નેપાળના ગોરખા જિલ્લામાં શનિવારે સાંજે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા સાત ભારતીય યાત્રાળુઓના મોત થયા. માહિતી મુજબ, યાત્રાળુઓને લઈ જતી એક ઇલેક્ટ્રિક માઇક્રોબસ સાહિદ લખન ગ્રામિણ મ્યુનિસિપાલિટીના કંતાર વિસ્તારમાં પર્વતીય રસ્તાના વળાંક પાસે નિયંત્રણ ગુમાવી ઊંડી ખાડીમાં ખાબકી હતી. આ યાત્રાળુઓ મનકામના મંદિરની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગોરખાના મુખ્ય જિલ્લા અધિકારી તુલસી બહાદુર શ્રેષ્ઠે જણાવ્યું કે માઇક્રોબસ મનકામના મંદિરથી તનહુન જિલ્લાના અંબુખૈરેની તરફ જઈ રહી હતી, જોકે દર્શન બાદ યાત્રાળુઓનું અંતિમ ગંતવ્ય શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે જણાવ્યું છે કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે.
નોંધનીય છે કે ઓગસ્ટ 2024માં પણ અંબુખૈરેની વિસ્તારમાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી બસનો ભયાનક અકસ્માત થયો હતો, જેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. નેપાળ ટ્રાફિક પોલીસના આંકડા અનુસાર એક દાયકાથી પહેલા દેશમાં 4,999 માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જ્યારે 2024-25 નાણાકીય વર્ષમાં આ આંકડો વધીને 7,669 સુધી પહોંચી ગયો છે. અહેવાલ મુજબ આવા અકસ્માતોમાં સૌથી વધુ અસર રાહદારીઓ, સાયકલચાલકો અને મોટરસાયકલ સવારો જેવા સંવેદનશીલ માર્ગ વપરાશકર્તાઓ પર પડે છે, જે કુલ મૃત્યુઆંકના 70 ટકાથી વધુ છે.