Gujarat

ઈસ્કોન બ્રિજ કેસ: જામીન અરજી પર નિર્ણય ટળતાં તથ્ય પટેલે દિવાળી કોર્ટમાં ગાળવી પડશે

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં (Iskcon Bridge Accident Case) આરોપી તથ્ય પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કરવામાં આવેલી જામીન અરજીની સુનવણીમાં આજે નિર્ણય લેવાયો ન હતો. આ કેસમાં આગામી 1 ડિસેમ્બરના રોજ વધુ સુનવણી હાથ ધરાશે. જેને કારણે તથ્ય પટેલને દિવાળી (Diwali) જેલમાં (Jail) જ કરવાનો વારો આવ્યો છે.

  • આરોપી તથ્ય પટેલની નિયમિત જામીન અરજીની સુનાવણી 1લી ડિસેમ્બરે હાથ ધરવા હાઈકોર્ટનો નિર્ણય

આરોપી તથ્ય પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી. તથ્ય પટેલના એડવોકેટ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગયા બાદ યોગ્ય શરતો પર જામીનમુક્ત કરવામાં આવે. જો કે આ અરજી સંદર્ભે આજે કોઈ નિર્ણય લઈ શકાયો નહોતો અને આ મામલે આગામી 1 ડિસેમ્બરના રોજ વધુ સુનવણી હાથ ધરાશે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે 20મી જુલાઈને મોડી રાત્રે શહેરના એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ ઉપર એક અકસ્માતથી લોકોનું ટોળું ભેગું થયું હતું. તેવામાં ઈસ્કોન બ્રિજ પર પૂરઝડપે પોતાની જગુઆર કાર લઈ આવી રહેલા કારચાલક તથ્ય પટેલે ટોળા ઉપર કાર ચઢાવી દીધી હતી. આ અકસ્માતની ઘટનામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ જામીન પર મુક્ત
જો કે અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં હોવાની વિગતો જાણવા મળી છે. પ્રજ્ઞેશ પટેલને કેન્સર હોવાથી સારવાર માટે તેમણે જામીન માટે અરજી કરી હતી. અગાઉ બે વખત જામીન અરજીને કોર્ટે ફગાવી દીધા બાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યાં છે. 

તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો ત્યાર બાદ બ્રિજ પર ઉભેલા લોકો રોષે ભરાયા હતા અને તથ્યને ઘેરી વળ્યા હતા ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ત્યાં પહોંચી ગયા હતા અને તથ્યને છોડાવવા માટે લોકોને ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી. 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલનો જામીન પર છુટકારો થયો છે. હવે તે બહાર રહી તથ્યને છોડાવવા પ્રયાસ કરશે.                                     

Most Popular

To Top