Comments

ઉદ્ધવ અને રાજ ઠાકરે એક – કોને ફાયદો, કોને નુકસાન?

મહારાષ્ટ્રના રાજકારણમાં ૨૦ વર્ષ બાદ એક મોટો વળાંક આવ્યો છે. ઉદ્વવ અને રાજ ઠાકરે, બંને ભાઈઓ એક થયા છે.  ૨૦૦૫માં રાજ ઠાકરેએ શિવસેના છોડી હતી અને હવે ડિસેમ્બર ૨૦૨૫માં બંને ભાઈઓ ફરી એક સાથે આવ્યા છે. આ મિલન સહજ નથી પણ એની પાછળનું સૌથી મોટું કારણ  મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી છે. મુંબઈ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને મરાઠી મતોના વિભાજનને રોકવા માટે બંને ભાઈઓએ હાથ મિલાવ્યા છે. બંને વચ્ચે બેઠક સમજૂતી પણ થઇ ગઈ છે. ઉદ્ધવનો પક્ષ લગભગ ૧૫૦ બેઠક લડશે અન રાજ ઠાકરેનાં ભાગે ૭૦ બેઠકો આવી છે. એનસીપીને માત્ર દસ બાર બેઠક ફાળવાઈ છે. રાજ ઠાકરેએ કહી દીધું છે કે મુંબઈમાં કોઈ ‘મરાઠી માણસ’ ને જ મેયર બનાવવાનો છે. બંને ભાઈઓ “મરાઠી અસ્મિતા” ના મુદ્દે એક મંચ પર આવ્યા છે.

બંને ભાઈઓ એમાં મજબૂરી વધુ છે. છેલ્લા કેટલાક સમયથી મનસે નબળી પડી હતી, જ્યારે શિવસેનામાં ભંગાણ બાદ ઉદ્ધવ ઠાકરેને પણ મજબૂત સાથીની જરૂર હતી. મુંબઈમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને હરાવવા માટે ‘ઠાકરે બ્રાન્ડ’ નું એક થવું અનિવાર્ય હતું. હવે સવાલ એ છે કે, બે ભાઈઓ સાથે થયા એની અસર કોને કેવી થશે? મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે જૂથે આ ગઠબંધનને “સ્વાર્થનું ગઠબંધન” ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ બંને ભાઈઓ માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે સાથે આવ્યા છે.

પણ એ વાત એટલી જ સાચી છે કે, હજુ ય મરાઠીઓમાં બાલાસાહેબ ઠાકરેનું એટલું જ માન છે. પણ બન્ને ભાઈઓ અલગ રહ્યા એનું નુકસાન બંનેને થયું. અને એક વાત સમજવી જરૂરી છે કે, આ ગઠબંધન માત્ર ઉદ્ધવ અને રાજ પૂરતું મર્યાદિત નથી પણ આગામી પેઢી એટલે કે આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે માટે પણ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. જો બંને યુવા નેતાઓ સાથે મળીને કામ કરે, તો યુવા વર્ગમાં તેમનો મોટો પ્રભાવ પડી શકે છે. સોશ્યલ મીડિયા અને મુંબઈના રસ્તાઓ પર શિવસૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે “વાઘ હવે ફરી એક થયો છે.”

ભાજપ અને એકનાથ શિંદેની પ્રતિક્રિયા પણ આવે જ. પણ  ભાજપે આ જોડાણને ગંભીરતાથી જ લેવું પડે. અને એટલે જ ભાજપ હવે એવો પ્રચાર કરી રહી છે કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે જઈને બાળાસાહેબના હિન્દુત્વના વિચારો છોડી દીધા છે. ભાજપ પોતાને જ “અસલી હિન્દુત્વવાદી” પક્ષ તરીકે રજૂ કરી રહી છે. મરાઠી વિરુદ્ધ અન્ય: ઠાકરે ભાઈઓ ‘મરાઠી કાર્ડ’ રમી રહ્યા છે, ત્યારે ભાજપ મુંબઈમાં વસતા ગુજરાતી, ઉત્તર ભારતીય અને અન્ય સમાજના મતોને પોતાની તરફ એકત્રિત કરવાનો પ્રયાસ કરશે.આ જોડાણથી સૌથી વધુ ખતરો હોય તો એ શિંદે જૂથને છે. આમે ય એમનો પક્ષ ભાજપની નીતિરીતીથી નારાજ ચાલે છે. હવે એમની માટે સમસ્યા વધવાની છે. અત્યાર સુધી શિંદે એવો દાવો કરતા હતા કે તેઓ જ બાળાસાહેબના અસલી વારસદાર છે, પરંતુ હવે બંને ઠાકરે ભાઈઓ એક મંચ પર આવતા, શિંદે જૂથના ‘મરાઠી’ કાર્યકર્તાઓમાં મૂંઝવણ પેદા થઈ શકે છે.

અને હા, કોંગ્રેસ- એમવીએ સાથે નથી. એટલે  મુંબઈમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે: ઠાકરે બંધુ અને એનસીપી, ભાજપ, શિંદે અને પવાર જૂથ ત્રીજુ જૂથ છે કોંગ્રેસ. જો કે, કોંગ્રેસે મહાદેવ જાણકરની ‘રાષ્ટ્રીય સમાજ પક્ષ’ સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસે હિંમત કરી છે કે, એ એકલા હાથે લડે. અન્ય સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસે ઠીક ઠીક સફળતા પણ મેળવી છે. મહાદેવ જાણકર ઓબીસી  અને ખાસ કરીને ધનગાર સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસને આશા છે કે આનાથી તેમને મહારાષ્ટ્રના ગ્રામીણ અને મુંબઈના ચોક્કસ વિસ્તારોમાં ફાયદો થશે. મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અને શિંદે જુથે સારો દેખાવ કર્યો છે પણ મુંબઈ મહાપાલિકા જીતવી એ અલગ જ રાજકારણ છે. અને આ ચૂંટણીનાં પરિણામો મહારાષ્ટ્રના રાજકીય પરિદ્રશ્યમાં બદલાવ પણ લાવી શકે છે, દિશા નક્કી કરી શકે છે.

બળાત્કારી નેતા કુલદીપ  સેંગરને જામીન!
ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના ઉન્નાવ બળાત્કાર કેસ સાથે જોડાયેલા વિવાદો એટલા ગંભીર અને ચોંકાવનારા હતા કે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કેસ માત્ર એક બળાત્કારનો કેસ ન રહેતા સત્તાના દુરુપયોગ અને ન્યાય મેળવવા માટેના સંઘર્ષનું પ્રતીક બની ગયો હતો. પીડિતાએ ન્યાય માટે ૨૦૧૮માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આવાસ પાસે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ  પીડિતાના પિતાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. સેંગરના ભાઈ અતુલ સિંહ પર આ મારપીટનો આરોપ હતો. જુલાઈ ૨૦૧૯માં, પીડિતા, તેના સંબંધીઓ અને વકીલ રાયબરેલી જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં પીડિતાની બે માસીઓના મોત થયા હતા. પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લાંબો સમય વેન્ટિલેટર પર રહ્યા હતા. જો કે આ અકસ્માત નહોતો પણ હત્યા જ હતી. આમ છતાં સેંગરને પુરાવા ના અભાવે જામીન મળી ગયા છે અને પીડિતા ન્યાય માટે દર દર ભટકે છે. રાહુલ ગાંધી પાસે પણ એ ગઈ અને આંદોલન પણ થવાનું છે.  સેન્ગરને જામીન એટલે મળ્યા છે કે તપાસમાં ઢીલ રાખવામાં આવી હતી. શરૂઆતમાં ઉત્તર પ્રદેશ પોલીસે એફઆઈઆર નોંધવામાં અને સેંગરની ધરપકડ કરવામાં ભારે વિલંબ કર્યો હતો. કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો ત્યારે પણ એવી ચર્ચા હતી કે રાજકીય દબાણને કારણે તપાસ ધીમી ચાલી રહી છે.

વિપક્ષોએ સરકાર પર સેંગરને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. આખરે જનતાના ભારે રોષ અને સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ ભાજપે સેંગરને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. હાલમાં  દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે, તેનાથી નવો વિવાદ છેડાયો છે. રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે આવા ગંભીર ગુનેગારને જામીન મળવા એ “ન્યાયતંત્ર અને સમાજ માટે શરમજનક” બાબત છે. આ કેસ હવે નૈતિકતા અને કાયદા વચ્ચેની લડાઈ બની ગયો છે. એક તરફ કોર્ટ પુરાવાના અભાવે રાહત આપે છે, તો બીજી તરફ જનતામાં ન્યાય ન મળવાની લાગણી પ્રબળ બની રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top