તામિલનાડુના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની ભલામણ પર કાર્ય કરતા રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે રાજ્યના નવા મંત્રી પરિષદને વિભાગો ફાળવ્યા છે. લોક ભવન દ્વારા શનિવારે (16 મે, 2026) જાહેર કરાયેલી સત્તાવાર યાદી અનુસાર મુખ્યમંત્રી જોસેફ વિજયે ગૃહ અને જાહેર વહીવટ સહિત અનેક મુખ્ય વિભાગો જાળવી રાખ્યા છે.
તામિલનાડુ લોક ભવન એ મુખ્યમંત્રી જોસેફ વિજય સહિત 10 મંત્રીઓને વિભાગો ફાળવ્યા છે. મુખ્યમંત્રી જોસેફ વિજય જાહેર કલ્યાણ, સામાન્ય વહીવટ, પોલીસ અને મહિલા અને યુવા કલ્યાણ વિભાગનો હવાલો સંભાળશે. એન. આનંદને ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન વિભાગો ફાળવવામાં આવ્યા છે. આધવ અર્જુન જાહેર બાંધકામ અને રમતગમત વિકાસ વિભાગોનું સંચાલન કરશે. કે.એ. સેંગોટૈયાનને નાણાં વિભાગ સોંપવામાં આવ્યો છે જ્યારે કે.જી. અરુણરાજને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. પી. વેંકટરામનને ખાદ્ય અને નાગરિક પુરવઠાનો હવાલો સોંપવામાં આવ્યો છે અને આર. નિર્મલકુમારને ઉર્જા અને કાયદા વિભાગ સોંપવામાં આવ્યા છે.
તમિલનાડુ પોલીસ વિભાગમાં ફેરબદલ
તમિલનાડુમાં પોર્ટફોલિયોની ફાળવણીના બે દિવસ પહેલા ગુરુવાર (14 મે, 2026) ના રોજ રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કર્યો, જેમાં ગુપ્તચર શાખાના અધિકારીઓ સહિત 10 થી વધુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી. વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા સરકારી આદેશ (GO) અનુસાર ગુપ્તચર શાખામાં અગાઉ પોલીસ મહાનિર્દેશક (DGP) બી. બાલા નાગા દેવીની બદલી કરવામાં આવી છે અને તેમને સાયબર ક્રાઈમ શાખા (ચેન્નાઈ) ના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમિલનાડુ સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશનના મુખ્ય તકેદારી અધિકારી રાજીવ કુમારને ચેન્નાઈમાં પોલીસ મહાનિર્દેશક (તાલીમ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.