Gujarat Main

ધોરણ 12નાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ગુજરાતમાં 1 જુલાઈથી યોજાશે પરીક્ષા

ગાંધીનગર: (Gandhinagar) લાંબી ચર્ચાઓ અને દુવિધાઓ વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જુલાઈને (July) ગુરૂવારથી યોજાશે. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર 1 જુલાઈથી શરૂ થનાર પરીક્ષામાં રાજ્યમાં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5.43 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

ગુજરાતમાં ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે. કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P. ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું. તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે.

Most Popular

To Top