ટેક્નિકલ કારણોસર ફ્લાઇટ કેન્સલ, એરલાઇન દ્વારા વૈકલ્પિક ફ્લાઇટ કે ફુલ રિફંડ અપાશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
એર ઈન્ડિયાની વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર AI-1808 ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ તા.19 મેના રોજ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા માટે નિર્ધારિત હતી. અચાનક ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ફ્લાઇટ રદ થયા બાદ એર ઈન્ડિયા દ્વારા તમામ મુસાફરોને જાણ કરવામાં આવી હતી. એરલાઇને મુસાફરોને બે વિકલ્પ આપ્યા છે. મુસાફરોને આગામી ઉપલબ્ધ ફ્લાઇટમાં સમાયોજિત કરવાની ઓફર કરવામાં આવી છે. જે મુસાફરો મુસાફરી કરવા માંગતા નથી તેમને ટિકિટના પૂરા પૈસા પરત આપવામાં આવશે. સવારે એરપોર્ટ પહોંચેલા મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થયાની જાણ થતા રોષ જોવા મળ્યો હતો. કેટલાક મુસાફરોને દિલ્હીમાં આગળની કનેક્ટિંગ ફ્લાઇટ હતી, જ્યારે કેટલાક મહત્વના કામ માટે જઈ રહ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરોને મદદ કરવા સાથે રિફંડ તથા રિ-બુકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.