ટથી કાર્ગો મુવમેન્ટ થોડી વધી છે.ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલમાં જુલાઈમાં જ્યાં 386 ટન કાર્ગોની અવર જવર રહી હતી.જે ઓગસ્ટમાં વધીને 474 ટન,અને સપ્ટેમ્બરમાં 497 મેટ્રિક ટન નોંધાઇ છે.વર્ષના પ્રારંભમાં જાન્યુઆરીમાં 324 ટન, ફેબ્રુઆરી-378,માર્ચ-655,એપ્રિલ-530,મે-483,જુન-467,જુલાઈ-386,ઓગસ્ટ-474,સપ્ટેમ્બરમાં 497 મેટ્રિક ટન ડોમેસ્ટિક કાર્ગોની હેરફેર રહી હતી.અપૂરતી સુવિધાને લઈ એરલાઈન્સ સુરતથી ફ્લાઈટ સંખ્યા ઓછી કરી રહી છે. ગો એર કંપનીએ પણ જાહેર કરેલી ફ્લાઈટ સ્થગિત કરી હતી.સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાએ પણ ફ્લાઈટ ઘટાડી દીધી છે. વિમાન પાર્કિંગ,ટીકીટ કાઉન્ટર,સ્લોટના પ્રશ્નો,ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ,ટેકસી વે,એપ્રન સહિતના વિકાસના કામોમાં વિલંબ સહિતના પ્રશ્નોને લીધે એરલાઈન્સ એમની સેવાઓ સંકેલી રહી છે.એર ઇન્ડિયા એ દિલ્હી-સુરતની સવારની અને સ્પાઈસ જેટ એરલાઈન્સે સુરત-મુંબઈની ફ્લાઈટ બંધ કરી દીધી છે.એને લીધે સવારે 6 વાગ્યાનો સ્લોટ ખાલી પડ્યો છે.સવારે હવે પ્રથમ ફ્લાઈટ 8 વાગે આવશે.

Most Popular

To Top