Vadodara

પાદરાના નવાપુરા પાટીયા પાસે વાન-મારૂતિ વચ્ચે અકસ્માત : 3 મોત

વડોદરા/સાવલી : પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડિલના અંતિમ ક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડીયા પરિવારને કારનો અકસ્માત નડતા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવને પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત‌ મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેતા રાબિયાબેન છત્રસિંહ ડોડીયા (ઉં.વ. 50), ભીખીબેન હિંમતસિંહ ડોડીયા (ઉં.વ. ૪૫) સહીત છથી સાત પરિવારના સભ્યો મારુતિ વાનમાં વડુ ખાતે રહેતાં સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમ ક્રિયા માટે ગુરૂવારે વડુ ગામે આવ્યા હતા. અંતિમ ક્રિયાનો પ્રસંગ પતાવી ડોડીયા પરીવારના સદસ્ય મારુતિ વાનમાં પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યા હતા.

દરમિયાન, પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે અજાણ્યા ફોર વ્હીલ ચાલકે મારુતિ વાનને ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. આ બનાવમાં મારૂતિ વાનમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડીયા, ભીખીબેન હિંમતસિંહ ડોડીયા, તથા વાન ચાલાક વિજય સિંહ ડોડીયાને ગંભીર ઇજાઓ થવાથી તેમના મોત નિપજયા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર સ્થાનિક સરકારી દવાખાનામાં આપ્યા બાદ વધુ  સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. એરેરાટીભર્યા અકસ્માતના આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા વડુ પોલીસ દ્વારા અજાણ્યા ફોરવ્હીલર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વડુ અને ટુંડાવ ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.

સાસુ-વહુનો જનાજો એક સાથે નીકળતાં ભારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા

સાવલી તાલુકાના ટુંડાવ ગામના પરિવારને પાદરા જંબુસર રોડ પર નડેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ઈસમોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી સાસુ અને વહુ નો સાથે જનાજો નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું. સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેતા ડોડીયા પરીવારના સંબંધીનું પાદરા તાલુકાના વડુ ગામે મૃત્યુ નિપજતા ત્યાં હાજરી આપી પરત ફરતી વેળાએ મહુવડ ચોકડી નજીક નવાપુરા પાટીયા પાસે મારુતિ વાન અને મારુતિ સીઆઝ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો કારચાલક ના બેફામ કાર ચલાવવા ના કારણે પસાર થતી મારૂતિ વાનમાં ભટકાતાં એક બાળક સહિત પાંચથી વધુ ઈસમોને ઈજા પહોંચી હતી.

જેમાં ઘટનાસ્થળે વાન ચાલક વિજયભાઈ નારસિંહ ડોડીયા ઉં 40રહે ટુંડાવ તાલુકો સાવલી નું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ભીખીબેન હિંમતસિંહ ડોડીયા ઉંમર વર્ષ 80 અને રાબિયાબેન  છત્રસિંહ ડોડીયા ઉ 48 બંને રહે ટુંડાવ તાલુકો સાવલી જીલ્લો વડોદરા ને વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બંનેનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક ત્રણ થયો હતો આમ કાર ના રૂપ માં યમરાજે એકજ પરિવાર ના ત્રણ સભ્યો ને ભરખી લીધા હતાઆજરોજ ટુંડાવ ગામે બંને મૃતક સાસુ વહુ નો જનાજો નીકળશે ભારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર ગામ હિબકે ચડયું હતું એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ નિપજતા વાતાવરણ માં ભારે આક્રંદ છવાયું હતું.

Most Popular

To Top