ભાજપના ધારાસભ્યો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો નહી ઉઠાવે
ગાંધીનગર, તા. 16
ગાધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક તરફ ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થયો હતો, તો બીજી તરફ કોંગ્રેસે રસ્તા પર ઉતરી પ્રજાના પ્રશ્નોને ઉગ્ર રીતે રજૂ કર્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતો, યુવાનો, આદિવાસીઓ અને વંચિત વર્ગો પોતાની સમસ્યાઓ લઈને ગાંધીનગર પહોંચ્યા છે. કોંગ્રેસ પ્રજાનો અવાજ બની સડકોથી લઈને વિધાનસભા સુધી તેમના પ્રશ્નોને મજબૂતીથી ઉઠાવશે.
અમિત ચાવડાએ જનમેદનીને આહ્વાન કરતાં કહ્યું કે 2027માં પરિવર્તન લાવી કોંગ્રેસની સરકાર બનાવો, સરકાર બનતા જ ગુજરાતમાં “એક પણ ટીપું દારૂ નહીં મળે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની જમીન માપણી, પીપીપી મોડલ હેઠળ જમીન મુદ્દા, ફિક્સ પગારના યુવાનોની સમસ્યાઓ, આદિવાસી સમાજના જાતિ દાખલા અને જળ-જમીન-જંગલના પ્રશ્નો તેમજ દારૂ અને ડ્રગ્સના કારણે યુવાનોના મોત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
અમિત ચાવડાએ કહ્યું હતુ કે ભાજપના ધારાસભ્યો પ્રજાનો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો નહી ઉઠાવે, આ અંગે બોલી નહી શકે, જ્યારે કોંગ્રેસ પ્રજાની પડખે રહી વિધાનસભામાં પણ મજબુત રીતે અવાજ ઉઠાવશે.