Trending

એક દાયકા પહેલાં સાયરસ મિસ્ત્રીને હોદ્દા પરથી દૂર કરાયા બાદ ટાટા સન્સ તેના સૌથી વિસ્ફોટક બોર્ડરૂમ સંકટમાં

એક દાયકા પહેલાં સાયરસ મિસ્ત્રીને હોદ્દા પરથી દૂર કરાયા બાદ ટાટા સન્સ તેના સૌથી વિસ્ફોટક બોર્ડરૂમ સંકટમાં ઘેરાઈ ગયું છે. ગુરુવારે ડિરેક્ટરોએ એન ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કરવા મતદાન કર્યું હતું – પરંતુ તેની થોડા જ કલાકોમાં, સંસ્થાના બહુમતી શેરધારક એવા ટાટા ટ્રસ્ટ્સે આ મતદાનને અમાન્ય જાહેર કરી દીધું હતું.

લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ સામસામે નિવેદનો, મતગણતરી અંગે વિવાદ અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશનો કાનૂની અભિપ્રાય સામે આવ્યા હતા. જેના કારણે ભારતના સૌથી મોટા વ્યાપારી જૂથનું વાસ્તવિક નેતૃત્વ કોણ કરી રહ્યું છે તે અંગે બે પરસ્પર વિરોધી દાવાઓ ઊભા થયા છે. ટાટા સન્સના બોર્ડે ગુરુવારે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષની મુદ્દત માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવા માટે મતદાન કર્યું હતું. જો કે, જૂથના બહુમતી શેરધારક ટાટા ટ્રસ્ટે આ ઠરાવને તાત્કાલિક અમાન્ય જાહેર કર્યો હતો. આ સાથે જ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ ઉદ્યોગ જૂથની અંદર ચાલી રહેલો નેતૃત્વનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનો હવાલો આપતાં ટ્રસ્ટ્સે દલીલ કરી હતી કે ચેરમેનપદ અંગેના ઠરાવો માટે ટ્રસ્ટ દ્વારા નિયુક્ત બંને ડિરેક્ટરો સક્ષમ રીતે વિરોધ વિના તરફેણમાં વોટ આપે તે જરૂરી છે, અને નોએલ ટાટાએ અસંમતિ દર્શાવી હોવાથી આ મત કાનૂની રીતે અમાન્ય અને રદબાતલ ઠરે છે.

આ નાટ્યાત્મક ઘટનાક્રમ લગભગ ત્રણ કલાક ચાલેલી બોર્ડ મીટિંગ દરમિયાન સામે આવ્યો હતો. નોંધનીય છે કે, ૬૩ વર્ષીય ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટોક-માર્કેટમાં લિસ્ટિંગ ટાળવાની હોલ્ડિંગ કંપનીની વિનંતીને ફગાવી દેવામાં આવ્યા બાદ, બોર્ડે વિશ્વસનીય ‘ચંદ્રા’ પર ભરોસો મૂક્યો હતો. ટ્રસ્ટે જણાવ્યું હતું કે નોએલ ટાટાએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનો એક કાનૂની અભિપ્રાય પણ રજૂ કર્યો હતો જે તેમના પક્ષનું સમર્થન કરતો હતો, પરંતુ “બોર્ડ દ્વારા તેની નોંધ લેવામાં આવી ન હતી”.

૧૦ વર્ષ જૂના સાયરસ મિસ્ત્રી વિવાદ જેવી સ્થિતિ

આ ટકરાવ ટાટા સન્સના છેલ્લા મોટા બોર્ડરૂમ યુદ્ધની યાદો તાજી કરે છે – ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રીને હોદ્દા પરથી દૂર કરવાની ઘટના, જે રતન ટાટા અને ટ્રસ્ટ્સ દ્વારા ઘડવામાં આવેલી યોજના હતી. આ ઘટનાએ વર્ષો સુધી ચાલતી કાનૂની લડાઈને જન્મ આપ્યો હતો, જેનો અંત ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ્સની સત્તાને માન્ય રાખી ત્યારે જ આવ્યો હતો. એ લડાઈમાં પણ ટ્રસ્ટ પરના નિયંત્રણનો મામલો ઉછળ્યો હતો.

ટાટા સન્સના IPOનો નોએલ ટાટા દ્વારા વિરોધ: કહ્યું – “લિસ્ટિંગથી ટાટા ગ્રુપનું મૂળ અસ્તિત્વ જોખમાશે

શેરબજારમાં લિસ્ટિંગ ટાળવાના ટાટા સન્સના પ્રયાસો આરબીઆઇએ ફગાવી દીધા છે ત્યારે હવે ટાટા સન્સનું એનબીએફસી તરીકે લિસ્ટિંગ આવી શકે છે. ટાટા સન્સનું સંભવિત લિસ્ટિંગ ભારતના સૌથી મોટા આઈપીઓ (IPO) પૈકીનું એક હોઈ શકે છે, જેમાં આ મહાકાય ઉદ્યોગ જૂથનું મૂલ્યાંકન લગભગ 230 અબજ યુએસ ડોલર રહેવાનો અંદાજ છે.ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ (IPO) કરવાના બોર્ડના પ્રસ્તાવ સામે ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ સખત વિરોધ દર્શાવ્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર લિસ્ટિંગથી ટાટા જૂથની સદીઓ જૂની પરંપરા, મૂળ સિદ્ધાંતો અને પરોપકારી સ્વરૂપને ગંભીર નુકસાન પહોંચશે.

નોએલ ટાટાના મતે, પબ્લિક લિસ્ટિંગ થવાથી કંપની પર એવા વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોનું વર્ચસ્વ વધશે જેઓ માત્ર નાણાકીય નફા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આનાથી કંપનીના લાંબા ગાળાના સાહસિક નિર્ણયો અને સામાજિક કલ્યાણના કાર્યો પ્રભાવિત થઈ શકે છે. RBIના નિર્દેશો અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે રિઝર્વ બેંકે અપર-લેયર NBFC ના નિયમો પાળવા કહ્યું છે, પરંતુ લિસ્ટિંગ જ એકમાત્ર રસ્તો છે એવું ક્યાંય નથી કહ્યું. આથી, IPO લાવતા પહેલા કંપનીએ પુનઃરચના (Restructuring), કાનૂની સલાહ અને RBI સમક્ષ પુનઃવિચારણા અરજી જેવા તમામ અન્ય વિકલ્પો ચકાસવા જોઈએ. ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં ૬૬% હિસ્સેદારી ધરાવે છે.

Most Popular

To Top