India

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સક્રિય ભારત

એસ. જયશંકરે કુવૈત અને સિંગાપુરના વિદેશ મંત્રીઓ સાથે કરી મહત્વપૂર્ણ વાતચીત

મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કુવૈત અને સિંગાપુરના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને હાલની પરિસ્થિતિ અને તેના વૈશ્વિક પ્રભાવ અંગે ચર્ચા કરી છે.

વિદેશ મંત્રી જયશંકરે ખાસ કરીને કુવૈતના વિદેશ મંત્રી શેખ જર્રાહ જાબેર અલ-અહમદ અલ-સબાહ સાથે થયેલી વાતચીતમાં મધ્ય પૂર્વના તાજેતરના સુરક્ષા પરિસ્થિતિના મુદ્દા સાથે સાથે ત્યાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ અંગે પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ ચર્ચા પ્રદેશની સ્થિતિ અને ભારતીય સમુદાયના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. તે ઉપરાંત જયશંકરે સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલાકૃષ્ણન સાથે પણ ચર્ચા કરી. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના વૈશ્વિક તથા પ્રાદેશિક પ્રભાવ અંગે વિચારવિમર્શ થયો હતો.

આ ચર્ચાઓ એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ઈરાનના બંદરો તરફ જતી આવનજાવનને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે અને હોર્મુઝ જળમાર્ગને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈરાનના બંદરો તરફ જતી તમામ જહાજોની અવરજવર રોકવા માટે સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જે હવે અમલમાં આવી ગઈ છે.હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે વિશ્વના લગભગ 20 ટકા જેટલા ક્રૂડ ઓઈલ અને LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ)નું પરિવહન આ જ માર્ગથી થાય છે. આ કારણે આ વિસ્તારમાં ઊભી થયેલી સ્થિતિ વૈશ્વિક ઊર્જા પુરવઠા અને અર્થવ્યવસ્થા માટે પણ ચિંતાજનક બની રહી છે.

ભારત સરકાર સતત રાજનૈતિક સ્તરે સંપર્કો વધારી રહી છે જેથી મધ્ય પૂર્વમાં રહેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખી શકાય. આ ઉપરાંત ઊર્જા પુરવઠા અને વ્યાપાર પર પડનારા સંભવિત પ્રભાવને ધ્યાનમાં રાખીને પણ ભારત સક્રિય રીતે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સંકલન કરી રહ્યું છે.

Most Popular

To Top