જો તમે હિન્દુ, શીખ અને બૌદ્ઘ સિવાય અન્ય કોઈ ધર્મમાં પ્રવેશશો તો તે પોતાની મૂળ જ્ઞાતિના આધારે મળતા અનામત કે અન્ય બંધારણીય લાભો મેળવવા માટે હકદાર રહેશો નહીં, Supreme Court of India એ ધર્મ પરિવર્તન અને અનુસૂચિત જાતિ (SC)ના અધિકારોને લઈને મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્પષ્ટતા કરી છે. અદાલતે પોતાના તાજા ચુકાદામાં જણાવ્યું છે કે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ અપનાવનાર વ્યક્તિને SC તરીકે માન્યતા આપી શકાય નહીં અને તે SC/ST એક્ટ હેઠળ મળતા લાભો અને કાનૂની રક્ષણનો હકદાર નહીં રહે. કોર્ટના નિર્ણય મુજબ, અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિને પોતાની જૂની જાતિના આધારે મળતા લાભો ચાલુ રાખવાનો અધિકાર નથી. એટલે કે, જેમ જ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયનો અન્ય ધર્મ સ્વીકારશે, તેમ જ તેના તમામ અનુસૂચિત જાતિ સંબંધિત અધિકારો સમાપ્ત થઈ જશે. અદાલતે ખાસ કરીને સ્પષ્ટ કર્યું છે કે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 હેઠળ મળતા રક્ષણો પણ આવા કેસમાં લાગુ પડશે નહીં.
કેસની વિગતો મુજબ, અરજીકર્તા છેલ્લા લગભગ 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલો હતો. આ તથ્યોને ધ્યાનમાં રાખીને અદાલતે નિષ્કર્ષ આપ્યો કે આવી વ્યક્તિને SC તરીકે ગણવી યોગ્ય નથી અને તેને SC/ST એક્ટ હેઠળ કોઈ રક્ષણ આપવામાં આવી શકે નહીં. આ ચુકાદો Justice P.K. Mishra અને Justice A.V. Anjaria ની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના અગાઉના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું કે જે વ્યક્તિ સક્રિય રીતે અન્ય ધર્મનું પાલન કરે છે, તે પોતાની મૂળ અનુસૂચિત જાતિની ઓળખ જાળવી શકતો નથી.