સુરત મહાનગર પાલિકાનાં ઉધના અને લિંબાયત સહિત કતારગામ ઝોનમાં કેમિકલયુક્ત ઝેરી પાણી રસ્તાઓ પર ઉભરાવવાની સમસ્યા હવે સામાન્ય થઈ ચુકી છે. ખાસ કરીને તપેલા ડાઈંગનાં ન્યુસન્સને પગલે આ સમસ્યાને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
રોગયાળાની ભીતિ વચ્ચે આ સમસ્યા પર અંકુશ મેળવવામાં મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર એકંદરે વામણું પુરવાર થયું છે. આ સ્થિતિમાં લિંબાયત ઝોનમાં ગોવિંદ નગર પાસે આવેલ કબ્રસ્તાન અને આસપાસનાં વિસ્તારમાં કેમિકલમુક્ત પાણી ફરી વળતાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
વિભાયત ઝોનમાં તપેલા ડાઇંગ એકમો દ્વારા છેલ્લા ઘણા સમયથી બારોબાર કેમિકલયુક્ત પાણીનો ટ્રેનેજ લાઈનમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, લિંબાયત ઝોનનાં વહીવટી તંત્ર દ્વારા છાશવારે આ પ્રકારનાં ન્યુસન્સ પર અંકુશ મેળવવા માટે સંખ્યાભેષ તપેલા ડાઈગો વિરૂદ્ધ સીલિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જો કે, તપેલા ડાઈગનું ન્યુસન્સ વહીવટી તંત્ર માટે હવે સિરદર્દ બની ચુક્યું છે.
સ્લમ મોટા ભાગે વિસ્તારમાં ભાડાની મિલ્કત પર બેફામ ચાલતાં તપેલા ડાઈગો દ્વારા કેમિકલયુક્ત પાણી બારોબાર ડ્રેનેજની લાઈનમાં છોડી દેવામાં આવતાં વધુ એક વખત વિવાદ થવા પામ્યો છે. લિંબાયતનાં ગોવિદ નગર પાસે આવેલ રાવનગર કબ્રસ્તાનમાં ગઈકાલે કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
કબરો પર આ પ્રકારનાં કેમિકલયુક્ત પાણીને પગલે લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ધાર્મિક લાગણી દુભાતા મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા પણ આ અંગે ફરિયાદો પણ કરવામાં આવી હતી.